Ahmedabad : કોરોના કાળમાં હોસ્પિટલે માનવતા મૂકી નેવે, બિલ ના ભરતા ડેથ સર્ટિફિકેટ માટે ઠાગાઠૈયા

|

Jun 20, 2021 | 11:33 AM

Ahmedabad : અમદાવાદની શ્રીજી હોસ્પિટમાં ( Shreeji Hospital) દર્દીના મૃત્યુના 2 મહિના થયા છે. આ પછી પણ ડેથ સર્ટી માટે જરૂરી વિગતો AMCને ન પહોંચાડીને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.

Ahmedabad : કોરોનાકાળમાં કેટલાક ડોકટરોએ દિવસ રાત જોયા વિના દર્દીઓને સાજા કરવા માટે મહેનત કરી છે તો કેટલાક ડોક્ટરો અને હોસ્પિટલ દ્વારા કોરોનાકાળમાં માનવતા ભૂલીને દર્દી અને દર્દીના પરિવારજનોને હેરાન કરવામાં કોઈ કસર છોડી નથી. અમદાવાદની શ્રીજી હોસ્પિટલે ( Shreeji Hospital) દર્દીના મૃત્યુના 2 મહિના પછી પણ ડેથ સર્ટી માટે જરૂરી વિગતો AMCને ન પહોંચાડીને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી શ્રીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.આ શ્રીજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 8 એપ્રિલે એડવોકેટ અશ્વિન પંચાલ એડમિટ થયા હતા અને 21 એપ્રિલે તેઓનું અવસાન થતા તેમનો મૃતદેહ અનેક રજુઆત પછી તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો.પરંતુ હોસ્પિટલનું તોતિંગ બિલ બાકી હોવાને કારણે હોસ્પિટલ દ્વારા તેમના ડેથ સર્ટિફિકેટની પ્રોસેસને રોકી દેવામાં આવી છે.

કોઈપણ વ્યક્તિના હોસ્પિટલમાં મૃત્યુ બાદ કોર્પોરેશનના નિયમ મુજબ ત્રણથી 21 દિવસ દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિની વિગતો કોર્પોરેશનને આપવાની હોય છે પરંતુ આ હોસ્પિટલે અશ્વિન પંચાલના મૃત્યુના લગભગ બે મહિના પછી પણ કોર્પોરેશનને વિગતો પહોંચાડી નથી. જેથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનો ડેથ સર્ટિફિકેટ માટે ધક્કા ખાઈ રહ્યા છે.

ધક્કા ખાઈ ખાઈને કંટાળેલા મૃતક અશ્વિન પંચાલની પત્ની દ્વારા આખરે કોઈ વિકલ્પ ન બચતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને આ હોસ્પિટલ દ્વારા થતી હેરાનગતિને લઈને અરજી કરી મદદ માંગી છે..

મૃતક અશ્વિન પંચાલની પત્નીએ એડવોકેટ મારફતે અત્યારે તો હેલ્થ સબંધિત તમામ ખાતાઓમાં અરજી કરી છે તેમનું કહેવુ છે કે મને મારા પતિના મૃત્યુનો દાખલો નથી મળી રહ્યો જેથી અન્ય જે લાભો મળવા લાયક છે તે મળી શકતા નથી અને ઘરના મોભી કોરોના કાળમાં ગુમાવ્યા બાદ ઘરમાં કમાવવા વાળું કોઈ છે નહીં અને પરિવારમાં ફક્ત બે નાની નાની દિકરીઓ જ છે તેમનું જીવન ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ થઈ રહ્યું છે.

તેવામાં હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવેલું મસમોટું બિલ કેવી રીતે ચૂકવી શકશે તે મુશ્કેલી છે.હોસ્પિટલ દ્વારા ફક્ત 13 દિવસનું 4,23,484 રૂપિયાનું મસમોટું બિલ બનાવવામાં આવ્યું છે.જેમાં ડોક્ટરની વિઝીટ સહિત અનેક ચાર્જ ખોટા લગાવવામાં આવ્યા હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.આ બિલ ઉપરાંત દર્દીની સારવાર માટે ટોસીલીઝુમેબ ઇન્જેક્શન પણ હોસ્પિટલના ડોકટરના કહેવાથી હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી 1.30 લાખ રૂપિયાનું ખરીદવામાં આવ્યું હતું.

Next Video