ગુજરાતમાં ચૂંટણીનો (Gujarat Assembly Election) ઢોલ વાગી ચૂક્યો છે, જાન હવે માંડવે પહોંચે એટલી જ વાર છે. એટલે કે ચૂંટણીપંચ તારીખ જાહેર કરે એટલી જ વાર છે. ભાજપ (BJP) કોંગ્રેસ અને અને આમ આદમી પાર્ટી તમામ પક્ષના નેતાઓ, ગુજરાતમાં સત્તા મેળવવા શહેરથી લઈ ગામની ગલી સુધી લોકોને રીઝવવા અને મત મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ભાજપે વડાપ્રધાન મોદીને જ મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી પહેલા અત્યાર સુધીમાં PM મોદીએ (PM Modi) તો અડધાથી વધુ ગુજરાત કવર કરી લીધું છે. કચ્છથી (Kutch) લઈને નવસારી સુધી રોડ-શોથી લઈને સભાઓ ગજવી PM મોદીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ બધાની વચ્ચે હવે તેઓ ફરી 19 અને 20 ઓક્ટોબર બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં તેઓ સૌરાષ્ટ્રના ગઢ ગણાતા રાજકોટમાં જનસભા સંબોધશે, તો જૂનાગઢમાં પણ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરી ડબલ એન્જિનની સરકારની તેમની વાતને સાર્થક કરશે.
ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર બેઠેલી ભાજપ માટે આ વખતની ચૂંટણી વધારે મહત્વ ધરાવે છે, કારણ કે 2024 લોકસભાની ચૂંટણી જીતવા આ મહત્વનું પરિબળ સાબિત થશે. તો સાથે જ વડાપ્રધાન મોદીના વતનને કારણે પણ અહીં મહત્તમ બેઠકો જીતવી એ ભાજપ માટે જરૂરી બની ગયુ છે. જો કે 365 દિવસ ચૂંટણી માટે એક્શનમાં રહેતી ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Election 2022) રણનિતી ઉતર પ્રદેશ, ઉતરાખંડ, ગોવા અને મણિપુર રાજ્યમાં મળેલી જીત બાદ તરત જ આદરી હતી.
મહત્વનું છે કે, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત કરી ચૂંટણી પ્રચારની (BJP Campaign) શરૂઆત કરી દીધી હતી. ચૂંટણી પહેલા અત્યાર સુધીમાં તેઓ લગભગ 10 વખત ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે. જો અત્યાર સુધીના વડાપ્રધાન મોદીના ચૂંટણી પ્રચારની વાત કરીએ તો તેમનું સૌથી વધારે ફોકસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત (North Gujarat) રહ્યું છે. જો વિગતે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તેમણે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના જિલ્લાઓ કવર કર્યા છે. એટલે કે એ બેઠક પર સૌથી વધારો ફોકસ રહ્યું છે, જ્યાં ભાજપને 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસની સરખામણીએ ઓછી બેઠક મળી હતી. જો અહીંના રાજકીય ગણિત પર નજર કરીએ તો 2017ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 વિધાનસભા બેઠકોમાંથી (Assembly Seat) ભાજપને 14 બેઠકો મળી હતી, તો કોંગ્રેસે 17 બેઠકો પર બાજી મારી હતી. એટલે કે ઉત્તર ગુજરાતમાં પાટીદાર આંદોલન સહિતના પ્રશ્નોને કારણે ભાજપને અહીં નુકશાન થયુ હતુ. જો કે આ વખતે હાર્દિક પટેલ સહિત અને અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓના કેસરિયા સહિતના મુદ્દાઓને કારણે આ વખતે રાજકીય સમીકરણો કંઈક જુદા જ સર્જાઈ શકે છે.
હવે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો વડાપ્રધાન મોદીના નામ પર જ ચૂંટણી લડતી ભાજપ પાર્ટીએ ગ્રામ્ય વિસ્તારો પર કાઠુ કાઢવા મથામણ કરી છે. અહીં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગ્રામ્ય મતદારોનો વિશ્વાસ મેળવવામાં સફળ રહી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો છે. જેમાં સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી 2017માં ભાજપને 19 બેઠક તો કોંગ્રેસે 28 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે 1 બેઠક પર અપક્ષે વિજય મેળવ્યો હતો. એટલે કે સૌરાષ્ટ્રના (Saurashtra) ગ્રામ્ય વિસ્તારો કોંગ્રેસનો ગઢ ગણાય છે. જેથી આ ગઢના કાંગરા ખેરવવા હાલ ભાજપ શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ વખત આવી ચૂક્યા છે. જેમાં પણ પાટીદારને સેન્ટરમાં રાખી પ્રચાર કરવા પ્રયાસ કર્યો. આટકોટથી લઈને પાટીદારોના ગઢ ગણાતા એવા જામકંડોરણામાં તેમણે જનસભા ગોઠવી મતદારોને વિકાસગાથા વર્ણવી રીઝવવા પ્રયત્ન કર્યા હતા.
ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ જોઈ તો ત્રીજા પક્ષ આમ આદમીનો પણ સતત પ્રવાસ જોવા મળી રહ્યો છે. દિલ્હીના CM કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માન પણ ગુજરાત ખુંદી રહ્યાં છે. પરંતુ તેની સામે વડાપ્રધાન મોદીએ એકલા હાથે અડધા ગુજરાતની સફર ચૂંટણી પહેલા જ પૂર્ણ કરી છે. જોકે તમામ નેતાઓની સભામાં ભીડ તો ઉમટી રહી છે. પરંતુ હવે તેમાંથી EVM સુધી કેટલાના હાથ પહોંચે છે તે સમય જ બતાવશે.