તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Laal Singh Chaddha) ના યુનિટ પર લદ્દાખમાં શૂટિંગ દરમિયાન ગંદકી ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, હવે આ અહેવાલોને આમિર ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે. આમિર ખાનના પ્રોડક્શન હાઉસે એક નિવેદન જારી કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે જ્યારે તેઓ લદ્દાખ છોડીને ગયા હતા, ત્યારે શૂટિંગ વાળી જગ્યાથી સંપૂર્ણ સફાઈ કરીને નીકળ્યા હતા.
આમિર ખાનની ટીમે તેમના નિવેદનમાં લખ્યું છે – આ કોઈ પણ માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. AKP એટલે કે આમિર ખાન પ્રોડક્શન્સ સ્પષ્ટતા કરવા માંગે છે કે એક કંપની તરીકે અમે અમારા શૂટિંગના સ્થળો અને આસપાસ સ્વચ્છતા માટે કડક પ્રોટોકોલનું પાલન કરીએ છીએ.
સ્થાનિક અધિકારીઓ તપાસ કરી શકે છે
નિવેદનમાં આગળ લખ્યું છે- અમારી પાસે એક ટીમ છે કે જે સુનિશ્ચિત કરે છે કે સ્થળને હંમેશાં કચરા મુક્ત રાખવામાં આવે છે. દિવસના અંતે સમગ્ર સ્થળની ફરીથી તપાસ કરવામાં આવે છે. શેડ્યૂલના અંતે, અમે ખાતરી કરીએ છીએ કે જ્યારે અમે કોઈ સ્થાન છોડીએ છીએ, ત્યારે અમે તેને તેટલું જ સાફ છોડીશું જેટલું અમને મળ્યું હતું.
આ સાથે આમિરની ટીમે એમ પણ કહ્યું કે તેમની ટીમે ગંદકી ફેલાવી નથી. જો સ્થાનિક અધિકારીઓ તપાસ કરવા માંગતા હોય, તો તેઓ તે કરી શકે છે, તેનાથી તેમને કોઈ સમસ્યા નથી. અમારું માનવું છે કે શુટિંગના સ્થાનને સ્વચ્છ ન રાખતા હોવાની કેટલીક અફવાઓ / આક્ષેપો થયા છે. અમે આવા દાવાઓને ભારપૂર્વક નકારી કાઢીએ છીએ. અમે સ્થાનિક અધિકારીઓની તપાસ માટે હંમેશાં તૈયાર છીએ.
— Aamir Khan Productions (@AKPPL_Official) July 13, 2021
આપને જણાવી દઈએ કે ગત સપ્તાહે આમિર ખાનની ટીમે લદ્દાખમાં લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ બાદ તેમની સફાઇ કર્યા વિના તે વિસ્તાર છોડવાનો આરોપ મૂકાયો હતો. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જ્યા ઘણી પાણીની બોટલો તે સ્થાન પર પડેલી જોવા મળી હતી. અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ આ વીડિયોને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતી વખતે સવાલ ઉઠાવ્યા હતા.