ઉત્તરપ્રદેશમાં અયોધ્યા ખાતે નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિર માટે જનભાગીદારી અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજ્ય સહિત સમગ્ર દેશમાં નિધિ સમર્પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. VHPના નિધિ સમર્પણ અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો દિલ ખોલીને રામ મંદિર માટે દાન આપી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઘણા વ્યક્તિઓ અને સંસ્થાઓ લાખો અને કરોડો રૂપિયાનું દાન આપી ચૂક્યા છે. ત્યારે AHMEDABADથી માત્ર 10 કિમી. દૂર લાંભા ગામે બળિયાદેવની પવિત્ર ધાર્મિક સંસ્થાએ પણ રામ મંદિર નિર્માણ માટે મોટું દાન આપ્યું છે.
શ્રી લાંભા નવા બળિયાકાકા પ્રો. ટ્રસ્ટે આપ્યું 1 કરોડનું દાન
AHMEDABADના વટવા નજીક લાંભા ગામે આવેલ પ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી લાંભા નવા બળિયાકાકા પ્રોપર્ટી ટ્રસ્ટે અયોધ્યા ખાતે નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિર માટે રૂ. 1 કરોડના દાનની જાહેરાત કરી છે. શ્રી લાંભા નવા બળિયાકાકા પ્રોપર્ટી ટ્રસ્ટની વહીવટદાર કમિટીએ શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાયને આ અંગે એક પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે અયોધ્યા ખાતે નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિર માટે રૂ.1 કરોડનું દાન આપીને અમારું ટ્રસ્ટ તેમજ સમગ્ર હિન્દુ સમાજ દિવ્યભાવની અનુભૂતિ કરે છે.
સાધુ-સંતોની હાજરીમાં ચેક અર્પણ કરાશે
શ્રી લાંભા નવા બળિયાકાકા પ્રોપર્ટી ટ્રસ્ટની વહીવટદાર કમિટીના નિખિલભાઈ પટેલે જણાવ્યું કે 2 ફેબ્રુઆરીના દિવસે ટ્રસ્ટની વહીવટદાર કમિટીના સભ્યો દ્વારા સાધુ-સંતોની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ગુજરાત ક્ષેત્ર મંત્રી
અશોકભાઈ રાવલ, ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી અશ્વિનભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સહકાર્યવાહ ડો.સુનિલભાઈ બોરીસા સહિતના આગેવાનોને ટ્રસ્ટ દ્વારા રૂ.1 કરોડનો ચેક અર્પણ કરવામાં આવશે.
#Ahmedabad : Lambha Nava Baliya Kaka Property Trust donates Rs. 1 crore for construction of #RamMandir in Ayodhya.#TV9News#UttarPradesh #RamTemple pic.twitter.com/FuLFb6s1Y6
— tv9gujarati (@tv9gujarati) February 1, 2021