Ahmedabad: રથયાત્રામાં ભગવાનના વાઘાંનું પણ હોય છે ખાસ મહત્ત્વ, જાણો આ વખતે કેવાં વાઘાં પહેરશે જગન્નાથ

|

Jun 21, 2022 | 11:51 PM

એકમ, બીજ અને ત્રીજી ત્રણેય દિવસ માટે ભગવાનના વિશેષ વાઘાં તૈયાર કરવામાં આવ્યા છે. તેની સાથે જ આ વર્ષે ભગવાન માટે એક વિશિષ્ટ પ્રકારનું બખતર પણ બનાવવમાં આવ્યું છે.

અમદાવાદના ભક્તો રથયાત્રાની રાહ જોઈને બેઠા છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શનનો જેટલો મહિમા છે તેટલું જ મહાત્મ્ય તેમના વાઘાંનું પણ છે. ભક્તોને એ જાણવાની પણ કુતૂહલ હોય છે કે પ્રભુના વાઘાં કેવા હશે. ત્યારે આપને જણાવી દઈએ કે દર વખતની જેમ આ રથયાત્રા દરમિયાન પણ પ્રભુના રંગબેરંગીન વાઘાં અને અવનવી પાઘ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર હશે. એકમ, બીજ અને ત્રીજી ત્રણેય દિવસ માટે ભગવાનના વિશેષ વાઘાં તૈયાર કરવામાં આવ્યા છે. તેની સાથે જ આ વર્ષે ભગવાન માટે એક વિશિષ્ટ પ્રકારનું બખતર પણ બનાવવમાં આવ્યું છે.

આગામી 1 જુલાઈએ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. બીજી તરફ ગુજરાત સહિત રાજ્યોમાં આતંકી સંગઠન અલકાયદાએ આત્મઘાતી હુમલાની ધમકી આપતા ગુજરાત પોલીસ પણ એલર્ટ બની છે. ધમકીના પગલે રથયાત્રાની સુરક્ષામાં વધારો કરાયો છે અને પહેલીવાર ડ્રોનની સંખ્યામાં વધારો કરાશે અને આકાશી સર્વેલન્સ માટે જેટપેક ડ્રોન ચાંપતી નજર રાખશે.

બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલીકના જણાવ્યા અનુસાર અલકાયદાની ધમકીના કારણે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. એક હજારથી વધુ કેમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. અખાડા, રથ, ટ્રક વગેરે GPSથી કનેક્ટ થશે. પોલીસ દ્વારા ખાસ એપ્લીકેશન બનાવવામાં આવી છે.

રથયાત્રામાં જોડાનારા તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવાયો છે. બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે.

Published On - 11:50 pm, Tue, 21 June 22

Next Video