AHMEDABAD : કોરોનાકાળમાં ગુજરાતના વેપાર ઉદ્યોગને માઠી અસર થઇ છે. ગુજરાતમાં એક જ વર્ષમાં જીએસટી ના 87 હજાર રજિસ્ટ્રેશન રદ્દ થયા હોવાનું સામે આવ્યું છે. આમાં કેટલાક રજિસ્ટ્રેશન વેપારીઓએ જ રદ્દ કર્યા છે, તો કેટલાક રાજ્ય કરવેરા વિભાગ તરફથી રદ્દ કરવામાં આવ્યાં છે. વેપારીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થતા GST નંબર રદ્દ કરવામાં આવ્યા છે. પેઢી અથવા વેપાર ઉદ્યોગોના વાર્ષિક ટર્ન ઓવર ઓછા થતા GST ભરવાની લીમીટમા ન આવતા હોય તેવા વેપારીઓએ GST નંબર રદ્દ કર્યા છે. તો કેટલાક વેપારીઓના મૃત્યુ થવાને કારણે જીએસટી નંબર રદ્દ કરાયા છે. તો કેટલાક વેપારીઓ કોરોનાકાળ દરમ્યાન 3 અથવા 6 રીટર્ન ન ભરી શક્યા હોય તેમના GST નંબર રાજ્ય કરવેરા વિભાગ દ્વારા રદ્દ કરવામાં આવ્યાં છે. જો કે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ હોવાને કારણે જે વેપારીઓના જીએસટી રજિસ્ટ્રેશન (GST registrations ) રદ્દ થયા હોય તે વેપારીઓ તેમના GST નંબર પાછા મેળવવા ઈચ્છે છે.