Gautam Prajapati | Edited By: Bipin Prajapati
Feb 08, 2021 | 10:24 AM
ગઝલ સમ્રાટ જગજીત સિંહના અવાજનો જાદુ આજે એટલો જ અસરકારક છે. જગજીતે તેની વ્યક્તિગત જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા. ચિત્રા સિંહ સાથેની તેમની લવ સ્ટોરી પણ ખુબ ચર્ચામાં રહી. જગજીત સિંહના જન્મદિવસ પર તેમના અંગત અને વ્યવસાયિક જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.
જગજીતસિંહનો જન્મ 8 ફેબ્રુઆરી 1941 માં બીકાનેરમાં થયો. નાનપણથી જ તેમને સંગીતમાં રસ હતો. સંગીતની તાલીમ લઈને તેમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. જગજીત સિંહ એક સ્ટુડિયોમાં જિંગલ રેકોર્ડ કરતી વખતે ચિત્રા સિંહને મળ્યો.
ચિત્રાએ જગજીત સાથેની તેમની પહેલી મુલાકાત વિશે વાત કરતાં કહ્યું હતું કે "હું જગજીત સિંહને એક રેકોર્ડિંગ દરમિયાન મળી જેમાં મ્યુઝિક ડિરેક્ટર ઘણા ગાયકોના અવાજોને મેળવીને આલ્બમ બનાવવા માંગતા હતા. જ્યારે મેં પહેલી વાર જગજીતસિંહનો અવાજ સાંભળ્યો ત્યારે મેં તેમની સાથે ગાવાની ના પાડી. તેમનો અવાજ ખૂબ જ ભારે હતો અને મને લાગ્યું કે હું તેમની સાથે ગાવા માટે અસમર્થ છું.''
બાદમાં બંનેએ સાથે મળીને ઘણા ગીતો તેમજ ગઝલ ગાયી. અને બંને એક બીજાની નજીક આવી ગયા. પરંતુ તે સમયે ચિત્રાનાં લગ્ન પ્રસાદ દત્ત સાથે થઇ ગયેલા હતા. તેમજ તેમને મોનિકા નામની પુત્રી પણ હતી. ચિત્રા તેની પુત્રી સાથે અલગ રહેતા હતા.
ચિત્રા અને તેના પતિના લગ્નમાં ઘણુંબધુ બરાબર ચાલતું ન હતું. જગજીત સિંહ ચિત્રાને ખૂબ જ ચાહવા લાગેલા. પરણિત હોવાથી ચિત્રાએ જગજિતને પહેલા ના પાડી દીધી હતી. અને પછી જગજીત ચિત્રાના પતિ પાસે ગયા. તેને કહ્યું - 'હું તારી પત્ની સાથે લગ્ન કરવા માંગું છું'. જગજિત-ચિત્રાએ વર્ષ 1969 માં લગ્ન કર્યા.
જગજિત સિંહના જીવનમાં મોટી દુર્ઘટના સર્જાઇ જ્યારે તેમના 20 વર્ષના પુત્ર વિવેકનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. આ પછી ચિત્રાએ ગાવાનું છોડી દીધું. અને અધ્યાત્મ તરફ વળી ગયા. તે જ સમયે આ દુખનો પ્રભાવ જગજીત સિંહના ગીતોમાં જોવા મળ્યો. 10 ઓક્ટોબર 2011 ના રોજ, જગજીતનું 70 વર્ષની વયે મુંબઇમાં અવસાન થયું.