BANASKATHA : કોરોના મહામારીમાં સૌથી મોટી સમસ્યા મેડિકલના સાધનોની છે. જે વચ્ચે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર માટે મુંબઈના જેમ્સ એન્ડ જ્વેલરી વિભાગના વેપારીઓ મદદે આવે છે. પૂર્વ ગૃહમંત્રી અને બનાસકાંઠાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીના પ્રયત્નોથી મુંબઈના વેપારીઓ દ્વારા બે કરોડથી વધુના મેડિકલ સાધનોની સહાય બનાસકાંઠા જિલ્લાના લોકોને કરવામાં આવી છે. જે મેડીકલ ના સાધનો કોરોના મહામારી સમયે લોકોના જીવ બચાવવામાં મદદરૂપ બનશે.
બનાસકાંઠા જિલ્લાના મૂળ વતનીઓ હોય એવા અનેક લોકો મુંબઈ ના અને હીરા બજારના ઝવેરીઓની સંસ્થા જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે. જેથી વતનનું ઋણ ચૂકવવા જીલ્લાને રૂ. ૨.૩૯ કરોડના મેડીકલના સાધનોની ભેટ મળી છે. આ મેડીકલ સાધનોમાં રૂ. ૧૧ લાખના એક એવા કુલ-૧૫ વેન્ટીલેટર, ૨૦૦ ઓક્શિજન કોન્સન્ટ્રેટર અને ૧૦ મલ્ટીપેરા મોનીટર સહિતના અન્ય મેડીકલ સાધનો આપવામાં આવ્યા છે.
આ સાધનોને આજે હરિભાઈ ચૌધરીએ જીલ્લાના આરોગ્ય વિભાગને સુપ્રત કર્યા હતા. જીલ્લા કલેકટર આનંદ પટેલે કરોડોના સાધનોનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, કોરોનાની બીજી મહામારીએ સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે. બનાસકાંઠા જિલ્લો ખુબ મોટો જિલ્લો છે. મારી માંગણીને ધ્યાને લઇ મુંબઇ જેમ્સ એન્ડ જવેલરી નેશલન રિલીફ ફાઉન્ડેશન તરફથી બે કરોડ થી વધુની કિંમતના મેડીકલ સાધનો મદદ માટે મળ્યા છે. બનાસકાંઠા જિલ્લા પર કુદરતી આફત હોય કે મહામારી મુંબઈ જેમ્સ અને જવેલરી વિભાગના વેપારીઓ હંમેશા જીલ્લાને મદદ કરતા આવ્યા છે.
મુંબઈ ના વેપારીઓ દ્વારા આટલી મોટી મેડીકલ સાધનોની સહાય મામલે જીલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ભારતના હીરા બજારમાં પાલનપુરવાસીઓનું બહુ મોટું યોગદાન છે. મુંબઇમાં રહેતા પાલનપુરના વતનીઓએ વતનનું ઋણ અદા કરવા માટે સવા બે કરોડની માતબર રકમના વેન્ટીલેટર, ઓક્શિજન કોન્સન્ટ્રે્ટર, મલ્ટીપેરા મોનીટર સહિતના મેડીકલના સાધનો જિલ્લાના લોકોની સારવાર માટે મળ્યાં છે.
આ મેડીકલના સાધનો જિલ્લાના અંતરીયાળ ગામડા અને જરૂરીયાતમંદ વિસ્તારમાં પહોંચડવામાં આવશે. જે કોરોના મહામારી સમયે આશીર્વાદરૂપ બનશે. જીલ્લા ના કલેકટર તરીકે દાતાઓનો આભાર વ્યક્ત કરૂં છું.