પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લાના પરિસર પર કેસરિયો ધ્વજ ફરકાવનારા આરોપી જુગરાજ સિંહને પકડવો એ દિલ્હી પોલીસ માટે પડકાર બની ગયો છે. એક અઠવાડિયાથી દિલ્હી પોલીસની અનેક ટીમો પંજાબ ઉપરાંત અનેક રાજ્યોમાં જુગરાજની શોધમાં લાગી રહી છે. તેમ છતાં સફળતા મળી નથી રહી. 26 જાન્યુઆરીની રાતથી જ જુગરાજ પરિવાર સમેત તરણ તારાન જિલ્લા હેઠળ આવેલા વાન તારા સિંહ ગામથી ફરાર થઈ ગયો છે. દરેકના મોબાઇલ ફોન બંધ આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જુગરાજ ગુરુદ્વારાના ગુંબજો અને થાંભલાઓ પર ચડવામાં પારંગત હતો, તેથી તેને ઝંડા લહેરાવવા માટે ખાસ દિલ્હી બોલાવવામાં આવ્યો હતો.
ગુરુદ્વારાના ગુંબજ અને થાંભલા પર ધ્વજ બદલવાનું કરતો હતો કામ
પોલીસ અનુસાર જુગરાજ પંજાબના વન તારા સિંહ ગામનો રહેવાસી છે. તે ગામમાં છ ગુરુદ્વારા છે. જેમાં માત્ર જુગરાજ જ ગુરુદ્વારાઓના ગુંબજ અને થાંભલા પર ચડીને ધ્વજ ફરકાવવાની કામગીરી કરતો હતો. જુગ્રાજના પિતા ગામમાં ખેતીનું કામ કરે છે. અને જુગરાજ પિતાને ખેતીમાં મદદ કરે છે. થોડા વર્ષો પહેલા તે નોકરીની શોધમાં બેંગ્લોર ગયો હતો. ત્યાંથી ટૂંક સમયમાં નોકરી છોડી અને પાછો ગામમાં આવ્યો. ગુરુદ્વારાના ગુંબજ અને થાંભલા ઉપર ચડીને ધ્વજ ફરકાવવા અને તેને સાફ કરવા માટે જુગરાજને પૈસા મળતા હતા.
પિતા અને દાદાએ આ કૃત્યને વખાણ્યું
પોલીસને બાતમી મળી છે કે લાલ કિલ્લાની બાજુએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું કાવતરું સિંધુ, ટિકરી અને ગાઝીપુર સરહદે બેઠેલા ખેડુતો દ્વારા ઘડવામાં આવી હતી. જુગરાજ સિંહને 25 જાન્યુઆરીએ ખાસ ગામથી દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. તેને લાવવા માટે ખાસ ગાડી પણ મોકલવામાં આવી હતી. આટલું જ નહીં પોલીસને એવી પણ બાતમી પણ મળી છે કે થાંભલા પર ચડીને ધ્વજ ફરકાવવા માટે જુગરાજને પાંચ લાખ રૂપિયાથી વધુ રકમ આપવામાં આવી છે. પોલીસ વધુ માહિતી એકઠી કરી રહી છે. જુગરાજનો ધ્વજ ફરકાવતો વિડીયો વાયરલ થતા પિતા બલદેવ સિંહ અને દાદા મહેલસિંહે પ્રતિક્રિયા આપી હતી. અને આ કામના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જુગરાજે શીખ પંથ માટે ગૌરવપૂર્ણ કાર્ય કર્યું છે.
પરિવાર સહીત ફરાર
ઘટના બાદ જુગરાજ અને તેઓ પરિવાર ઘરને તાળું લગાવીને ફરાર થઇ ગયા છે. દિલ્હી પોલીસ પંજાબ પોલીસની મદદથી એણે શોધવામાં લાગી છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જુગરાજને આશરો આપવાના ગુનામાં એના પરિવારના દરેક સદસ્યોને આરોપી બનાવવામાં આવશે. પહેલા પોલીસ જુગરાજની ધરપકડ કરશે બાદમાં તેને આશરો આપનાર લોકોની ધરપકડ કરવામાં આવશે. જુગરાજને પકડવા દિલ્હી પોલીસની એક ટીમ લુધિયાણામાં કાર્યરત છે.
દીપ, લક્ખા અને જુગરાજ પોલીસના રડારમાં
લાલ કિલ્લા પર કેસરિયો ધ્વજ લહેરાવવાના કેસમાં પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ અને પંજાબના ગેંગસ્ટર લખવીર સિંહ ઉર્ફે લક્ખા સિધના તેમજ જુગરાજ સિંહને પોલીસના રડારમાં છે. જુગરાજે થાંભલા પર ચડીને ધ્વજ ફરકાવ્યો. દીપ અને લક્ખાએ ઉપદ્રવીઓનું નેતૃત્વ કર્યું હતું. તેથી પોલીસ કમિશનરે આ ત્રણેયની બાતમી આપનારને ઈનામ આપવાનો નિર્ણય કર્યો છે. ઈનામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
Published On - 10:02 am, Wed, 3 February 21