દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહઃ ભારતના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાતે નામના મેળવી છેઃ રાજ્યપાલ

રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં 300 કરોડ જેટલી વિરાટ સંખ્યામાં ખેતી ઉપયોગી બેક્ટેરીયા હોય છે તેના દ્વારા નોંધપાત્ર ખેત ઉત્પાદન મેળવીને બિમારીઓથી પણ દૂર રહી શકાય છે

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહઃ ભારતના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાતે નામના મેળવી છેઃ રાજ્યપાલ
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 17મો દિક્ષાંત સમારોહ રાજ્યપાલ અને કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલી યોજાયો
| Edited By: | Updated on: Feb 14, 2022 | 6:28 PM

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (Dantiwada Krishi University) નો 17 મો દિક્ષાંત સમારોહ (Convocation Ceremony) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલી યોજાયો હતો. જેમાં વિવિધ ફેકલ્ટીમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ર્ડાક્ટરેટ કક્ષાના 435 વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલી પદવી (degrees)  એનાયત કરી હતી. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) એ વર્ચ્યુઅલી સંબોધન કરતાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી.

આજે આપણી સામે ગ્લોબલ વોર્મિગ, જળ, જમીન અને પર્યાવરણનું પ્રદૂષણ સહિત ખેતીના ક્ષેત્રમાં અનેક પડકારો છે તેનો સામનો કરવા કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતો નવા સંશોધનો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, 60 ના દશકામાં ખાદ્યાન્નની આપૂર્તિ માટે આપણે હરીયાળી ક્રાંતિ લાવી એ સમયે તે વરદાનરૂપ સાબિત થઇ હતી. પરંતુ ત્યારબાદ રાસાયણિક ખાતરોનો અંધાધૂંધ ઉપયોગ અભિશાપ બની રહ્યો છે. રાસાયાણિક કૃષિનો મજબુત વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે.

દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવીને તંદુરસ્ત અને સુખી જીવન જીવી શકાય છે. દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં 300 કરોડ જેટલી વિરાટ સંખ્યામાં ખેતી ઉપયોગી બેક્ટેરીયા હોય છે તેના દ્વારા નોંધપાત્ર ખેત ઉત્પાદન મેળવીને બિમારીઓથી પણ દૂર રહી શકાય છે.તેમણે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓને અનુરોધ કરતા જણાવ્યું કે, આપણી કૃષિ યુનિવર્સિટીઓ પાસે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે ત્યારે ગુજરાતના ખેડુતો રાસાયણિક ખેતીના વિકલ્પરૂપે પ્રાકૃતિક ખેતી અપનાવે તે દિશામાં પ્રયાસો કરીએ.

ગાંધીનગરથી વર્ચ્યુઅલ સંબોધન કરતા કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, તમારા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારોના સર્વાગી વિકાસમાં સહભાગી થઇ સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારીઓ કટીબધ્ધતાથી અદા કરીએ. તેમણે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને રાજય સરકાર વતી શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, સતત અને સખત પરિશ્રમથી જ સફળતા મેળવી શકાય છે. યુવાનીના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી જિંદગીમાં આગળ વધીએ અને દેશના વિકાસમાં યોગદાન આપીએ. સમગ્ર દેશમાં કૃષિ વિકાસ ક્ષેત્રે ગુજરાતની મોડેલ સ્ટેટ તરીકે ગણના થાય છે. ભારતના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાતે નામના મેળવી છે.

કુલપતિના વરદ હસ્તે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીનના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ર્ડા. જે.આર. વડોદરીયાએ આભારવિધિ કરી હતી. દિક્ષાંત સમારોહમાં કૃષિ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ફેકલ્ટીના ડીન, પ્રોફેસર, અધિકારીઓ તથા ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Surat : મંકી કેપ પહેરીને મોટરસાઇકલ પર મોબાઈલ અને ચેઇનની લૂંટ કરતા બે પકડાયા, બીજા 16 ગુના ઉકેલાયા

આ પણ વાંચોઃ  Kutch: નિયમ ભંગ કરી બે મોટા ઉદ્યોગો દ્વારા મીઠાના પરિવહન સામે નાના નમક ઉદ્યોગકારોએ લડતની ચીમકી ઉચ્ચારી

Published On - 5:49 pm, Mon, 14 February 22