આજે ભાજપની વિધાનસભા દળની બેઠક યોજાઈ છે જેમાં ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ ધારાસભ્ય દળની બેઠકમાં કનુ દેસાઈએ મૂક્યો હતો. પૂર્ણેશ મોદી, મનિષા વકીલ અને રમણ પાટકરે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. નવા મંત્રીમંડળની રચના માટે ભાજપના નિરિક્ષકો રાજનાથ સિંહ, બી.એસ.યેદુરપ્પા અને અર્જુન મુંડા સહિતના નિરીક્ષક કમલમ ખાતે પહોંચી ગયા હતા. વિધાનસભા દળની બેઠક બાદ સાંજે 4 કલાકે સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. નવી સરકારની શપથવિધી 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે.
સીએમના નામની જાહેરાત બાદ ભાજપની ડેલીગેશન રાજભવન જશે. તો સરકારના મંત્રીમંડળમાં અનેક જૂના જોગીઓને રિપીટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આ સાથે જ નવા મંત્રીમંડળમાં બ્રાહ્મણ, ઓબીસી અને આદિવાસી ચહેરાઓને વધારે સ્થાન મળે એવી શક્યતા વર્તાઈ રહી છે.
હાલ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, શંકરસિંહ ચૌધરી, જેઠા ભરવાડ, શંભુ પ્રસાદ ટુંડિયા, જીતુ વાઘાણી, લવિંગજી ઠાકોર,નરેશ પટેલ સહિતના ધારસભ્યો કમલમ પહોંચ્યા છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું, હું ભાજપનો કાર્યકર્તા છું, પાર્ટી જે જવાબદાર સોંપશે તે પૂર્ણ કરી. તો બેઠકમાં ભાગ લેવા આવેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કહ્યું કે, કોઈ પ્રધાન પદની લાલસા નથી, પક્ષે ટિકિટ આપી એ જ મોટી વાત. ધારાસભ્ય દળની બેઠકમાં આવેલા થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ચૂંટણી દરમિયાન કરેલા સંકલ્પ પૂરા કરવાની ખાતરી આપી. વધુમાં તેમણે કહ્યું કે-પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસની રાજનીતિ થઈ છે. સંકલ્પ કરેલા કાર્યો પૂરા કરવા માત્ર ધારાસભ્ય નહીં પણ કાર્યકરોની ટીમ પણ તેમાં કાર્યરત રહેશે. બીજી તરફ પાર્ટી જે નિર્ણય કરશે તે શિરોમાન્ય. આ નિવેદન આપ્યું છે કુંવરજી બાવળિયાએ. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ ધારાસભ્ય દળની બેઠક પહેલા મંત્રી મંડળમાં સ્થાન અંગે કુંવરજી બાવળિયાએ કહ્યું કે પાર્ટી જે નિર્ણય કરશે તે સ્વીકારીશ, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં સમાજના લોકો મારા પ્રત્યે મીટ માંડીને બેઠા છે.
તો ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પહોંચ્યા છે. કમલમ પહોંચેલા વિજય રૂપાણી ભાજપની આ ઐતિહાસિક જીત ગણાવી. વધુમાં તેમણે કહ્યું ભાજપની આ ભવ્ય જીતની સાથે ગુજરાતમાં કૉંગ્રેસના સૂપડા પણ સાફ થઈ ગયા છે.
Published On - 12:37 pm, Sat, 10 December 22