
પહેલગામ હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાની નાગરિકો સામે કડક કાર્યવાહી શરુ કરી છે. તમામને આ દેશ છોડી દેવા માટે સૂચના આપી દીધી છે. જો કે આ દરમિયાન સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારની એક મદરેસાથી ભાગેલા 8 મુસ્લિમ બાળકો હિંમતનગર રેલવે સ્ટેશન પર ગભરાયેલી હાલતમાં મળી આવ્યા છે.
આ તમામ બાળકો ઉદયપુર જતી એક ટ્રેનમાં બેસેલા હતા, જ્યાં રેલવે પોલીસની બાળકો પર નજર પડી હતી. પોલીસ દ્વારા પુછપરછ કરતા બાળકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે. બાળકોની ઉંમર 10થી 14 વર્ષની વચ્ચે છે અને તેઓ મદરેસામાં રહી અભ્યાસ કરતા હતા. પ્રાથમિક પુછપરછમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે મદરેસામાં બાળકો પર માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોઈ શકે છે. જેથી તમામ બાળકોને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને મેડિકલ ચેકઅપ કરાવાયો છે.
બાળકોના નિવેદનો પણ લેવાઈ રહ્યા છે અને તે આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, બાળકોને પરત લેવા માટે આવેલ મદરેસાના સંચાલકોની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પહેલગામ આતંકી હુમલાને લઈ રેલવે પોલીસ સતત ટ્રેનો પર નજર રાખી રહી છે. આ બાળકો પર શંકા જતા અને તેમની તપાસ હાથ ધરાતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકો તલોદથી ટ્રેનમાં બેસ્યા હતા અને રાત્રિ દરમ્યાન મદરેસાથી પગપાળ નીકળી ગયા હતા. હાલમાં પોલીસ સમગ્ર મામલે ગુનાહી દૃષ્ટિએ પણ તપાસ ચલાવી રહી છે.
Published On - 1:24 pm, Mon, 28 April 25