
હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. અને એટલે જ આપણે ત્યાં ગૌપૂજાનો સવિશેષ મહિમા રહેલો છે. એટલું જ નહીં, સમગ્ર વર્ષ દરમિયાન એવાં અનેક ઉત્સવો આવે છે, કે જે દિવસે ગૌપૂજનનું મહત્વ અનેકગણું વધી જાય છે. જેમ કે, બોળચોથ, વાઘબારસ તેમજ ગોપાષ્ટમી. સવિશેષ તો વૈષ્ણવ સંપ્રદાયમાં ગોપાષ્ટમીનાઉત્સવનું અદકેરું જ મહત્વ છે. કારણ કે આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે. કારતક સુદી અષ્ટમીની તિથિને ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 1 નવેમ્બર, મંગળવારના રોજ છે. ત્યારે આવો, આજે આપણે આ ઉત્સવની મહત્તાને જાણીએ.
ગોપાષ્ટમી સાથે શ્રીકૃષ્ણનો નાતો !
ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામ બંન્નેવ બાળપણથી જ ગોકુળમાં ઉછર્યા હતા. ગોકુળ એ ગોવાળોની એટલે કે ગોપાલકોની નગરી હતી. ગોવાળ એટલે એ કે જે ગાયોને પાળે. કૃષ્ણ અને બલરામને પણ ગાયની સેવાનું અને તેમની રક્ષાનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. પ્રચલિત કથા એવી છે કે એ કારતક સુદ અષ્ટમીની જ તિથિ હતી, કે જે દિવસે નાનકડાં કાન કુંવરજીએ ગાયો ચરાવવા જવાનો પ્રારંભ કર્યો હતો. કહે છે કે ગોપાષ્ટમીના એક દિવસ પહેલા શ્રીકૃષ્ણ અને ભાઈ બળભદ્રએ ગાયના પાલન-પોષણનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. અને પછી ગોપાષ્ટમીથી ગાયો ચરાવવાનો પ્રારંભ કર્યો હતો.
કોની કરશો પૂજા ?
ગોપાષ્ટમીના દિવસથી જ ભગવાન શ્રીકૃષ્ણએ ગાયો ચરાવવા જવાનો પ્રારંભ કર્યો હતો. એટલે કે તે કારતક સુદી અષ્ટમીની જ તિથિ હતી કે જે દિવસે શ્રીકૃષ્ણ ગોપાલ બન્યા હતા. અને એટલે જ આ દિવસની ગૌપૂજા સવિશેષ ફળદાયી મનાય છે. આ દિવસે વાછરડા સાથેની ગાયની પૂજા કરવાથી શ્રીકૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે. એટલે કે, ભક્તને ગાયના આશિષ તો પ્રાપ્ત થાય જ છે. સાથે જ, તે શ્રીકૃષ્ણની કૃપાનો પણ હકદાર બની જાય છે. ત્યારે આવો, ગાય અને શ્રીકૃષ્ણની પ્રસન્નતા માટેની ખાસ વિધિ જાણીએ.
ગોપાષ્ટમીની વિશેષ પૂજા
⦁ ગોપાષ્ટમીએ સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારીને સર્વ પ્રથમ વ્રત-પૂજાનો સંકલ્પ લો.
⦁ દૂધ આપનારી ગાય અને તેના વાછરડાને માળા પહેરાવીને તિલક લગાવો.
⦁ એક નાના પાત્રમાં પાણી, ચોખા, સફેદ તલ અને ફૂલ ભેગા કરીને તેને ગાયના ચરણ પર અર્પણ કરો. આ સમયે નીચે જણાવેલ મંત્રનો જાપ કરો.
ફળદાયી મંત્ર
ક્ષીરોદાર્ણવસમ્ભૂતે સુરાસુરનમસ્કૃતે ।
સર્વદેવમયે માતર્ગૃહાણાર્ધ્ય નમો નમઃ ।।
⦁ આ દિવસે શક્ય હોય તો ગાયની 9 પ્રદક્ષિણા કરવી. જો શક્ય ન હોય તો 1 પ્રદક્ષિણા અચૂક કરવી. કહે છે કે તેનાથી 33 કોટિ દેવી-દેવતાના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
⦁ આ દિવસે ગાયને લીલા વટાણા અને ગોળ ખવડાવવાની પ્રથા છે. જો એ શક્ય ન બને તો ગાયને લીલું ઘાસ નીરવું. તમે ગાયને રોટલી પણ અર્પણ કરી શકો છો.
⦁ આ દિવસે ગૌપાલકોને દાન આપવું. માન્યતા અનુસાર આ દિવસે વસ્ત્રદાન સવિશેષ ફળદાયી બની રહેશે.
⦁ આમ તો ગોપાષ્ટમીએ ગૌમાતાની પૂજાથી જ ભગવાન શ્રીકૃષ્ણ પણ પ્રસન્ન થઈ જાય છે. પણ, શક્ય હોય તો આ દિવસે કોઈ કૃષ્ણ મંદિરે દર્શને જવું. તેનાથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.
ફળપ્રાપ્તિ
⦁ પુરાણોમાં વર્ણિત કથા અનુસાર ગાયમાતામાં 33 કોટિ દેવી-દેવતાઓનો નિવાસ છે. અને એટલે જ, માત્ર ગાયની પૂજા કરવાથી જ વ્યક્તિની અનેકવિધ કામનાઓ સિદ્ધ થઈ જતી હોય છે.
⦁ કહે છે કે જે વ્યક્તિ આસ્થા સાથે ગોપાષ્ટમીએ ગાય માતાની અને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે છે, તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની ખોટ નથી વર્તાતી.
⦁ ગોપાષ્ટમીના પૂજનથી પરિવારમાં ખુશીઓનું આગમન થાય છે. એટલું જ નહીં, સુખ-શાંતિ અને સમૃદ્ધિ સ્થિર રહે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
Published On - 6:23 am, Sat, 29 October 22