Ahmedabad : કેન્સર પીડિત દર્દીઓનો આત્મવિશ્વાસ વધારવા અને તેમનું દુઃખ અડધું કરવા માટે દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ રોઝ ડે (World Rose Day)મનાવવામાં આવે છે. જીસીએસ હોસ્પિટલ દ્વારા આ નિમિતે કેન્સરના દર્દીઓ માટે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્સર વોર્ડમાં 30 જેટલા દર્દીઓને ગુલાબનું ફૂલ અને ખાસ કાર્ડ આપીને તેમની હિમ્મતને બિરદાવવામાં આવી હતી.
કેન્સર માણસને ફક્ત શારીરિક જ નહિ પરંતુ માનસિક રીતે પણ પાયમાલ કરી નાખે છે. અને એ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ રાખી આગળ વધવું ખૂબ જ અઘરું થઇ જાય છે. મોટાભાગે લોકો કેન્સરનું નામ સાંભળીને જ ડરી જાય છે અને તેમને લાગે છે કે હવે તેઓ લાંબું જીવી શકશે નહિ. લોકોની અંદર કેન્સરની સામે લડવા હિંમત જગાવવા માટે જ વર્લ્ડ રોઝ ડે મનાવવામાં આવે છે. જેમાં દર્દી અને તેમના પરિવારને ખુશનુમાં માહોલ આપવાનો પણ પ્રયાસ કર્યો છે.
તદ્ઉપરાંત આ પરિસ્થિતિમાં પોતાનું ધ્યાન કેવી રીતે રાખવું તે પણ જીસીએસ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીસીએસ હોસ્પિટલમાં કેન્સરના નિષ્ણાત ડૉક્ટરો ડો. કીર્તિ પટેલ, ડો. કલ્પેશ પ્રજાપતિ અને કેન્સરના સર્જન ડો. તનય શાહ, ડો. આદિત્ય જોશીપુરા અને ડો. દેવેન્દ્ર પરીખ ફરજ બજાવે છે. ડોક્ટર પણ તેમની આ જંગમાં મહત્વનો ભાગ ભજવે છે અને તેમનું પણ ગુલાબ અને આભાર કાર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
વર્લ્ડ રોઝ ડે(World Rose Day) કેનેડામાં રહેતી 12 વર્ષીય મેલિન્ડા રોઝની યાદમાં મનાવવામાં આવે છે. વર્ષ 1994માં મેલિન્ડાને જ્યારે બ્લડ કેન્સર થયું હતું. ત્યારે ડૉક્ટર્સે કહ્યુ હતું કે મેલિન્ડા હવે 2 અઠવાડિયાથી વધુ જીવી શકશે નહીં. પરંતુ મેલિન્ડાએ હાર ન માની અને ડૉક્ટર્સની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી બતાવી. મેલિન્ડા 6 મહીના સુધી જીવિત રહી પરંતુ સપ્ટેમ્બર મહિનામાં તેણે દુનિયાને અલવિદા કહી દીધું. 12 વર્ષીય મેલિન્ડાએ જે રીતે 6 મહિના સુધી કેન્સર સામે લડત લડી હતી તે તમામ કેન્સર પેશેન્ટ માટે એક પ્રેરણા અને તાકાતનું ઉદાહરણ આપે છે.
જીસીએસ હોસ્પિટલએ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રીલેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલમાં હાલમાં કોવિડ દર્દીઓની સારવાર ઉપરાંત નોન-કોવિડ દર્દીઓની માટે પણ સાવચેતીના તમામ જરૂરી પગલાં સાથે બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજસેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવાદરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.