સરકારે જાહેર ક્ષેત્રના પાવર ફાઈનાન્સ કોર્પોરેશનને (Power Finance Corporation) ‘મહારત્ન’ (Maharatna) દરજ્જો આપ્યો છે. આ પગલું કંપનીની નાણાકીય અને ઓપરેશનલ સ્વાયત્તતા સાથે કાર્યક્ષમતામાં વધારો કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે પીએફસીને (PFC) મહારત્નનો દરજ્જો આપ્યો છે. જે કંપનીના નાણાકીય અને કાર્યકારી સ્તરે સ્વાયત્તતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે.
નાણાં મંત્રાલય હેઠળ આવતા જાહેર સાહસ વિભાગે આ માટે આદેશ જાહેર કર્યો છે. PFCની રચના 1986માં થઈ હતી. તે પાવર સેક્ટર માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગ કરનારી સૌથી મોટી કંપની છે. મહારત્નનો દરજ્જો મળવાથી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે નાણાકીય નિર્ણયોનો વ્યાપ વધશે.
‘મહારત્ન’ કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાણાકીય સંયુક્ત સાહસો અને સંપૂર્ણ પેટાકંપની એકમોમાં ઈક્વિટી રોકાણ અંગે નિર્ણય કરી શકે છે. સાથે જ દેશમાં અને વિદેશમાં મર્જર અને એક્વિઝિશન અંગે પણ નિર્ણય લઈ શકે છે. જો કે આ માટેની મર્યાદા સંબંધિત કંપનીની નેટવર્થના 15 ટકા સુધી મર્યાદિત છે. આ એક પ્રોજેક્ટમાં મહત્તમ 5,000 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે.
આ ઉપરાંત ડિરેક્ટર્સ બોર્ડ માનવ સંસાધન વ્યવસ્થાપન અને તાલીમ સંબંધિત યોજનાઓ અમલમાં મૂકી શકે છે. તેઓ ટેકનોલોજી સ્તરે સંયુક્ત સાહસો અથવા વ્યૂહાત્મક જોડાણોમાં જોડાઈ શકે છે. કેન્દ્રીય વીજ અને નવીનીકરણીય ઉર્જા મંત્રી આર કે સિંહે પીએફસીને અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું કે પીએફસીની મહારત્નનો દરજ્જો દર્શાવે છે કે સરકારને પાવર સેક્ટરના સર્વાંગી વિકાસમાં કંપનીની વ્યૂહાત્મક ભૂમિકામાં સંપૂર્ણ વિશ્વાસ છે. પીએફસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.ઢિલ્લોને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીનું નાણાકીય પ્રદર્શન ઉત્તમ રહ્યું છે અને તેથી જ તેને મહારત્નનો દરજ્જો મળ્યો છે.
હાલમાં, જે કંપનીઓને મહારત્નનો દરજ્જો મળ્યો છે તેમાં ભારત હેવી ઈલેક્ટ્રિકલ લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, કોલ ઈન્ડિયા લિમિટેડ, ગેલ (ઈન્ડિયા) લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, એનટીપીસી લિમિટેડ, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ, પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડનો સમાવેશ થયો છે.