મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુને સરખેજ આશ્રમમાં માનસિક ત્રાસ અપાતો હતો. આ ગંભીર આરોપ મુક્યો છે હરીહરાનંદ બાપુના શિષ્ય મહાદેવ ભારતી બાપુએ. મહાદેવ ભારતી બાપુએ દાવો કર્યો છે કે સરખેજ આશ્રમના ઋષિ ભારતી બાપુ હરીહરાનંદ બાપુને આશ્રમ સોંપી દેવા માટે ત્રાસ આપતા હતા. અને આ જ ત્રાસને પગલે કંટાળીને હરીહરાનંદ બાપુ ગુપ્તવાસમાં ચાલ્યા ગયા છે.
તો અન્ય શિષ્યએ માગ કરી છે કે બાપુ સાથે અઘટીત ઘટના ઘટે તે પહેલા તેમને હેમખેમ આશ્રમમાં પરત લાવવામાં આવે. અને સમગ્ર કેસની તટસ્થ તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે. મહત્વપૂર્ણ છે કે મહામંડલેશ્વર ભારતી બાપુના નિધન બાદ હરીહરાનંદ બાપુને અમદાવાદ, જૂનાગઢ, કેવડિયા અને દાતીયા આશ્રમની ગાદી સોંપવામાં આવી હતી. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે સંપત્તિ વિવાદમાં જ બાપુએ ગુમ થઇને આશ્રમ છોડવાનો નિર્ણય કર્યો.
હરિહરાનંદ ભારતી બાપુ વડોદરાની કપુરાઇ ચોકડી નજીકથી ગુમ થયા છે. હરીહરાનંદ ભારતી બાપુ ગુમ થવા મુદ્દે વડોદરાના વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દાવો કરાયો છે કે બાપુ વડોદરામાં રાકેશ નામના ભક્તને મળવા આવ્યા હતા. જે બાદ બાપુ સંપર્ક વિહોણા થયા છે. તો કપુરાઇ ચોકડીથી બાપુ એકલા જતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે બાપુ એકલા જઇ રહ્યા છે. જોકે ગુમ થતા પહેલા બાપુનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ખોટા વીલ દ્વારા જમીન પચાવી પાડવાની વાત કરી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે જૂનાગઢ સ્થિત ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક થયા બાદ હરિહરાનંદ ભારતી બાપુએ ગાદી સંભાળી હતી. જો કે, હરિહરાનંદ બાપુના શિષ્યોનો દાવો છે કે છેલ્લા કેટલાક સમયથી બાપુ અમદાવાદના સરખેજ ભારતી આશ્રમના વિવાદને લઇને ચિંતિત હતા. આ શિષ્યોએ બાપુના સરખેજ આશ્રમ સ્થિત શિષ્ય પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. અને બાપુને વહેલીતકે શોધીને હેમખેમ પરત લાવવાની માગ કરી છે.
તો સમગ્ર મામલે જાણવાજોગ અરજી મળતા વાડી પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ કપુરાઇ ચોકડી આસપાસના સીસીટીવી તપાસ્યા છે. જેમાં બાપુ ચાલતા સુરત તરફ જતા દેખાઇ રહ્યા છે. હાલ પોલીસ આસપાસના લોકોની પુછપરછ કરીને બાપુને શોધવાના કામે લાગી છે.