થોડાક દિવસોથી, ‘ઇન્ડિયન આઇડલ 12’ (Indian Idol) ને લઈને એક વિવાદ થયો હતો જ્યારે કિશોર કુમારના પુત્ર અમિત કુમારે નિવેદન આપ્યું હતું કે નિર્માતાઓએ તેમને બળજબરીથી સ્પર્ધકોની પ્રશંસા કરવાનું કહ્યું હતું. અમિતના આ નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો. આ મામલે ઘણા ગાયકોએ તેમની જુદી જુદી પ્રતિક્રિયા આપી હતી.
આ સાથે જ પ્રખ્યાત સિંગર અભિજિત ભટ્ટાચાર્યે (Abhijeet Bhattacharya) પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિજિત કહે છે કે ‘ કોઈ વિવાદ હતો જ નહીં, વાતનું વતેસર કરવામાં આવ્યું’.
એક ઈન્ટરવ્યુમાં વાત કરતાં અભિજિતે કહ્યું હતું કે, ‘કોઈ વિવાદ હતો જ નહીં. મેં ખુદ આ બાબતે અમિત કુમાર સાથે વાત કરી હતી, પહેલી વાત કે તેમણે કેમેરા સામે નિવેદન આપ્યું ન હતું. તેમનો આ પ્રકારનો કોઈ વીડિયો અથવા ઓડિયો નહોતો, લોકોએ તેના પર વિશ્વાસ કરી લીધો જે પ્રિન્ટ મીડિયામાંથી બહાર આવ્યું છે. આ બધું ફક્ત વાતનું વતેસર કરવાનું હતું.
શું કહ્યું હતું અમિત કુમારે…
કિશોર કુમાર વિશેષ એપિસોડ બાદ, અમિત કુમારે એક ઇન્ટરવ્યુમાં વાત કરતાં કહ્યું કે, ‘સત્ય એ છે કે કોઈ પણ કિશોર કુમારની જેમ ગાઈ શક્તું નથી. આજના લોકોને તેમના વિશે કોઈ ખ્યાલ નથી. તેઓ ફક્ત ‘રૂપ તેરા મસ્તાના’ ને જાણે છે. મને જે કરવાનું કહ્યું હતું તે મેં કર્યું. મને કહ્યું કે મારે ત્યાં દરેકની પ્રશંસા કરવાની છે, પછી ભલે કોઈ ગમે તેવું ગાતા હોય, કારણ કે તે કિશોર દા માટે શ્રદ્ધાંજલિ હતી.
મેં તેમને અગાઉ મને સ્ક્રિપ્ટના કેટલોક ભાગ બતાવવા કહ્યું હતું, પરંતુ તે કરવામાં આવ્યું નહી. ‘ પૈસાની જરૂરત દરેકને હોય છે, તેઓએ મને તેટલા પૈસા આપ્યા હતા જેટલા મેં માગ્યા હતા. તો હું ત્યાં કેમ ન જાવ. બસ, હું એક વાત કહેવા માંગુ છું કે, જો હવે પછી કિશોરકુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવે, તો આવું કંઇ ન થવું જોઈએ.’