પ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શન માટે 12 મે સુધી બંધ રહેશે, કોરોના સંક્રમણને લઇ લેવાયો નિર્ણય

|

May 05, 2021 | 1:42 PM

કોરોના સંક્રમણ વધારે ન વકરે તે માટે પ્રસિદ્ધ અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે. માતાજીની પૂજા અને આરતી થશે, પરંતુ અંબાજી મંદિરમાં કોઈ પણ શ્રદ્ધાળુને પ્રવેશ આપવામાં આવશે નહીં.

દેશ અન રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધારે ન વકરે તે માટે પ્રસિદ્ધ અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે. માતાજીની પૂજા અને આરતી થશે, પરંતુ અંબાજી મંદિરમાં કોઈ પણ શ્રદ્ધાળુને પ્રવેશ આપવામાં આવશે નહીં. અંબાજી મંદિરના પૂજારીએ ભક્તોને ઘરે જ ભક્તિ કરવા અનુરોધ કર્યો. 13 એપ્રિલથી બંધ અંબાજી મંદિર આજે ખુલવાનું હતું, પરંતુ હવે તે 12 મે સુધી બંધ રહેશે. એટલે હજુ વધુ 7 દિવસ અંબાજી મંદિર બંધ રહેશે. કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ફરી રાજયમાં 13 હજારની સપાટી વટાવીને 13,050 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 131 દર્દીઓના મોત થયા. નવા મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 7,779 પર પહોંચ્યો છે, તો 12,121 દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 4 લાખ 64 હજાર 396 પર પહોંચ્યો છે. જોકે રાજ્યમાં હજુ પણ 1 લાખ 48 હજાર 297 એક્ટિવ કેસ છે,જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 778 પર પહોંચી છે.

રાજ્યના શહેરોની જો વાત કરીએ તો, અમદાવાદમાં આક્રમક બનેલો કોરોના મંદ પડ્યો છેઅને નવા 4,754 કેસ સાથે 23 દર્દીઓના મોત થયા છે. સુરતમાં 1,574 કેસ સાથે 10 દર્દીઓના મોત નિપજ્યા, જ્યારે વડોદરામાં 943 દર્દીઓ સાથે 13ના મોત થયા. આ તરફ રાજકોટમાં 726 કેસ સાથે 14 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા, તો જામનગરમાં 14 દર્દીઓના મોત સાથે નવા 728 કેસ નોંધાયા.

ભાવનગરમાં 10 અને જૂનાગઢમાં 7 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. આ સિવાય બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 4-4 દર્દીઓના મોત થયા. મહેસાણા, કચ્છ, સાબરકાંઠા અને પાટણમાં 3-3 દર્દીના મોત થયા, જ્યારે ખેડા, દાહોદ, અમરેલી, છોટાઉદેપુ અને દ્વારકામાં 2-2 દર્દીના મોત થયા.

Next Video