મે મહિનામાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની (Excise duty cut on Petrol-Diesel) જાહેરાત કરી હતી. 1 જુલાઈના રોજ સરકારે સ્થાનિક બજારમાંથી પેટ્રોલ, ડીઝલ અને જેટ ઈંધણની નિકાસ પર નિકાસ જકાતની (Export duty on Petrol and Diesel) જાહેરાત કરી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી સરકારને રેવન્યુમાં જે નુકસાન થઈ રહ્યું છે તેમાંથી લગભગ 85 ટકા આ એક્સપોર્ટ ડ્યૂટીમાંથી વસૂલવામાં આવશે.
21 મેના રોજ સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાની જાહેરાત કરી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાથી સરકારને વાર્ષિક એક લાખ કરોડ રૂપિયાની આવકનું નુક્સાન થશે.
અહીં 1 જુલાઈના રોજ સરકારે ઓઈલ કંપનીઓ દ્વારા નિકાસ કરવામાં આવતા પેટ્રોલિયમ પર એક્સપોર્ટ ડ્યૂટી લાદવાની જાહેરાત કરી હતી. એક લિટર પેટ્રોલની નિકાસ પર રૂ. 6, જેટ ઇંધણની નિકાસ પર રૂ. 6 અને ડીઝલની નિકાસ પર રૂ. 13ની આયાત જકાત લાદવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક બજારમાં કાચા તેલના ઉત્પાદન પર 23250 રૂપિયા પ્રતિ ટન વધારાના ટેક્સની પણ જાહેરાત કરવામાં આવી છે.
જાહેર ક્ષેત્રની ONGC અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ તથા ખાનગી ક્ષેત્રની વેદાંતા લિમિટેડના કેઇર્ન ઓઇલ એન્ડ ગેસના ક્રૂડ ઓઇલના ઉત્પાદન અને 2.9 કરોડ ટન ક્રૂડ ઓઇલના સ્થાનિક ઉત્પાદન પર ટેક્સ લગાવીને સરકારને વાર્ષિક રૂ. 67,425 કરોડ મળશે. રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના બાકીના 9 મહિનામાં સરકારને લગભગ 52 હજાર કરોડ રૂપિયા મળશે.
ભારતે એપ્રિલ અને મે મહિનામાં 2.5 મિલિયન ટન પેટ્રોલ, 5.7 મિલિયન ટન ડીઝલ અને 7.97 લાખ ટન જેટ ફ્યુઅલની નિકાસ કરી હતી. નિકાસ કર પછી, જો નિકાસ એક તૃતીયાંશ પણ રહે છે, તો સરકારને નિકાસ ડ્યુટીમાંથી ચાલુ નાણાકીય વર્ષના નવ મહિનામાં લગભગ 20 હજાર કરોડ રૂપિયા મળશે. આ રીતે સરકારની તિજોરીમાં કુલ 72000 કરોડ રૂપિયા આવશે.
અન્ય એક સૂત્રએ જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતના જામનગરમાં માત્ર નિકાસ માટે વાર્ષિક 3.52 કરોડ ટનની રિફાઈનરીનું સંચાલન કરે છે. નવા ટેક્સ છતાં જામનગર રિફાઈનરીની નિકાસ ચાલુ રહેશે. આ સિવાય 3.3 કરોડ ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતી રિફાઇનરીમાંથી પણ કેટલીક નિકાસની અપેક્ષા છે. જો કે, આ રિફાઇનરી સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે BP સાથે રિલાયન્સનું ફ્યુઅલ રિટેલિંગ જોઈન્ટ વેન્ચર દેશના 83,423 પેટ્રોલ પંપમાંથી 1,459 પેટ્રોલ પંપનું સંચાલન કરે છે. આ પેટ્રોલ પંપની જરૂરિયાત પૂરી કર્યા પછી અને જાહેર ક્ષેત્રની કંપનીઓને થોડું તેલ વેચ્યા પછી પણ તેની પાસે નિકાસ માટે સરપ્લસ રહેશે. એ જ રીતે, રોસનેફ્ટ-સમર્થિત નાયરા એનર્જી ગુજરાતમાં વડનગર ખાતે 20 મિલિયન ટનની રિફાઇનરી ચલાવે છે. જે 6,619 પેટ્રોલ પંપ ચલાવે છે. કંપનીના કુલ ઉત્પાદનમાં 1.2 કરોડ ટન વાર્ષિકથી પણ ઓછું સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડીઝલ અને એટીએફની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખર્ચવામાં આવે છે.