RAJKOT : વ્યાજખોરો વિરુદ્ધ પોલીસનો લોકદરબાર, 83 જેટલા પીડિતોની રડતી આંખે રજૂઆત

આ લોકદરબારમાં એસીપી કક્ષાના અધિકારી હાજર રહ્યા હતા અને તેઓએ અરજદારો પાસેથી વિગતો મેળવીને સંલગ્ન પોલીસ સ્ટેશનમાં સૂચના આપી હતી.

RAJKOT : વ્યાજખોરો વિરુદ્ધ પોલીસનો લોકદરબાર, 83 જેટલા પીડિતોની રડતી આંખે રજૂઆત
RAJKOT Police's Lok Darbar against usurers
| Edited By: | Updated on: Aug 06, 2021 | 3:02 PM

RAJKOT : રાજ્યની વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીમાં રાજકોટ પોલીસ દદ્વારા રૈયારોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરીયમમાં વ્યાજખોરો વિરુદ્ધ લોકદરબારનું આયોજન કર્યું હતું. આ લોકદરબારમાં 83 જેટલા અરજદારો પહોંચ્યા હતા જેઓએ રડતી આંખે પોતાની રજૂઆત પોલીસ સમક્ષ કરી હતી.

આ લોકદરબારમાં એસીપી કક્ષાના અધિકારી હાજર રહ્યા હતા અને તેઓએ અરજદારો પાસેથી વિગતો મેળવીને સંલગ્ન પોલીસ સ્ટેશનમાં સૂચના આપી હતી અને જે વ્યાજખોરો ધાક ધમકી આપીને લોકોને હેરાન કરતા હોય તેની સામે તપાસ શરૂ કરી છે.

5 લાખ સામે 13 લાખ ભર્યા, હજી 10 લાખની ઉઘરાણી
રાજકોટના હરિઘવા મેઇન રોડ પર રહેતા કંચનબેન સોલંકીએ કહ્યું હતુ કે તેઓએ પોતાના મોટા દિકરાની કિડનીની સારવાર માટે 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.વ્યાજખોરોના રૂપિયા ભરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે વ્યાજે રૂપિયા લીધા અને અત્યાર સુધીમાં 13 લાખ રૂપિયા ભરી દીધા તો પણ હજુ વ્યાજખોરો 10 લાખ રૂપિયા માંગે છે.
નાનો દિકરો કારખાનામાં મજૂરી કામે જાય છે પરંતુ પગાર વ્યાજખોરોને રૂપિયા ચુકવવામાં જ જાય છે.

મરણમૂડી ગુમાવી, માસ્ક વેચી ગુજરાન ચલાવાવું પડી રહ્યું છે
આ લોકદરબારમાં એક વૃદ્ધ દંપતિ આવ્યા હતા તેને વ્યાજખોરનો ત્રાસ ન હતો પરંતુ તેમણે જેની પાસે પોતાની મરણમૂડીનું રોકાણ કર્યું હતુ તે ક્રેડિટ સોસાયટીના સંચાલકો છેતરપિંડી કરી અને દંપત્તિના 6.50 લાખ રૂપિયા ચાંઉ કરીને રફુચક્કર થઇ ગયા.

મનસુખ રાઠોડ અને તેની પત્નિ રીટાબેને કહ્યું હતુ કે ગાંધીગ્રામ વિસ્તારમાં ગજાનન ક્રેડિટ સોસયટીમાં તેઓએ રોકાણ કર્યુ હતુ અને 6.50 લાખ રૂપિયા 10 ટકા વ્યાજની લાલચે ભર્યા હતા. જો કે આ ક્રેડિટ સોસાયટીનું વર્ષ 2017માં ઉઠમણું થઇ ગયું અને આજે પાંચ વર્ષ વિતવા છતા દંપતિના રૂપિયા મળ્યા નથી.

આંખમાં આસું સાથે દંપતિએ પોલીસને રજૂઆત કરી હતી કે સાહેબ મરણમૂડી હતી હવે કાંઇ બચ્યું નથી માસ્ક વેંચીને ગુજરાન ચલાવીએ છીએે અને એક ટંક જ જમીએ છીએ. આ અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે.

વ્યાજખોરો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવશે : પોલીસ કમિશ્નર
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતુ કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જો કોઇ વ્યક્તિ ખોટી રીતે હેરાન કરતું હશે તેની સામે કાર્યવાહી થશે.લોકોને પણ નીડર થઇને ફરિયાદ કરવા આગળ આવવા અપીલ કરી છે અને વ્યાજખોરો સામે પાસા હેઠળ જેલમાં ધકેલવા સુધીના પગલા લેવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો : MEHSANA : ખેરાલુમાં આંગડિયા કર્મી સાથે 8 લાખની લૂંટ, બાઈકસવાર બે યુવાનો લૂંટ ચલાવી ફરાર

Published On - 2:58 pm, Fri, 6 August 21