ગુજરાતમાં આજકાલ તમને છાશવારે સમાચાર સાંભળવા મળશે કે નકલી દૂધ, નકલી ઘી, નકલી માવો પકડાયો. એટલું જ નહીં મિઠાઈ, મસાલા, અને દવા પણ નકલી…એક તરફ રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર વધતી જાય છે. બીજી તરફ રાજ્ય સરકાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અધિકારીઓની ભરતી કરવામાં ઉદાસીન જણાય છે. નવાઈની વાત તો એ છે કે 2019માં પરીક્ષા લેવાઇ ગઇ, 2023માં છ મહિના પહેલા મૌખિક ઈન્ટરવ્યૂ પણ લેવાઈ ગયા, 15 ઉમેદવારો ક્લાસ વન અધિકારી તરીકે પાસ પણ થયા, જો કે હજુ સુધી આ પાસ થયેલા ઉમેદવારોને વર્ક ઓર્ડર અપાયો નથી.
દરેક માતા પિતાનું સપનું હોય કે પોતાનો દિકરો ખુબ જ ભણે, સરકારી પરીક્ષા આપી ક્લાસ વન અધિકારી બને, જો કે ગુજરાતમાં 15 યુવાનોનું આ સપનું છેલ્લા 3 વર્ષથી ફક્ત સપનું જ બનીને રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ગુજરાત રાજ્ય માટે GPSC દ્વારા પસંદગી કરાયેલ 15 ઉમેદવારો આજે પણ નોકરી વિહોણા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્યમાં Designated officer class 01ની 15 ખાલી જગ્યા માટે વર્ષ 2019માં GPSC દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થઇ હતી. ત્યારબાદ વર્ષ 2020માં લેખિત પરીક્ષા લીધી હતી અને વર્ષ 2023માં મૌખિક ઈન્ટરવ્યુ લીધાં હતાં, GPSC દ્વારા 15 ઉમેદવારોનું પસંદગી લીસ્ટ 6 માસ પહેલા હેલ્થ વિભાગને મોકલી આપ્યું છે, તેમ છતાં આજદિન સુધી નિમણુકના ઓર્ડર અપાયા નથી.
Designated officer class -1 ની જગ્યા ફૂડ વિભાગની અત્યંત જરૂરી અને કાનૂની કી પોસ્ટ છે, ખોરાકમાં થતા ભેળસેળ રોકવા માટે જે તે જિલ્લા માટે જવાબદાર અધિકારી છે. સરકારમાં હાલ 03 જગ્યા જ ભરેલી છે, બાકી 30 જગ્યા ખાલી છે, જ્યારે 10 જગ્યા અન્ય અને નિવૃત કર્મચારીને ચાર્જમાં આપેલી છે અને દરેકને 2થી 3 જિલ્લાનો ચાર્જ આપેલો છે. જો GPSC દ્વારા પસંદગી કરવામાં આવેલ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ફૂડ ચેકીંગની કામગીરી વધુ અસરકારક બનાવી શકાય.
એક તરફ એક અધિકારીને બેથી 3 જિલ્લાનો ચાર્જ સોંપાયો છે. જેને કારણે ભેળસેળીયાઓને મોકળું મેદાન મળી ગયું છે. તો બીજી તરફ લેખિત, મૌખિક પરીક્ષા અને ઈન્ટરવ્યૂ પાસ થનાર ઉમેદવારો નોકરીની રાહ જોઈ બેઠા છે. સવાલ એ છે કે ઝડપી અને પારદર્શક નિર્ણય માટે જાણીતી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ કાર્યમાં કોણ રોડા નાખે છે. કોણ એવું ઈચ્છે છે કે ખોરાક અને ઔષધમાં પૂરતો સ્ટાફ ન ભરાય, જેથી ભેળસેળની ભરમાર ચાલતી રહે. ત્યારે આ ઉમેદવારો મૃદુ અને મક્કમ મુખ્યપ્રધાનને વિનંતી કરે છે કે તેમને વર્ક ઓર્ડર આપી, ક્લાસ વન બનવાનું તેમનું અને તેમના પરિવારનું સપનું સાકાર કરવામાં આવે.