Bhakti: લીલી પરિક્રમા દરમિયાન કેમ જોવા નથી મળતા ઝેરી જીવ-જંતુઓ ? જાણો જીણાબાવાની રસપ્રદ કથા

આ યાત્રામાં ક્યાંય પણ ઝેરી જીવજંતુઓ જોવા નથી મળતા. ક્યારેય કોઈ ભક્તને ઝેરી જંતુ કરડ્યું હોય તેવું પણ નથી બન્યું. કહે છે કે તેનો તમામ શ્રેય જાય છે જીણાબાવાને.

Bhakti: લીલી પરિક્રમા દરમિયાન કેમ જોવા નથી મળતા ઝેરી જીવ-જંતુઓ ? જાણો જીણાબાવાની રસપ્રદ કથા
જીણાબાવાનું સમાધિસ્થાન
| Edited By: | Updated on: Nov 17, 2021 | 9:05 AM

જય ગિરનારી (jai girnari) ગિરનાર પરિક્રમાનો (girnar parikrama) રૂડો અવસર ચાલી રહ્યો છે. કોરોનાકાળને લીધે દર વર્ષની જેમ આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ નથી લઈ શક્યા. પરંતુ, તેની સાથે જોડાયેલી અનેકવિધ કથાઓનું સ્મરણ કરીને પણ શ્રદ્ધાળુઓ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. ત્યારે અમારે પણ આજે એક આવી જ કથાની વાત કરવી છે.

લોકમાન્યતા એવી છે કે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલનારી આ યાત્રામાં ક્યાંય પણ ઝેરી જીવજંતુઓ જોવા નથી મળતા. ક્યારેય કોઈ ભક્તને ઝેરી જંતુ કરડ્યું હોય તેવું ક્યારેય નથી બન્યું. લોકો ગાઢ વનમાંથી પસાર થાય તો પણ આ પાંચ દિવસ દરમિયાન કીડી જેવો જીવ પણ નજરે નથી પડતો. કહે છે કે તેનો તમામ શ્રેય જાય છે જીણાબાવાને.

36 કિલોમીટર લાંબી ગિરનાર પરિક્રમાની યાત્રા દરમિયાન કુલ ચાર પડાવ આવે છે. પહેલો પડાવ જીણાબાવાની મઢી. દરમિયાન. બીજો પડાવ માળવેલા. ત્રીજો પડાવ બોરદેવી. અને ચોથો તેમજ અંતિમ પડાવ ભવનાથ મહાદેવ. કહે છે કે ભક્તો સર્વ પ્રથમ દર્શન જીણાબાવાની મઢીએ જ કરે છે.

જીણાબાવાની મઢીએ જીણાબાવાનું સમાધિસ્થાન આવેલું છે. શ્રદ્ધાળુઓ આસ્થા સાથે અહીં દર્શન કરે છે. યાત્રાના ચાર દિવસ દરમિયાન અહીં એક ખાસ ચલમને દર્શનાર્થે મુકવામાં આવે છે. ભક્તો એ ચલમના પણ દર્શન કરે છે. અને સાથે જ ચલમ સાથે જોડાયેલી એ કથાને પણ યાદ કરે છે કે જેના લીધે આ યાત્રા વધુ સુખરૂપ બની. લોકવાયકા અનુસાર જીણાબાવા ભગવાન દત્તાત્રેયના પરમ ભક્ત હતા. કહે છે કે દત્તાત્રેય અને ગોરખનાથજી અઘોરીનું રૂપ ધરી તેમની પાસે બેસવા આવતા. અને એકવાર તેમણે જીણાબાવાને મજાકમાં પૂછી લીધું કે, “અરે જીણા, તારી કાયા તો આટલી મોટી છે. તો, લોકો તને જીણા કેમ કહે છે ?”

જીણાબાવાની જેમાંથી પસાર થયા હતા તે ચલમ !

અઘોરીની વાત સાંભળી જીણાબાવાએ જવાબ આપ્યો. “મારું નામ જ નહીં, શરીર પણ જીણું જ છે. જુઓ તો ખરાં…” કહે છે કે આમ બોલતાની સાથે જ જીણાબાવાએ અતિ નાનું કદ ધારણ કર્યું. અને ચલમની અંદરથી પસાર થઈ ગયા. તેમનું આ રૂપ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા. લોકવાયકા અનુસાર તેમની પરીક્ષા લેનાર તે બીજું કોઈ નહીં, પરંતુ, ભગવાન દત્તાત્રેય જ હતા. તેમણે પ્રસન્ન થઈ જીણાબાવાને વરદાન માંગવા કહ્યું. ત્યારે જીણાબાવાએ કહ્યું કે, “અહીં જે ભક્ત પરિક્રમાએ આવે તેને કોઈ જીવજંતુ ક્યારેય સતાવે નહીં, યાત્રાના પાંચ દિવસ દરમિયાન અહીં એકપણ જીવજંતુ ન દેખાય !”

લોકવાયકા અનુસાર જીણાબાવાએ સ્વયંની માટે કંઈ માંગવાને બદલે લોકોની માટે માંગ્યું. ત્યારે દત્તાત્રેયજીએ પ્રસન્ન થઈને તેમને કહ્યું, “હે જીણાબાવા ! હું તમારી સાધના અને ભાવનાથી પ્રસન્ન થયો છું. હું તમને વરદાન આપું છું, કે યાત્રાના પાંચ દિવસ દરમિયાન ભક્તોને કોઈ જીવજંતુ પરેશાન નહીં કરે. તેમજ આ લીલી પરકમ્મામાં ભક્તો સર્વ પ્રથમ તમારાં જ દર્શન કરશે.”

કહે છે કે દત્તાત્રેયજીએ આપેલાં વરદાનને લીધે જ ભક્તો સર્વ પ્રથમ જીણાબાવાની મઢીએ દર્શનાર્થે આવે છે. જીણાબાવાની મઢીએ રામનાથ મહાદેવનું પણ સ્થાનક આવેલું છે. જ્યાં ભક્તો આસ્થા સાથે મહેશ્વરના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ પૌરાણિકકાળમાં કોણે-કોણે કરી હતી ગિરનારની પરિક્રમા ? જાણો, મહાફળદાયી યાત્રાની મહત્તા

આ પણ વાંચોઃ પરમાત્મા સુધી પહોંચાડતો પથ એટલે પ્રાર્થના ! ક્યાંક તમે તો નથી કરતાંને પ્રાર્થનામાં આ ભૂલ?

Follow Us
Loading...
Unable to load recommendations.