
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબનો જામ્યો છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બંને તબક્કાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો ચૂંટણીના (Gujarat Election 2022) મેદાનમાં છે. એક તરફ નેતાઓ મતદારોને રીઝવવા ડોર-ટુ-ડોર પ્રચારથી લઈને જનસભાને સંબોધી રહ્યા છે. તો બીજી બાજુ હજુ પણ પક્ષપલટાનો સિલસિલો યથાવત છે. આજે દિવસભર ભાજપનો ચૂંટણી પ્રચાર (Gujarat Vidhansabha Election) ચરમસીમાં પર રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે પ્રચારનો મહા પ્લાન તૈયાર કર્યો છે. ભાજપના ટોચના નેતાઓ 93 બેઠક પર 93 જનસભા સંબોધશે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ પ્રચાર થકી જનતાની નજીક પહોંચી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ સોશિયલ મીડિયા દ્વારા આક્રમક પ્રચાર કરતી જોવા મળી રહી છે. જો કે આ પ્રચંડ પ્રચારની મતદારોના માનસમાં કેટલી અસર થશે, તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.
ગાંધીનગર: ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરનાર 12 નેતાઓને સસ્પેન્ડ કરાયા છે. જેમા પાદરામાં દિનેશ પટેલ, વાઘોડીયામાં મધુ શ્રીવાસ્તવને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાયડમાં ધવલસિંહ ઝાલા,સાવલીમાં કુલદિપસિંહ રાઉલ અને શહેરામાં ખાતુ પગીને સસ્પેન્ડ કરાયા છે. લુણાવાડામાં એસ. એમ. ખાંટ અને ઉદય શાહને સસ્પેન્ડ કર્યા છે. ઉમરેઠમાં રમેશ ઝાલા અને ખંભાતમાં અમરશી ઝાલાને સસ્પેન્ડ કરાયા છે.
અમદાવાદના દરિયાપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચૂંટણીપંચને પત્ર લખી ભાજપના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ ફરિયાદ કરી છે. કૌશિક જૈન ધાકધમથી મતદાન કરાવતા હોવાનો દાવો પત્રમાં કરવામાં આવ્યો છે. ભાજપ અને ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગ્યાસુદ્દીને એક વીડિયો વાયરલ કરીને દરિયાપુર બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ આક્ષેપ કર્યા છે. ગ્યાસુદ્દીને આ અંગે એક વીડિયો પણ વાયરલ કર્યો છે. ગ્યાસુદ્દીને આક્ષેપ કર્યા કે કૌશિક જૈન વિસ્તારના બુટલેગર સાથે બેઠક કરે છે. એટલું જ નહીં તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના ઉમેદવાર અસામાજિક તત્વોની મદદથી લોકોને ભાજપને જ મત આપવા માટે લોકોને ધાકધમકીઓ આપે છે.
ગુજરાતના ચૂંટણી રણમાં ફરી પીએમ મોદી પ્રચાર માટે આવશે. ગુજરાત ચૂંટણીમાં પ્રચારની કમાન પીએમ મોદીએ તેમના હાથમાં લીધી છે અને ભાજપને જીતાડવા માટે તમામ તાકાત લગાવી રહ્યા છે. ત્યારે બુધવારે ફરી પીએમ મોદી ગુજરાતના ચાર જિલ્લાઓમાં ચૂંટણી સભા સંબોધવાના છે. જેમા બપોરે એક વાગ્યે તેઓ મહેસાણામાં સભા સંબોધશે, ત્યારબાદ 3 વાગ્યે તેઓ દાહોદમાં સભા ગજવશે. 5.30 વાગ્યે પીએમ મોદી વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ ખાતે જંગી જનસભાને સંબોધિત કરશે અને છેલ્લે સાંજે 7.30 વાગ્યે તેઓ ભાવનગરમાં ચૂંટણી સભા સંબોધશે.
દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પર અરવિંદ કેજરીવાલે વિશાળ જનસભા સંબોધી હતી. અહીં મોટી સંખ્યામાં આવેલા જનસમુદાયને જોઈને અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે દરેક વ્યક્તિ પોતાના પુત્ર ઈસુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા અહીં આવ્યા છે. તેમણે કહ્યુ ઈસુદાન ગઢવી એક યુવા નેતા છે અને તેમનુ હ્રદય માત્ર ગરીબો માટે જ ધબકે છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે આઝાદીના 75 વર્ષ બાદ ખંભાળિયાનો પુત્ર ગુજરાતના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમણે કહ્યુ ઝાડુનું બટન દબાવો, મફત વીજળી મેળવો; ઝાડુનું બટન દબાવો, સારું શિક્ષણ મેળવો; ઝાડુનું બટન દબાવો, સારી સારવાર મેળવો; ઝાડુનું બટન દબાવો, સારો રોજગાર મેળવો.
આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવસારી, આહવા અને ઉધનામાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે ગુજરાતને ડબલ એન્જિન નહીં વિકાસ કરનાર એન્જિનની જરૂર છે તો બીજી તરફ તેમણે કહ્યુ, અચ્છે દિનની તો ખબર નથી પરંતુ ગુજરાતમાં 8 ડિસેમ્બરથી સચ્ચે દિન ચોક્કસ આવશે. તેમણે જણાવ્યુ કે મે 7 મહિના પહેલા જોયુ છે કે જ્યારે લોકો આ રીતે બહાર આવે છે ત્યારે તેઓ પંજાબની જેમ સરકાર બદલી નાે છે. વધુમાં તેમણે કહ્યુ આમ આદમી પાર્ટીમાં સામાન્ય પરિવારના દીકરા દીકરીઓ પણ ખુરશી પર બેસી શકે છે. તેમણે જણાવ્યુ કે ગુજરાતની જનતાએ હવે 27 વર્ષ જૂની ચક્કીને જડમૂળથી ઉખેડી નાખવી જોઈએ
પોરબંદરમાં ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ સભા સંબોધી હતી જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને મોદીના નેતૃત્વમાં સલામતી સમૃદ્ધિ હોવાનું જણાવ્યું હતુ. યોગીએ સુદામાજી અને મહાત્મા ગાંધીની ભૂમિમાં નમન સાથે જણાવ્યું હતુકે, દેશમાં સમૃદ્ધિ, સુરક્ષા પ્રદાન કરનાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં પહેલા દંગા થતા હતા, કરફ્યુ, આતંકી ધટના થતી હતી. 20 વર્ષમાં દંગા, આતંકી ધટના, કરફ્યુ નથી થયા. બહેનોની સુરક્ષા, વિકાસ ને કારણે ગુજરાત મોડલ બન્યું છે. અનેક યોજનાઓ અમલી બની છે. કોરોના ના સંકટ સમયમાં ભાજપ દેશવાસીઓ સાથે હતી. ભારતમાં 135 કરોડ લોકો માટે વેક્સિન, ફ્રીમાં ઉપચાર, ફ્રીમાં ટેસ્ટ, ફ્રીમાં વેક્સિન અને 80 કરોડ લોકોને ફ્રીમાં રાશનની સુવિધા કરી હતી. સંકટ સમયે ભાજપ લોકોની સાથે હોય છે. જે બોલે છે તે કરે છે તે ભાજપ અને જે બોલે તે નથી કરતા તે કોંગ્રેસ છે.
સુરતની તમામ બેઠકો પર ફરી ભગવો લહેરાવવાના નિર્ધાર સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મેરેથોન પ્રચાર કરી રહ્યા છે.જે અંતર્ગત હર્ષ સંઘવીએ શહેરના મહીધરપુરા વિસ્તારમાં પદયાત્રા તેમજ જનસભા યોજી. હર્ષ સંઘવીની સભાને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં ફરી કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ગુંડારાજને કારણે ત્યાંના લોકોએ તેમનું વતન છોડી હિજરત કરવી પડી. તેમણે સુરતની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે આજની તારીખ અને સમય તમે નોંધી રાખજો. સુરતની તમામ બેઠકો પર ભાજપની જીત થશે.
બોટાદ: સાળંગપુર મંદિરના સ્વામીએ ભાજપને મત આપવા અપીલ કરી છે. હરિદ્વારની કથામાં હરિપ્રકાશ સ્વામીએ કમળને મત આપવા માટે અપીલ કરી છે. મત આપો ત્યાારે લક્ષ્મીજીના હાથમાં કમળ છે તે બટન દબાવજો તેવુ જણાવ્યુ હતુ. તો બીજી તરફ તેમણે નામ લીધા વગર AAP પર પ્રહાર કર્યા કે ગામની શેરીઓની સફાઈ કરવી હોય તો બીજુ બટન દબાવજો. હરિપ્રકાશ સ્વામીનો મત આપવાની અપીલ કરતો વીડિયો વાયરલ થયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જુદા જુદા રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે જુદી જુદી રીત અપનાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે અનેક NRI રાજ્યના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ભારતીય જનતા પાર્ટી માટે મત માંગશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશેષ છબી ધરાવે છે અને વિશ્વની અનેક સત્તાઓ હવે નરેન્દ્ર મોદીને પૂછીને અનેક નિર્ણયો લેતી થઈ છે ત્યારે આ પ્રવૃત્તિઓથી પ્રેરાઈને વિદેશમાં વસતા ભારતીય અને ખાસ ગુજરાતીઓ વિધાનસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આવ્યા છે.
ચાણસ્મા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યુ છે. કોંગ્રેસના બે કદાવર નેતાઓ ભાજપમાં જોડાયા છે. ચેહૂજી ઠાકોર અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ એ.જે.પટેલ ભાજપમાં જોડાયા છે. જે.પી.નડ્ડાની હાજરીમાં તેઓ કમલમ ખાતે જોડાયા હતા. ભાજપમાં બંને નેતાઓ સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. ચેહૂજી ઠાકોરને ચાણસ્મા બેઠક પર ટિકિટ ન મળતા પક્ષપલટો કર્યો હતો.
નર્મદાના ડેડીયાપાડામાં 500થી વધુ લોકો AAPમાં જોડાયા. પાંચપચેરી ગામે 500થી વધુ લોકો AAPમાં જોડાયા. AAPના સાંસદ સંજયસિંહની હાજરીમાં 500 લોકો AAPમાં જોડાયા છે. સાંસદ સંજયસિંહે પરિવારવાદને લઇને ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
ભાજપના ઉમેદવારના વાયરલ વીડિયોને લઈને રાજકારણ ગરમાયું છે. દરિયાપુર બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક જૈન અસમાજિક તત્ત્વો સાથે બેઠક કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈને દરિયાપુરના કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદીન શેખે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. ભાજપના ઉમેદવાર મતદારોને ધાકધમકી આપતા હોય તેવો આક્ષેપ ગ્યાસુદીન શેખે કર્યો છે. તેમણે ચૂંટણીપંચ સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. જેમાં તટસ્થ DCPની નિમણુંક કરી અસામાજીક તત્વોની પ્રવૃત્તિ બંધ કરવા ગ્યાસુદ્દીને માગ કરી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જામનગરની મુલાકાતે છે. જિલ્લાની પાંચેય બેઠકના ઉમેદવાર અને સંગઠન સાથે તેમણે બંધ બારણે બેઠક કરી. આ બેઠકમાં જિલ્લા શહેર સંગઠન પ્રમુખ, સાંસદ પૂનમ માડમ સહિતના નેતાઓ હાજર રહ્યા. ઉમેદવારો રાઘવજી પટેલ, રીવાબા જાડેજા, ચીમન સાપરિયા, દિવ્યેશ અકબરી, મેઘજી ચાવડા પણ હાજર રહ્યા હતા. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાતેય બેઠકો રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી. પીએમ મોદીના પ્રવાસને લઈને તૈયારીઓ અંગે પણ ચર્ચાઓ થઇ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ગોઠવી છે..વૃદ્ધ મતદારો ચૂંટણીમાં હોંશે-હોંશે મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરતની મહુવા વિધાનસભામાં આજે 80 વર્ષથી ઉપરના મતદારોનું બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલીના માંગરોલીયા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ મતદાન કર્યું. વાલી પટેલ ત્રીજી જાન્યુઆરીએ સો વર્ષ પૂર્ણ કરશે અને સો વર્ષ પૂર્ણ કરીને 101માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. ત્યારે આજે મહુવા વિધાનસભાના ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારીઓ માંગરોળીયા ગામે પહોંચ્યાં હતા અને વૃદ્ધા વાલી પટેલને બેલેટ પેપર આપી ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી હતી અને મતદાન કરાવ્યું હતું.
બનાસકાંઠામાં 80થી 90ના દાયકામાં આઇસક્રીમની દુકાન પણ જોવા પણ નહોંતી મળતી. આજે દવાની દુકાનો પણ થઇ ગઇ અને વીજળી પણ આવી ગઇ. છોકરા મોડી રાત સુધી ભણી મેડિકલ અને એન્જીનિયરિંગમાં દાખલો પણ મેળવી રહ્યા છે.હવે તો દાખલો મેળવવા દુર પણ નહીં જવાનું. બનાસ ડેરીએ અહીંયા જ કોલેજ બનાવી દીધી છે. બનાસકાંઠાનો છોકરો દાખલ થાય અને સારા માર્ક્સ લાવે તો ડોક્ટર પણ અહીં જ બની જાય.
બનાસકાંઠાના સરહદી વિસ્તારે કોંગ્રેસ અને ભાજપ એમ બંને પાર્ટીઓને જોઇ છે. હું પણ બનાસકાંઠામાં 80થી 90માં ખખડધજ સ્કૂટર લઇને ફર્યો છું. તે સમયે અહીં રસ્તા ખૂબ જ ખરાબ હતા.આજે રોડ ઉપર સળસળાટ ગાડી જાય છે. અહીંથી અમદાવાદ સુધીનો અને પાલનપુર સુધીનો રસ્તો સળસળાટ બની ગયો છે. અમિત શાહે કહ્યુ કે, હું તો હમણા નડાબેડ જઇને આવ્યો. તે સ્થળને જોઇને હું તો આશ્ચર્ય ચકિત થઇ ગયો.નડેશ્વરી માતાના દર્શન તો મે પહેલા પણ કર્યા હતા. પણ વડાપ્રધાન મોદીએ સરહદ પર જે વ્યવસ્થા કરી છે. તેનાથી નડાબેટ પર ટુરિઝમ વધવાનું છે. રોજગારી પણ વધશે.
અમિત શાહે બનાસકાંઠાના થરાદમાં સંબોધન દરમિયાન જણાવ્યુ કે, બનાસકાંઠમાં પહેલા રોડ ખરાબ હતા. અહીં ખેતી કરવી પણ ખૂબ જ મુશ્કેલ હતી. અહીં પાણીની પણ ખૂબ સમસ્યા હતી. જો કે હવે અહીં પાણી આવતા ખેતી સરળ બની છે. અમિત શાહે જણાવ્યુ કે, કોંગ્રેસના સમયમાં 24 કલાક વીજળી પણ મળતી ન હતી. પરંતુ હવે 24 કલાક વીજળી મળતી થઇ છે.
ભાજપમાં જોડાયા બાદ કામિનીબાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે એક મહિલા તરીકે મે મારી રજૂઆત કોંગ્રેસમાં કરી. પરંતુ સાચા વ્યક્તિને અવાજને દબાવવાનો પ્રયાસ કરાયો. કોંગ્રેસમાં 10 વર્ષ વફાદાર રહી કામ કર્યું છતાં મહિલાના અવાજને દબાવવા પ્રયાસ કરવામાં આવ્યો. આખરે કંટાળી મે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. મહત્વનું છે કે દેહગામ બેઠક પર ટિકિટ કપાતા કામિનીબા રાઠોડ કોંગ્રેસથી નારાજ થયા હતા અને ગઇકાલે જ રાજીનામું આપી દીધું હતું.
જામનગર ઉત્તર બેઠક પર વિધાનસભા ચૂંટણી સાથે નણંદ-ભાભી વચ્ચે જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા સામે, તેમના જ નણંદ અને જામનગર કોંગ્રેસ નેતા, નયનાબા જાડેજાએ બાયો ચડાવી છે. નયબાએ પોતાના ભાભી સામે જ આયાતી ઉમેદવાર હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, અટકને લઇને સર્જાયેલા વિવાદમાં નણંદબાએ ભાભીને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે. નણંદબાનો ભાભી સામે સીધો આરોપ છે કે તેઓ જામનગરના મતદાર જ નથી. તો સ્થાનિક પ્રશ્નો કે મુદ્દાઓનું પણ જ્ઞાન ન હોવાનો આરોપ ભાભી પર લાગ્યો છે. ત્યારે નયનાબાએ ભાભી રિવાબાને સલાહ આપી છે કે તેઓએ જામનગરમાંથી નહીં રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડવી જોઇએ. મહત્વપૂર્ણ છે કે ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી ભારતીય ક્રિકેટરના પત્ની રિવાબા જાડેજાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ 182 ઉમેદવારોના મેન્ડેટ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. આણંદ જિલ્લામાંથી વકીલ હાર્દિક પટેલ અને કેયૂર જોશીએ આ અરજી કરી છે. તેમણે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે- આમ આદમી પાર્ટીના તમામ મેન્ડેટ અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અપાયા છે. આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પક્ષ નથી. છતાં આ પક્ષના રાષ્ટ્રીય સેક્રેટરી પંકજ ગુપ્તાની સહીથી ગુજરાતમાં ચૂંટણી લડવાનો મેન્ડેટ અપાયો છે. હકીકતમાં તો પાર્ટીના ગુજરાતના સેક્રેટરી જયદીપ પંડ્યાની સહીથી મેન્ડેટ ઈશ્યૂ થયેલા હોવા જોઈએ. અનઅધિકૃત વ્યક્તિની સહીથી મેન્ડેટ ઈશ્યૂ કરાયેલા હોવાથી તમામ સીટો પર AAPના ઉમેદવારના ફોર્મ રદ થવા જોઈએ. તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો યથાવત છે. દહેગામના પૂર્વ MLA કામિનીબા રાઠોડે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. અને આજે સત્તાવાર રીતે તેઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસમાંથી દહેગામ બેઠક પર ટિકિટ કપાતા કોંગી MLA નારાજ થયા હતા.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને “ભારત તોડો યાત્રા” ગણાવી. ભાજપના પ્રચાર માટે સુરત આવેલા સંબિત પાત્રાએ કહ્યું રાહુલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધીને જોડવાનું ફાવતું નથી, તેમને ફક્ત તોડવાનું જ ફાવે છે. રાહુલ ગાંધીની યાત્રામાં કલાકારો તેમની જાતે નથી આવતા. તેમને પ્રલોભનો આપીને લાવવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધીને અનેક વખત રિલૉન્ચ કર્યા, પણ રોકેટમાં ઈંધણ જ નથી તો કેવી રીતે રિલૉન્ચ થઈ શકે.
મિશન ગુજરાતને લઇને ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે, ત્યારે આવતીકાલે PM મોદીની દાહોદ જિલ્લાના ખરોડમાં જંગી જનસભા યોજાશે. PM મોદીની જાહેર સભાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી ખરોડમાં જિલ્લાની 6 બેઠકોના મતદારોને સંબોધશે. ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લાની 6 બેઠકો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે.
તો કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસની ચાર પેઢી શાસનમાં રહી પરંતુ ગરીબી ન હટાવી શક્યા. કોરોનાની રસીમાં પણ કોંગ્રેસ રાજકારણ કરતુ હતુ. કોંગ્રેસે ગરીબોનું લોહી પીવામાં બાકી નથી રહ્યું. આજે ભારતનો સમગ્ર વિશ્વમાં વટ છે. ભારતનું અર્થતંત્રને 8 મા નંબરેથી 5 મા નંબરે પહોંચાડ્યુ છે.
બેટદ્વારકામાં ગેરકાયદે દબાણોને સાફ કરી દેવાયા, ત્યારે પણ કોંગ્રેસી નેતાઓ વિરોધ કરી રહ્યા હતા. ભાજપ સરકાર સારા કામ કરે તે કોંગ્રેસને નથી ગમતુ. ગુજરાતમાં પહેલા રોજબરોજ રમખાણો થતા હતા. ખંભાતમાં પણ અનેકવાર રમખાણો થયા, પગલા લેવાયા નહોતા. પરંતુ હવે ખંભાતે કોઈનાથી ડરવાની જરૂર નથી.
આ ઉપરાંત પોતાના સંબોધનમાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, રામમંદિર બનાવવામાં પણ કોંગ્રેસને વોટબેંકનો ડર હતો. 1 જાન્યુઆરી 2024માં ભવ્યા રામમંદિર જોવા મળશે. કારણ કે ભાજપને વોટબેંકનો ડર નથી. તો વધુમાં ઉમેર્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકથી વડાપ્રધાન મોદીએ વિશ્વભરમાં સંદેશો આપ્યો. ટ્રિપલ કલાક હટાવાયુ તો પણ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ હતુ.
આ સાથે કોંગ્રેસ પર નિશાન સાધતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ચૂંટણીઓ આવતા કોંગ્રેસિઆ નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છે. જે પક્ષ વર્ષોથી સત્તામાં નથી, તો કામ ક્યાં કર્યા. તો વધુમાં કહ્યું કે, સસ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરકારે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી. સરદાર પટેલના સ્પન્નને વડાપ્રધાન મોદીએ પૂર્ણ કર્યું. કોંગ્રેસ નેતાઓ સરદાર પટેલના સ્ટેચ્યુ પર જાય તો ટિકિટ કપાઈ જાય. કોંગ્રેસ સરકાર 370 કલમ નહોતા હટાવતા કારણ કે વોટબેંકની ચિંતા હતી. પણ ભાજપને વોટબેંકનિ ચિંતા નથી.
ખંભાતમાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે, ભાજપ પર ખંભાતનું મોટુ ઋણ છે. તમારા આશીર્વાદના કારણે ભાજપે ગુજરાતમાં પરિવર્તનનું કામ કર્યું.
હિંમતનગરના પેઢમાલામાં ગ્રામ્યજનોએ વિરોધ નોંધાવ્યો છે. પ્રવેશદ્વાર અને ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. ગૌચરની જમીનમાં હકને લઈને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ઉચ્ય કક્ષાએ રજૂઆત બાદ કોઈ પરિણામ ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ચૂંટણી ટાણે લીમખેડાના બીટીપીના ઉમેદવાર રાજેશ હઠીલા ભાજપમાં જોડાયા છે. ઉમેદવાર રાજેશ હઠીલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. રાજેશ હઠીલા સાથે 500થી વધુ કાર્યકર્તાઓએ પણ કેસરિયો ધારણ કર્યો છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે તમામ લોકોનું ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
આ સાથે જે પી નડ્ડાએ વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે,કોંગ્રેસે અત્યાર સુધી મગરના આંસુ ચાર્યા. તો ઉમેર્યું કે, ભાજપ સરકારે જનજાતીના લોકો સહિત OBC સમાજની પણ ચિંતા કરી. આયુષ્યમાન ભારત યોજનાથી અનેક લોકોને સારવારની સુવિધા મળી. ગરીબો માટે જનઔષધી કેન્દ્ર ખોલવામાં આવ્યા. તો સાથે દેશભરમાં 200 મેડિકલ કોલેજ બનાવવામાં આવી.
પંચમહાલના શહેરામાં પ્રચારમાં ભાજપના રાષ્ટીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ગુજરાત મોડેલનો પાયો નાખ્યો. આજે ગુજરાતના મોડેલની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. અમારી સરકારે જનજાતી લોકોની ચિંતા કરી. ભારતના રાષ્ટ્રપતિ પદ પર પહેલી વાર આદિવાસી મહિલાને સ્થાન આપ્યું. આદિવાસી સમાજના લોકો માટે આટલા વર્ષો સુધી કામ ન થયા,પરંતુ આજે આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદ પર બેસાડીને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું.
પંચમહાલ જિલ્લામાં ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર રાષ્ટ્રીય તેમજ ગુજરાતના નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. આજે શહેરા વિધાનસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને મોરવા હડફ વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે પ્રચાર કરશે. તો મોરા ગામે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જાહેર સભા ગજવશે.
રાજકોટ જિલ્લાના કલેક્ટર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા ટ્રાન્સજેન્ડર રાગીણી પટેલને રાજકોટ જિલ્લાના વોટિંગ આઈકોન બનાવ્યા છે.. એક સમયે લોકો જેમને ઘર પણ ભાડે નહોંતા આપાતા તેઓને જિલ્લાના વોટિંગ આઈકોન બનાવ્યા છે. જેના પગલે રાગીણી પટેલ આભાર વ્યક્ત કરી રહ્યા છે. કાલાવડના વતની અને MBA સુધીનો અભ્યાસ કરનાર રાગીણી પટેલ ટ્રાન્સજેન્ડરના તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન કલેક્ટરના સંપર્કમાં આવ્યા હતા..રાજકોટના કલેક્ટર અરુણકુમાર મહેશ બાબુ ચૂંટણીમાં યુનિક કેમ્પેઇન તૈયાર કરવા માંગતા હતા. તેથી રાજકોટ જિલ્લાની આઠેય સીટ પર વોટીંગ આઈકોન તરીકે ટ્રાન્સજેન્ડર રાગીણી પટેલને તક આપવામાં આવી.
રાજકોટના ધોરાજીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી પોસ્ટર વોર શરૂ થયું છે. ધોરાજીના અનેક વિસ્તારમાં સ્થાનિક ઉમેદવારને મત આપવાની અપીલ સાથે પોસ્ટર લાગ્યાં છે. સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, પોસ્ટ ઓફિસ સહિતના વિસ્તારમાં સ્થાનિક ઉમેદવારને મત આપવાની અપીલ સાથેના પોસ્ટર લાગ્યાં છે. ધોરાજીના અનેક વિસ્તારમાં પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે.
લોકોએ મત આપીને ચૂંટ્યા, પણ 5 વર્ષમાં કોઈ કામ ન કરતા લોકો હવે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલનો વિરોધ કર્યો છે. ઘટના જનતાનગરની છે. જ્યાં લોકોએ મહેશ પટેલ અને કોર્પોરેટરના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સમગ્ર વિસ્તારમાં લોકોએ બેનર લગાવ્યા છે કે મહેશ પટેલ અને તેમના સાથી કોર્પોરેટરે મત માગવા માટે આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં,પોતાના અપમાનના જવાબદાર તમે જ રહેશો. લોકોનું કહેવું છે કે પાંચ વર્ષમાં તેમના વિસ્તારમાં કોઈ કાર્યો થયા નથી.
જસદણના વિરનગરમાં કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઇને સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. વિરનગરમાં છેલ્લા 2 મહિનામાં 6 જેટલી ચોરી થઈ છે. સ્થાનિકોની ફરિયાદ બાદ પણ પોલીસ હજુ સુધી કોઇ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરનગર CCTVથી સજ્જ હોવા છતાં પણ તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે હવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણીપંચની તડામાર તૈયારીઓ કરી રહી છે. બંને તબક્કાની ચૂંટણીમાં 16 હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ તૈનાત કરાશે. આપને જણાવી દઈએ કે, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 1 હજાર 518 મતદાન મથકો વધ્યા છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ 182 ઉમેદવારોના મેન્ડેટ રદ કરવા ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે. આ ફરિયાદ પોરબંદર અને ઉમરેઠના બે અરજદારોએ કરી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે- આમ આદમી પાર્ટીના તમામ મેન્ડેટ અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અપાયા છે.. આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પક્ષ નથી. છતાં આ પક્ષના રાષ્ટ્રીય સેક્રેટરી પંકજ ગુપ્તાની સહીથી ગુજરાતમાં ચૂંટણી લડવાનો મેન્ડેટ અપાયો છે.. હકીકતમાં તો પાર્ટીના ગુજરાતના સેક્રેટરી જયદીપ પંડ્યાની સહીથી મેન્ડેટ ઈશ્યૂ થયેલા હોવા જોઈએ. અનઅધિકૃત વ્યક્તિની સહીથી મેન્ડેટ ઈશ્યૂ કરાયેલા હોવાથી તમામ સીટો પર AAPના ઉમેદવારના ફોર્મ રદ થવા જોઈએ,, તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ચૂંટણીમાં ટિકિટો ફાઈનલ થઈ ગયા બાદ પણ હજુ પક્ષપલટાની મોસમ યથાવત છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કોંગ્રેસને રામ-રામ કરી દીધા છે. આજે તેઓ ભાજપમાં જોડાવાના છે. કોંગ્રેસે ટિકિટ ન આપતા કામિનીબા નારાજ હતા. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ગઈકાલે છેલ્લા દિવસે ફોર્મ ખેંચી લીધુ હતું. તેમણે કહ્યું કે ટિકિટ માટે તેમની પાસે રૂપિયા 1 કરોડની માગણી કરવામાં આવી હતી. જે બાદ 50 લાખમાં ટિકિટ આપવાનું નક્કી થયું હતું. પરંતુ તેમની રૂપિયાની માગ પૂરી ન કરી શકતા અન્ય ઉમેદવારને 1 કરોડમાં ટિકિટ વેચી દેવામાં આવી હતી.
આજે દિવસભર ભાજપનો ચૂંટણી પ્રચાર ચરમસીમાં પર રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે પ્રચારનો મહા પ્લાન તૈયાર કર્યો છે.. આજે ભાજપના ટોચના નેતાઓ 93 બેઠક પર 93 જનસભા સંબોધશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખંભાત, થરાદ, ડીસા, સાબરમતીમાં સભા ગજવશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સહેરા, ચાણસ્મા, સિદ્ધપુર, નિકોલમાં સભા સંબોધશે.. ભાજપ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાન પણ પ્રચારની ધૂરા સંભાળશે. હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જનસભાઓ ગજવશે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાશ ચોધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે. જ્યારે ભાજપના સ્ટાર ચહેરાઓ સાંસદ મનોજ તિવારી અને રવિ કિશન પણ પ્રચાર સભા કરશે. તો ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલી સંબોધશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બંને તબક્કાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો છે અને બીજા તબક્કામાં 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો નોંધાયા છે. બીજા તબક્કામાં 400થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું. મહત્વનું છે કે 1 ડિસેમ્બરે પ્રથમ અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે.
Published On - 9:19 am, Tue, 22 November 22