
દેશમાં દિવસેને દિવસે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. ખાદ્યપદાર્થોની વધતી કિંમતોએ લોકોનું જીવન મુશ્કેલ બનાવ્યું છે. લીલા શાકભાજીની સાથે કઠોળના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સામાન્ય જનતાને મોંઘવારીથી રાહત આપવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે ઘઉંના સતત વધતા ભાવને લઈ ‘ભારત આટા’ લોન્ચ કર્યું છે.
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે આજે એટલે કે, સોમવારે સબસિડીવાળા ‘ભારત આટા’ લોન્ચ કર્યું. કેન્દ્ર સરકાર દ્વારા બજારમાં મળતા ઘઉંના લોટના ભાવ કરતા સસ્તા ભાવે તેનું વેચાણ કરશે, જેથી સામાન્ય લોકોને રાહત મળશે. આ લોટ NAFED, NCCF, મધર ડેરી અને અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ભારત આટા લોન્ચ કર્યા બાદ પીયૂષ ગોયલે કહ્યું કે, આજે ખુશીઓને લીલી ઝંડી બતાવવામાં આવી છે. લોકોને ઓછા ભાવે સારી ગુણવત્તાનો લોટ આપવા માટે સરકારે આ પગલું લીધું છે. તેમણે કહ્યું કે NAFED, NCCF અને કેન્દ્રીય ભંડાર જેવી સરકારી એજન્સીઓના 2000 સ્ટોર્સ પર 2.5 લાખ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. લોકો 27.50 રૂપિયા પ્રતિ કિલોના દરે લોટની ખરીદી કરી શકે છે.
તેમણે આગળ જણાવ્યું કે, ભારત સરકાર ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર ખેડૂતોના ભલા માટે સતત કામ કરી રહી છે. ગ્રાહકો મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે સરકારે તેઓને પણ રાહત આપી છે. આ ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓના ભાવને નિયંત્રિત કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખુલ્લા બજારમાં મળતા લોટના ભાવ એક કિગ્રાના 30-40 રૂપિયા છે. બ્રાન્ડેડ લોટના ભાવ 40 થી 60 રૂપિયા છે. સરકારે લોટના ભાવ 27.50 રૂપિયા પ્રતિ કિલો રાખ્યા છે. આ લોટ ત્રણ પ્રકારના પેકિંગમાં વેચવામાં આવશે. ભારત આટા 10 કિલોથી 30 કિલો સુધીના પેકિંગમાં ઉપલબ્ધ થશે. આ સિવાય સરકારે ભારત દાળ (ચણા દાળ) પણ લોન્ચ કરી છે, જેનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો છે.
Published On - 6:36 pm, Mon, 6 November 23