સુરતના બેગમપુરા વિસ્તારમાં મૂંગા પશુ પક્ષીઓ માટે કામ કરતી એનિમલ ફ્રેન્ડ હેલ્પલાઇન નામની સંસ્થા પર એક કોલ મળ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી એક શ્વાનના પગમાં પતરાનું નાનું ટીન બહુ ખરાબ રીતે ફસાયેલું છે. એનિમલ ફ્રેન્ડ સંસ્થાના સભ્યોએ ત્યાં જઈને તપાસ કરી તો માલુમ પડ્યું કે એ શ્વાન દર્દથી કણસતું હતું અને પગમાં ફસાયેલા એ પતરાના ટીનના કારણે તે કોઈને નજીક પણ આવવા દેતું ન હતું અને બેકાબુ બની ગયું હતું.
જેથી બીજા દિવસે આ સંસ્થાના સ્વયંસેવક ચિરાગ વણકર, મેહુલ હોટેલ, પ્રતીક પ્રજાપતિ અને સાદીક પઠાણે મળીને 3 કલાકથી પણ વધુ મહેનત બાદ 12માં પ્રયત્ને ખૂબ મુશ્કેલીથી શ્વાનને રેસ્ક્યુ કર્યું અને તેના પગમાં ફસાયેલા ટીનને કાઢ્યું.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ટીન તે શ્વાનના પગમાં છેલ્લા 2 મહિનાથી ફસાયેલું હતું અને તેના કારણે તેના પગના નીચેના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. સ્વયંસેવકોએ સ્થળ પર જ આ શ્વાનની સારવાર કરી જેથી તેનો પગ જલ્દી સાજો થઈ શકે.
એનિમલ ફ્રેન્ડ સંસ્થાના સભ્યોએ લોકોને એ પણ અપીલ કરી છે કે આવા ટીન રસ્તા પર ન ફેંકતા કચરાપેટીમાં જ નાંખવા જોઈએ જેથી આવા મૂંગા પશુઓને તેનો ભોગ બનવું ન પડે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:03 am, Mon, 7 September 20