નવરાત્રી (Navratri 2022) દરમિયાન છઠ્ઠા નોરતે મા નવદુર્ગાના દેવી કાત્યાયની (katyayani) સ્વરૂપની પૂજા-અર્ચનાનો મહિમા છે. પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે દેવી કાત્યાયની એ નવદુર્ગાનું (Navdurga) છઠ્ઠું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે. દેવીએ એક હાથમાં કમળ ધારણ કરેલું છે, બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. દેવીનો ત્રીજો હાથ અભયમુદ્રામાં અને ચોથો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપના પૂજન અર્ચનનો મહિમા છે.
છઠ્ઠું નોરતું
આસો સુદ છઠ્ઠ, તા-01 ઓક્ટોબર, શનિવારના રોજ છઠ્ઠું નોરતું છે. આ દિવસે આદ્યશક્તિના કાત્યાયની માતા સ્વરૂપનું સ્મરણ કરી તેમની પૂજાનો સંકલ્પ લેવો.
કાત્યાયની માહાત્મ્ય
પૌરાણિક કથા અનુસાર ઋષિ કતને કાત્યા નામક એક પુત્ર હતો. આ કાત્યના જ ગોત્રમાં અત્યંત વિદ્વાન મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અને આમ દેવી દુર્ગાએ ઋષિ કાત્યાયનના ત્યાં જન્મ લીધો. કાત્યાયનના પુત્રી હોઈ દેવી કાત્યાયનીના નામે પ્રસિદ્ધ થયા. કહે છે કે દેવીની સર્વ પ્રથમ પૂજા તો સ્વયં મહર્ષિ કાત્યાયને જ કરી હતી. ત્યારબાદ દેવી કાત્યાયનીએ જ મહિષાસુરને યુદ્ધ માટે લલકાર્યો અને ભીષણ યુદ્ધમાં તેનો વધ કર્યો. જેના લીધે માનું નામ મહિષાસુર મર્દિની પડ્યું.
કાત્યાયની પૂજન
⦁ છઠ્ઠા નોરતે દેવીને પૂજામાં ગલગોટાના પુષ્પ અર્પણ કરવા.
⦁ નૈવેદ્યમાં માતા કાત્યાયનીને ‘મધ’ અચૂક અર્પણ કરવું.
⦁ ફળ પ્રસાદ રૂપે દેવીને આજે જામફળનો ભોગ ધરાવવું
⦁ સાધકે આજે ભૂખરા રંગના વસ્ત્ર ધારણ કરવા. આ રંગના વસ્ત્ર ધારણ કરવાથી સાધક વધુ સરળ અને શાંત બને છે.
ફળદાયી મંત્ર
| ૐ એં હ્રીં ક્લીં કાત્યાયન્યૈ નમઃ ||
કાત્યાયની માતાની કૃપાને પ્રાપ્ત કરવા સાધકે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ.
ફળપ્રાપ્તિ
એવી માન્યતા છે કે જે મનુષ્ય નવરાત્રિ દરમ્યાન આસ્થા સાથે કાત્યાયની દેવીની પૂજા કરે છે તેના સંતાપ, ભય, રોગ અને શોકનો નાશ થઈ જાય છે. તે સાધકને કાત્યાયનીની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજની મા કાત્યાયની ઉપાસનાથી ‘ગુરુ’ ગ્રહ સંબંધી દોષોનું નિવારણ થતું હોવાની માન્યતા છે.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)