Animal Curelty: ઘણા લોકો રસ્તે રખડતા મૂંગા પ્રાણીઓને બે-રહેમીથી માર મારતા હોય છે અને અમુક કિસ્સામાં તો અત્યાચાર એટલી હદે વધી જતો હોય છે કે કે જેમાં પ્રાણીઓએ જીવ ગુમાવવો પડે છે. આવો જ એક કિસ્સો પોરબંદરમાં બહાર આવ્યો છે. છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતા એક શખ્સે કુતરાને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
જેને લઈને ત્યાંના સ્થાનિક લોકોએ આ શ્વાનના અંતિમ સંસ્કાર કરીને ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આરોપી યુવાન પર કડક કાર્યવાહીની માંગ કરી હતી. લાકડા વડે બેરહેમીથી માર પડતાં શ્વાન લોહી-લુહાણ થઈ ગયું હતું. એનિમલ હેલ્પ લાઈન 1962નો સંપર્ક કરાયો હતો, પરંતુ સારવાર દરમ્યાન શ્વાનનું મૃત્યુ થયું હતુ. જેને લઈને સોસાયટીના લોકો રોષે ભરાયા હતા. શ્વાનનો મૃતદેહ લઈને પોરબંદરના કમલા બાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
પોલીસે પણ ઘટનાની ગંભીરતા સમજીને કાર્યવાહી કરવાની તૈયારી બતાવી હતી. પરંતુ સોસાયટીના રહીશોએ અંતે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પશુ પક્ષીઓની સેવા કરતી એક સ્થાનિક સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે ક્યાં અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. પરંતુ રજૂઆત કરવા આવેલા લોકોમાંથી ફરિયાદી બનવા કોઈ તૈયાર થયું ન હતું.
કુતરાને માર મારીને મોતને ઘાટ ઉતારનાર યુવાનની બાઈકની સીટ તે કૂતરાએ ફાડી નાખી હતી અને અગાઉ તેને બચકું પણ ભર્યું હતું. જેને લઈને તેને લાકડી વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. દરેક જીવને જીવવાનો અધિકાર છે પછી ભલે તે માનવ હોય કે પશુ-પક્ષી! જીવ દયા પ્રેમીઓએ આ ઘટનાને ભારે વખોડી હતી અને જ્યારે આ બાબતે ફરિયાદી બનવા કોઈ તૈયાર ન થયું ત્યારે પોલીસને ફરિયાદી બનીને ફરિયાદ નોંધવા સૂચન કર્યું હતું.
ગુનો સાબિત થાય તો મળે 5 વર્ષ જેલની સજા
પશુઓ પર થતાં અત્યાચાર સામે જનજાગૃતિ ફેલાવતી એક સ્થાનિક સંસ્થાના કર્મચારી જણાવે છે કે કોઈ પણ પ્રાણી પર અત્યાચાર ગુજારવો કે તેને મોતને ઘાટ ઉતારી બદલ પશુ ક્રૂરતા અધિનિયમ ધારા (The Prevention of Cruelty to Animals Act, 1960) કલમ 11 અને ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 429 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
ભારતીય સંવિધાન અનુચ્છેદ 5-1(A) મુજબ કોઈ પણ પશુ પ્રેમીને પશુપક્ષીને ભોજન આપતા અવરોધ ઊભો કરે તો પણ ગુનો બને છે. આવા ગુનાઓમાં જો અપરાધ સાબિત થાય તો વધુમાં વધુ 5 વર્ષની જેલની સજા થઈ શકે છે.
આ પણ વાંચો: ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાના હત્યારાને આજીવન કેદની સજા