ટ્રેન મોડી પડવી એ આપણા દેશમાં સામાન્ય બાબત છે. ઘણી વખત એવું બને છે કે ટ્રેનના વિલંબને કારણે મહત્વનું કામ ચૂકી જવાય છે. ઘણા લોકોને ખબર પણ નહીં હોય પરંતુ તમને આજે જણાવી દઈએ કે જો ટ્રેન મોડી હોય તો તમે રિફંડ મેળવી શકો છો. ભારતીય રેલવેના નિયમો અનુસાર જો કોઈ ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે તો ટિકિટ રદ કરીને સંપૂર્ણ રિફંડ મેળવી શકાય છે.
અગાઉ આ નિયમ માત્ર કાઉન્ટર ટિકિટ માટે જ હતો. પરંતુ હવે તે ઓનલાઈન ટિકિટ માટે પણ લાગુ કરી દેવામાં આવ્યો છે. આવા કિસ્સાઓમાં પેસેન્જરે રિફંડ મેળવવા માટે ટીડીઆર ફાઈલ કરવી પડશે. અમે તમને જણાવી દઈએ કે ટીડીઆર કેવી રીતે ફાઈલ કરવી અને આ અંગેના નિયમો શું છે.
ટીડીઆર ફાઈલ કરવા માટે આઈઆરસીટીસી વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર લોગીન કરો. પછી માય એકાઉન્ટ પર જાઓ અને માય ટ્રાન્ઝેક્શન વિકલ્પ પસંદ કરો. આમાં તમને ફાઈલ TDRનો વિકલ્પ આપવામાં આવ્યો છે જેના પર ક્લિક કરવું. ટીડીઆર ફાઈલ કર્યા પછી મહત્તમ 60 દિવસની અંદર પૈસા પરત કરવામાં આવે છે.
ટ્રેન 3 કલાકથી વધારે મોડી હોય તો તમે રિફંડ મેળવી શકો છો
ફાઈલ ટીડીઆર પર ક્લિક કરવા પર તમારી ટિકિટની સંપૂર્ણ વિગતો જાહેર થશે. જો તમારી ટ્રેન 3 કલાકથી વધુ મોડી છે અને આ કારણે તમે મુસાફરી કરવા માંગતા નથી તો ટીડીઆર કારણમાં (TDR reason), ટ્રેન લેટ મોર ધેન થ્રી અવર્સનો વિકલ્પ પસંદ કરવો પડશે.
જો કોઈ મુસાફર ખોટી માહિતી આપીને છેતરપિંડીથી ટીડીઆર દાખલ કરે છે તો તેનો દાવો ફગાવી દેવામાં આવશે અને ખાતું ડી-એક્ટિવેટ કરવામાં આવશે. ટીડીઆર ફાઈલ કર્યા પછી, માય ટ્રાન્ઝેક્શન ઓફ માય એકાઉન્ટ પર જાઓ અને બુક કરેલ ટિકિટ હિસ્ટ્રી પર જાઓ. અહીં ટીડીઆર ફાઈલીંગ માટે પેન્ડીગ રીક્વેસ્ટ દેખાશે.
ટ્રેન રદ થવાના કિસ્સામાં ટીડીઆર ફાઈલ કરવાની જરૂર નથી
જો ટ્રેન આપમેળે રદ થાય છે તો પછી ટિકિટ રદ કરવાની અને ટીડીઆર ફાઈલ કરવાની જરૂર નથી. જો ટ્રેન 3 કલાકથી વધુ મોડી હોય અને પેસેન્જર મુસાફરી ન કરે તો ટ્રેન ઉપડતા પહેલા ટીડીઆર ફાઈલ કરવાની રહેશે. જો પેસેન્જરે ટિકિટ કરતાં નીચલા વર્ગમાં મુસાફરી કરવી હોય તો ભાડામાં તફાવત ટીડીઆર દાખલ કરીને વસૂલ કરી શકાય છે. જો ટ્રેનનું એસી કામ કરતું નથી તો મુસાફરે તેના ડેસ્ટીનેશન સુધી પહોંચતા પહેલા ટીડીઆર ફાઈલ કરવી પડશે.
RAC ટિકિટ હોય તો મુસાફરીના અડધા કલાક પહેલા TDR ફાઈલ કરો
જો કોઈ મુસાફર પાસે કન્ફર્મ ટિકિટ હોય અને કોઈ કારણોસર મુસાફરી ન કરે તો નિર્ધારિત પ્રસ્થાનના ચાર કલાક પહેલા ટિકિટ રદ કરવી પડશે અને ટીડીઆર દાખલ કરવી પડશે. જો તમારી પાસે RAC ટિકિટ છે તો ટિકિટ નિર્ધારિત પ્રસ્થાનના અડધા કલાક પહેલા રદ કરી શકાય છે અથવા ટીડીઆર દાખલ કરી શકાય છે.
આ કેસોમાં 72 કલાકની અંદર ટીડીઆર દાખલ કરી શકાય છે
આ ઉપરાંત ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે જેના કારણે પેસેન્જર મુસાફરી કરી શક્તો નથી, ડાયવર્ઝનને કારણે ટ્રેન ડેસ્ટીનેશન સ્ટેશન પર પહોંચી શક્તી નથી, ટ્રેન ટર્મિનેટ કરવામાં આવે છે, ડાયવર્ઝનને કારણે ટ્રેન બોર્ડીંગ સ્ટેશન પર આવતી નથી અને ગ્રુપ ટિકિટમાં પાર્શીયલ કન્ફર્મેશન એટલે કે કેટલાંક લોકોની ટિકિટ કન્ફર્મ થઈ હોય અને કેટલાંક લોકોની ટિકિટ કન્ફર્મ થવાની બાકી હોય. ઉપરોક્ત કેસોમાં 72 કલાકની અંદર ટીડીઆર દાખલ કરીને રિફંડ મેળવી શકાય છે.
આ પણ વાંચો : Bank Rules : શું બેંક કર્મચારીઓ તમને પણ વીમો લેવા માટે કહી રહ્યા છે? તો જાણો આ નિયમ વિશે