
સસ્તી હવાઈ મુસાફરી પૂરી પાડતી કંપની Go Firstની હાલત એટલી ખરાબ હતી કે તેણે પોતાને નાદાર જાહેર કરવા માટે NCLTનો સંપર્ક કર્યો હતો. એનસીએલટીએ આ અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. પરંતુ નાદારીની આ તલવાર અન્ય બજેટ એરલાઈન્સ સ્પાઈસ જેટ પર પણ લટકી રહી છે. હવે આ અંગે 8 મેના રોજ મોટી સુનાવણી છે.
સ્પાઈસ જેટની આર્થિક સ્થિતિ અત્યારે સારી નથી અને હવે એરક્રાફ્ટ રેન્ટલ કંપનીએ તેની સામે નાદારી પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી કરી છે. NCLTએ આ માટે 8 મેની તારીખ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે, સ્પાઈસજેટની હરીફ કંપની ગો ફર્સ્ટ સામેની બે નાદારી અરજીઓ પર પણ તે જ દિવસે સુનાવણી થવાની છે.પોતે નાદારી પ્રક્રિયા માટે અરજી કર્યા પછી, તમામ GoFirst ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને જે 12 મે સુધી રદ રહેશે.
આઇરિશ કંપની એરકેસલ (આયરલેન્ડ) લિમિટેડે સ્પાઇસજેટ સામે નાદારી પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. કંપની સ્પાઇસજેટને ભાડા પર એરક્રાફ્ટ આપે છે. કંપનીએ 28 એપ્રિલે NCLTમાં આ અરજી દાખલ કરી હતી. હવે 8મી મેના રોજ સુનાવણી બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે કે સ્પાઈસ જેટ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ કે નહીં.
આ પણ વાંચો :Jet Airwaysના સ્થાપક નરેશ ગોયલની ઓફિસ સહિત 7 સ્થળ પર CBIનું સર્ચ ઓપરેશન, 500 કરોડથી વધારેની છેતરપિંડીનો આરોપ
દરમિયાન, સ્પાઈસ જેટ વતી કહેવામાં આવ્યું છે કે તેણે એરકેસલ (આયરલેન્ડ) લિમિટેડના તમામ એરક્રાફ્ટ પહેલાથી જ પરત કરી દીધા છે. કંપનીના કાફલામાં આઇરિશ કંપનીનું કોઇ વિમાન નથી.
સ્પાઈસજેટે પણ તેના ગ્રાહકોને ખાતરી આપી છે કે આ અરજીના કારણે તેની ફ્લાઇટ સેવા પર કોઈ અસર નહીં પડે.તેઓ પહેલાની જેમ જ સામાન્ય રહેશે.કંપની તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાને કોર્ટની બહાર ઉકેલવામાં આવશે.
જોકે, NCLT અનુસાર, અન્ય બે કંપનીઓએ પણ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે સ્પાઈસ જેટ સામે અરજી કરી છે. આમાં વિલિસ લીઝ ફાઇનાન્સ કોર્પોરેશને 12 એપ્રિલે અને એકર્સ બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડે 4 ફેબ્રુઆરીએ અરજી કરી હતી. સ્પાઈસ જેટે આ બંને અરજીઓ પર હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.