AHMEDABAD : કૃષિ સહાય પેકેજનો લાભ લેવા ખેડૂતોએ 24 ડીસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે

આ પેકેજનો લાભ મેળવવા માટે, અસરગ્રસ્ત ખેડૂતોએ તારીખ 24-12-2021 સુધીમાં જે તે ગામના ગ્રામપંચાયત ખાતેના વી.સી.ઇ / કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરી, તેમના મારફત ડીજીટલ ગુજરાત પોર્ટલ હેઠળ ઓનલાઇન અરજી કરાવવાની રહેશે.

AHMEDABAD : કૃષિ સહાય પેકેજનો લાભ લેવા ખેડૂતોએ 24 ડીસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે
| Edited By: | Updated on: Dec 22, 2021 | 12:10 AM

AHMEDABAD : ચાલુ વર્ષ ખરીફ ઋતુ 2021 માં સપ્ટેમ્બર માસના છેલ્લા પખવાડીયા દરમ્યાન થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન સંદર્ભે અમદાવાદ જીલ્લાના કુલ-4 તાલુકાઓ ધંધુકા, ધોળકા, ધોલેરા અને માંડલમાં, કુલ 135 નુકશાનગ્રસ્ત ગામોમાં SDRF હેઠળ સહાય આપવા અર્થે રાજયના કૃષિ વિભાગ દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે.

કૃષિ સહાય પેકેજમાં નુકશાનગ્રસ્ત ગામોના ખાતેદાર ખેડૂતો પૈકી 33 ટકા કે તેથી વધારે નુકશાન હોય તેવા તમામ ખેડુત ખાતેદારોને SDRFના ધારાધોરણ મુજબ ખાતા દીઠ 2 હેકટરની મર્યાદામાં હેકટર દીઠ રૂ.6800/- સુધીની કૃષિ ઇનપુટ સહાય આપવા ઠરાવેલ છે. વધુમાં આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વખત સહાય મળવાપાત્ર રહેશે તેમજ આ પેકેજનો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને મળવાપાત્ર થશે નહી.

આ પેકેજનો લાભ મેળવવા માટે, અસરગ્રસ્ત ખેડૂતોએ જે તે ગામના ગ્રામપંચાયત ખાતેના વી.સી.ઇ / કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરી, તેમના મારફત ડીજીટલ ગુજરાત પોર્ટલ હેઠળ ઓનલાઇન અરજી કરાવવાની રહેશે.

અરજી કરતી વખતે ગામના નમુના નંબર-8-અ, તલાટીશ્રીનો વાવેતરનો દાખલો, ગામ નમુના નંબર-7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, આધાર કાર્ડ સાથે લીંક હોય તેવા બેંક ખાતા નંબર, IFSC કોડ નંબર તથા નામ દર્શાવતી બેંક પાસબુકની નકલ, જો ખાતુ જમીન ખાતુ સંયુકત હોય તો અરજદાર સિવાયના અન્ય તમામ ખાતેદારોની સહીવાળો ના વાંધા અંગેનું સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે.

ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામુ વગેરે સાધનીક કાગળો સાથે તારીખ 24-12-2021 સુધીમાં ઓનલાઇન અરજી કરવા તેમજ સદર અરજી જે તે ગામના વી.સી.ઇ પાસે રૂબરૂમાં જમા કરવા તમામ અસરગ્રસ્ત ખેડૂતોને જણાવવામાં આવે છે. તથા ઓનલાઇન અરજી માટે અસરગ્રસ્ત ખેડુતોને કોઇપણ પ્રકારનો ચાર્જ, ફી કે મહેનતાણું ચુકવવાનું રહેશે નહી.

ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ સદર સહાયની ચુકવણી PFSM સીસ્ટમ થકી સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આથી તમામ ખેડૂતોએ બેંક ખાતુ ચાલુ હોય અને આધાર સીંડીંગ હોય તે બેંક ખાતાની વિગતો અરજી સાથે આપવાની રહેશે જેથી સહાય જમા ન થવાના પ્રશ્રો નિવારી શકાય.

વધુમાં જાહેર થયેલ જે તે તાલુકાના અસરગ્રસ્ત ગામોની વિગતો સંબંધિત ગામના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી (ખેતી) પાસેથી મળી રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, અમદાવાદની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Follow Us