વિવેક અગ્નિહોત્રીએ અરવિંદ કેજરીવાલની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ટિપ્પણી માટે ઉડાવી મજાક

અરવિંદ કેજરીવાલે ગઈકાલે જે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ માટે ટિપ્પણી કરી હતી, તેના લીધે તેઓ સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થઇ રહ્યા છે. આ અંગે આજે ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ તેમની મજાક ઉડાવી છે.

વિવેક અગ્નિહોત્રીએ અરવિંદ કેજરીવાલની ધ કાશ્મીર ફાઇલ્સ પર ટિપ્પણી માટે ઉડાવી મજાક
Vivek Agnihotri
| Edited By: | Updated on: Mar 26, 2022 | 8:14 PM

બોલીવુડની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) ઠેર- ઠેર જગ્યાએથી લોકોની પ્રશંસા મેળવી રહી છે. આ ફિલ્મના નિર્માતા વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ગઇકાલે (25/03/2022)ના રોજ પત્રકાર પરિષદ માટે માખનલાલ ચતુર્વેદી નેશનલ યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન, ભોપાલ ખાતે ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે અરવિંદ કેજરીવાલની (Arvind Kejrival) ટિપ્પણી માટે મજાક ઉડાવી હતી. અરવિંદ કેજરીવાલ તેમની આ કમેન્ટથી સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થયા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત બનાવવા અંગેની તેમની તાજેતરની અપમાનજનક ટિપ્પણી માટે સમગ્ર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાનો સામનો કરી રહ્યા છે અને હવે ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

આ ઇવેન્ટ દરમિયાન, વિવેક અગ્નિહોત્રીને રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હીમાં (NCR) ફિલ્મને કરમુક્ત જાહેર કરવાની માગ કરવાને બદલે YouTube પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અપલોડ કરવા માટે પત્રકારે અરવિંદ કેજરીવાલના નિવેદન પર ટિપ્પણી કરવાનું કહેવામાં આવ્યું. તેના પર પ્રતિક્રિયા આપતા, 48 વર્ષીય  વિવેક અગ્નિહોત્રીએ મજાકમાં કહ્યું કે, “ઘણા લોકો ઇચ્છે છે કે ભગવાન પૃથ્વી પર આવે. આ એવા લોકો છે જે મૂર્ખ છે અને પાગલ છે. આવા વર્ગના લોકોને ટાળવા જોઈએ, તેમને જવાબ આપવો જોઈએ નહીં,” તેમણે આગળ ઉમેર્યું હતું.

તમને જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભામાં તેમના તાજેતરના ભાષણ દરમિયાન, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “તેઓ (ભાજપ) માગ કરી રહ્યા છે કે આ ફિલ્મને દિલ્હીમાં કરમુક્ત જાહેર કરવામાં આવે. તેને યુટ્યુબ પર ફ્રીમાં અપલોડ કરો, ફિલ્મ મફત બની જશે અને દરેક વ્યક્તિ તેને જોઈ શકશે.” તેમણે આગળ કહ્યું કે, “કેટલાક લોકો કાશ્મીરી પંડિતોના નામે કરોડો કમાઈ રહ્યા છે અને તમે (ભાજપ) ફિલ્મના પોસ્ટર ચોંટાડી રહ્યા છો.” આ કમેન્ટ બાદ અરવિંદ કેજરીવાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થઇ રહ્યા છે.

આ અગાઉ, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પીઢ અભિનેતા અનુપમ ખેરે પણ તેના જવાબમાં એક ટ્વિટ શેર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે જેઓ આ દુર્ઘટનાની મજાક ઉડાવી રહ્યા છે, કૃપા કરીને તેમને તમારી શક્તિનો અહેસાસ કરાવો. હવે દરેક વ્યક્તિ આ ફિલ્મ સિનેમાહોલમાં જઈને જ જુવે.” ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ, જે વર્ષ 1990માં કાશ્મીરી પંડિતોના નરસંહારની કથા દર્શાવે છે. આ ફિલ્મમાં પલ્લવી જોષી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પુનીત ઇસાર, મૃણાલ કુલકર્ણી જેવી મજબૂત સ્ટારકાસ્ટ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ હાર્ડ-હિટિંગ ડ્રામા તાજેતરમાં બોક્સ ઓફિસ પર ₹ 200 કરોડનો આંકડો વટાવી ચુકી છે.  આ ફિલ્મને ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, ગોવા, હરિયાણા અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે.

 

આ પણ વાંચો – The Kashmir Files: આ રાજ્યમાં બનશે કાશ્મીરી પંડિત ‘નરસંહાર મ્યુઝિયમ’, વિવેક અગ્નિહોત્રીએ આભાર વ્યક્ત કર્યો