
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયાતી જેનરિક દવાઓ પર તબક્કાવાર 200 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેર પર દબાણ જોવા મળ્યું છે. જોકે ટ્રમ્પે આગામી બે વર્ષ સુધી શૂન્ય ટેરિફની રાહત આપવાની જાહેરાત કરી છે, તેમ છતાં લાંબા ગાળાની અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. બુધવારે શેરબજારમાં કારોબારની શરૂઆતથી જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાયો હતો, જ્યારે ફાર્મા સેક્ટરના મોટાભાગના શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ અગાઉના 77,470ના બંધની સરખામણીએ 77,384ના સ્તરે ખુલ્યો હતો. ટ્રેડિંગ શરૂ થયાના થોડા જ સમયમાં તેમાં વધુ વેચવાલી જોવા મળતા સેન્સેક્સ 575થી વધુ પોઇન્ટ તૂટીને 76,851ની સપાટીએ પહોંચી ગયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 24,150ના સ્તરે ખુલ્યા બાદ લગભગ 170 પોઇન્ટ ઘટીને 24,011 સુધી સરકી ગયો હતો. બજારમાં વ્યાપક વેચવાલી વચ્ચે રોકાણકારો સાવચેત વલણ અપનાવતા જોવા મળ્યા હતા.
બજારમાં ઘટાડા વચ્ચે સૌથી વધુ અસર ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેર પર જોવા મળી હતી. લ્યુપિનનો શેર આશરે 3 ટકા તૂટ્યો હતો, જ્યારે ગ્લેન્ડ ફાર્મા પણ લગભગ 3 ટકા નીચે ગયો હતો. અરબિંદો ફાર્મામાં 2.80 ટકા, અલ્કેમ લેબોરેટરીઝમાં 2.50 ટકા અને ઝાયડસ લાઇફસાયન્સિસમાં 2.30 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત સિપ્લા 2.10 ટકા, ગ્લેનમાર્ક ફાર્મા 1.80 ટકા, મેનકાઇન્ડ ફાર્મા 1.75 ટકા, ફોર્ટિસ હેલ્થકેર 1.50 ટકા અને સન ફાર્માના શેરમાં પણ 1.20 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ફાર્મા શેરોમાં આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકામાં આયાત થતી જેનરિક દવાઓ પર તબક્કાવાર 200 ટકા સુધી ટેરિફ લાગુ કરવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે 1 ઓગસ્ટ, 2026થી આગામી બે વર્ષ સુધી આ દવાઓ પર કોઈ ટેરિફ લાગુ નહીં થાય. ત્યારબાદ એક વર્ષ માટે 100 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે અને પછી તેને વધારીને 200 ટકા સુધી લઈ જવામાં આવશે.
ભારત વિશ્વના સૌથી મોટા જેનરિક દવા ઉત્પાદકોમાંનું એક છે અને અમેરિકી બજાર ભારતીય ફાર્મા કંપનીઓ માટે સૌથી મહત્વપૂર્ણ નિકાસ બજારોમાંનું એક ગણાય છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં વધનારા ટેરિફની જાહેરાતથી ભારતીય કંપનીઓના નફા અને નિકાસ પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે બે વર્ષની રાહતને કારણે કંપનીઓને તેમની વ્યૂહરચના બદલવા અને નવા બજારો શોધવા માટે સમય મળશે.
બજાર નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં રોકાણકારોએ ગભરાઈને નિર્ણય લેવાના બદલે લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જોઈએ. ટ્રમ્પની નીતિ અમલમાં આવવામાં હજુ સમય છે અને તે દરમિયાન વૈશ્વિક વેપાર નીતિઓમાં ફેરફાર થવાની શક્યતાઓ પણ રહેલી છે. તેથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં બજારના નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.
આ પણ વાંચો- Trending Video : યમરાજનો આવ્યો ‘મિસ્ડ કોલ’! ખીણમાં પડતા પડતા બચ્યો બાઇકર, જુઓ Video