Ahmedabad: શહેરમાં કોરોનાનો કહેર ઘટતા AMTS-BRTS બસ ફરી ચલાવવાનો નિર્ણય કર્યો હતો. શનિવારે બસ ફરી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી બસનું સંચાલન બંધ હતું. ત્યારે આજથી AMTS-BRTS બસ ફરી શરૂ થઈ હતી. બસને પહેલા સૅનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્રણ મહિના બાદ શરૂ થયેલી AMTS , BRTSના આવકના આંકડાની વાત કરીએ તો પહેલા દિવસે AMTSને રૂપિયા 3.45 લાખ આવક થઈ છે. જ્યારે BRTSને રૂપિયા 3.57 લાખ આવક થઈ છે. AMTSમાં 300 બસમાં 44,731 મુસાફરોએ મુસાફરી કરતા રૂપિયા 3.45 લાખ આવક થઈ છે, જ્યારે જ્યારે BRTSમાં 28,263 મુસાફરોએ મુસાફરી કરતા રૂપિયા 3.57 લાખ આવક થઈ છે.
AMTS-BRTS બસોમાં 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે. શહેરમાં સીટી બસ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલું રહેશે. હાલ 50 ટકા બસો જ ચાલુ કરવામાં આવશે. બસોને સેનિટાઈઝ સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.
વેપાર ધંધા શરૂ થતાં લોકોને પરિવહનના સાધનની જરૂર હોવાથી AMTS-BRTS ચાલુ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ મુસાફરોએ પણ મુસાફરી દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે. બસના કર્મચારી નિયમ ભંગ કરશે તો 200 રૂપિયા દંડ કરવામાં આવશે તો બીજી તરફ મુસાફરોને નક્કી કરેલ સ્ટેશનની જ ટિકિટ આપવામાં આવશે.
કોરોના પહેલા AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. તેથી AMTSની રોજની આવક 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તેથી અઢી લાખ લોકો જ બસનો ઉપયોગ કરતા હતા.
AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે. સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવર્સ અને કંડકટર્સની રોજગારી ઉપર પણ અસર થઈ છે. જે સરકારે રાજયના તમામ શહેરોમાં પચાસ ટકા ક્ષમતા સાથે શહેરીબસ સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે.