India-Bangladesh Border: BSF જવાન પર તસ્કરોએ કર્યો હુમલો, જવાબી કાર્યવાહીમાં એક દાણચોર ઠાર મરાયો

ભારત-બાંગ્લાદેશ સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) જવાનો અને દાણચોરો વચ્ચેની અથડામણમાં એક દાણચોર માર્યો ગયો હતો. BSF દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી સામે આવી છે.

India-Bangladesh Border: BSF જવાન પર તસ્કરોએ કર્યો હુમલો, જવાબી કાર્યવાહીમાં એક દાણચોર ઠાર મરાયો
ફાઈલ ફોટો
| Edited By: | Updated on: Mar 06, 2022 | 3:22 PM

ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની 141મી બટાલિયનની બોર્ડર ચોકી મેઘના વિસ્તારમાં BSF જવાનો અને દાણચોરો વચ્ચેની અથડામણમાં એક દાણચોર માર્યો ગયો હતો. BSF દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 5 માર્ચના રોજ ડ્યૂટી પર રહેલા જવાને તેના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરની બંને બાજુ 15-20 બાંગ્લાદેશી દાણચોરોની ધારદાર હથિયારો સાથે કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ. બળજબરીથી દાણચોરી કરવાના ઇરાદે આવેલા તસ્કરોએ BSF જવાન પર હુમલો કર્યો અને તસ્કરોએ દેશી બનાવટની પિસ્તોલ વડે જવાનો પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, પરંતુ BSF જવાન પોતાનો બચાવ કરવામાં સફળ રહ્યો.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જવાન, તસ્કરોના નાપાક ઇરાદાને સમજીને, તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તસ્કરોએ તેમનો હુમલો ચાલુ રાખ્યો. દાણચોરોના હુમલાથી પોતાનો જીવ બચાવવા અને સરહદની પવિત્રતા જાળવવા જવાનોએ સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક બાંગ્લાદેશી દાણચોર ઘાયલ થયો હતો. બાકીના તસ્કરો કેળાના બગીચા અને ગીચ ઝાડીઓનો સહારો લઈને નાસી છૂટ્યા હતા.

તસ્કરોએ BSF જવાનો પર હુમલો કર્યો

બીએસએફના નિવેદન અનુસાર, ઇજાગ્રસ્ત દાણચોરને પ્રાથમિક સારવાર બાદ બીએસએફના જવાનો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં કરીમનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ બાંગ્લાદેશી દાણચોરના મૃત્યુની પુષ્ટિ કરી હતી. વિસ્તારમાં તપાસ કરતાં 8 કિલો ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલ ગાંજાને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હુગલબેરિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. બીએસએફના અધિકારીઓએ તેમના જવાનોનું અભિવાદન કરતાં કહ્યું કે, અમારા જવાનો આ વિસ્તારમાં દાણચોરીને સંપૂર્ણપણે રોકવા માટે પ્રતિબદ્ધ છે. જવાનોની સતર્કતા અને સમજદારીથી જ આ વિસ્તારમાં દાણચોરી અટકાવવી શક્ય બની છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સૈનિકો પરના હુમલાને સહન કરવામાં આવશે નહીં.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા આસામના માનકાચરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક બાંગ્લાદેશી પશુ દાણચોરીનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે દાણચોરો ગાયોને વાડ ઉપરથી બાંગ્લાદેશની સરહદમાં ખેંચી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષાકર્મીઓએ ત્રણ ગાયો અને એક ધારદાર હથિયાર કબજે કર્યું હતું.

આ પણ વાંચો: આ લિંક ઉપર ક્લિક કરી સરળતાથી સરકારી નોકરી મેળવવાનો મેસેજ તમને મળ્યો કે નહિ? જાણો હકીકત

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થપાશે ડ્રોન સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ, રોજગાર સર્જનના સરકારના પ્રયાસ