અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra) નિકળશે કે નહીં તે અંગેનો નિર્ણય હજુ બાકી છે. આજે મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી શકે છે. જો કે પોલીસ પાસે સૌ પ્રથમ જળયાત્રા માટે મંજૂરી મગાશે. જળયાત્રા માટે એક વખત સત્તાવાર મંજૂરી મળી જાય પછી રથયાત્રાની મંજૂરી મેળવવા માટેનો માર્ગ મોકળો બનશે તેમ મંદિરનાં સૂત્રોનું માનવુ છે.
24 જૂનના રોજ ભગવાનની જળયાત્રા સાદાઈથી યોજવા માટે રાજ્ય સરકારે મંજૂરી અગાઉથી જ આપી દીધી છે. જેને લઈને મંદિર તરફથી જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જળયાત્રામાં 18 ગજરાજો મંદિર પટાંગણમાં ઉપસ્થિત રહેશે. મંદિરમાં ખુબ ઓછા લોકોની હાજરી સાથે જળયાત્રા કાઢવામાં આવશે.
કોરોનાને કારણે સરકારે રથયાત્રા અંગે કોઈ નિર્ણય લીધો નથી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમય અને સંજોગો જોઈને રથયાત્રાને મંજૂરી આપવામાં આવશે તેવુ નિવેદન કર્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શહેરના પોલીસના અધિકારીઓ મંદિરના સતત સંપર્કમાં છે. સરકાર તરફથી મંજૂરી આવે કે ન આવે મંદિર તરફથી રથયાત્રા માટેની તમામ તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવાઈ છે.