વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની નજીકના મનાતા અને પોલિટિકલ કોર કમિટીના સભ્ય એવા સી. આર. પાટીલને હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ બનાવીને નવા રાજકીય સમીકરણની શરૂઆત કરી છે.પાટીલની વરણીથી વર્ષો બાદ ગુજરાત ભાજપના પ્રમુખપદે સૌરાષ્ટ્રનો દબદબો પણ છીનવાઇ ગયો છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતનું કદ વધતા નવસારી સહિત સુરત અને ભરૂચના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. ગુજરાત ભાજપના ફાયનાન્સિયલ મેનેજમેન્ટથી માંડીને ફંડ રેઈઝિંગમાં માહેર ગણાતા પાટીલને આ વરણી થકી એક પ્રકારનું ‘ઈન્સેન્ટિવ’ મળ્યું હોવાનું ભાજપના નેતા અને સાંસદોનું માનવું છે. મહત્વનું છે કે આવનારી પેટા ચૂંટણી પહેલા ભાજપનું આ પગલું કેવું અસરકાર રહે છે તે જોવું રહેશે.પરંતુ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે દાવો કર્યો કે ભાજપ તમામ 8 બેઠકો પેટાચૂંટણીમાં જીતશે. આજે તેમનાં સ્વાગત માટે પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી.