પાવનકારી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ નવરાત્રી અત્યંત ફળદાયી મનાય છે. એટલું જ નહીં, આ નવરાત્રી દરમિયાન કેટલાંક વિશેષ ઉપાયો અજમાવાથી વ્યક્તિને મનોવાંચ્છિત ફળની પણ પ્રાપ્તિ થાય છે. પણ, શું તમે જાણો છો કે નવરાત્રીના આ દિવસો દરમિયાન તમે પાન સાથે જોડાયેલાં કેટલાંક ઉપાય અજમાવીને કામનાઓની પૂર્તિ પણ કરી શકો છો ! આજે અમે તમને નાગરવેલના પાન તેમજ બીલીપત્ર સાથે જોડાયેલાં કેટલાંક એવાં ઉપાય જણાવીશું કે તમારા આર્થિક સંકટોને તો દૂર કરશે જ. સાથે જ નોકરીમાં બઢતીના યોગ સર્જશે અને મનોવાંચ્છિત જીવસાથીના શુભાશિષ પણ પ્રદાન કરશે. આવો, આ સરળ ઉપાયો વિશે વિગતે માહિતી મેળવીએ.
નવરાત્રી દરમિયાન ગમે તે એક દિવસે પૂજા દરમિયાન આ પ્રયોગ કરી શકાય છે. એક પાન પર ગુલાબની પાંખડીઓ મૂકીને માતાના ચરણોમાં અર્પણ કરવાની છે. કહે છે કે આ કાર્ય કરવાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે અને ધનના આગમન માટેના માર્ગ ખુલી જાય છે.
જો આપના ઉપર દેવાનો બોજો હોય તો તમારે ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં આ ઉપાય કરવો જોઈએ. એટલે કે પ્રથમ નોરતાથી લઈ હનુમાન જયંતિ સુધી કોઈપણ દિવસે આ ઉપાય કરી શકાય છે. આ ઉપાય હનુમાનજી સાથે જ જોડાયેલો છે ! આ દિવસે આખા નાગરવેલના પાન પર લવિંગ અને ઇલાયચી રાખીને તેનું બીડું બનાવી લો. ત્યારબાદ નજીકમાં આવેલ હનુમાન મંદિરમાં જઇને પાનનું આ બીડું હનુમાનજીને અર્પણ કરો. જો મંદિર જવું શક્ય ન હોય તો ઘરમાં જ રહેલ હનુમાનજીની મૂર્તિ સમક્ષ પાનનું બીડું તમે અર્પણ કરી શકો છો. કહે છે કે આ પ્રયોગથી બજરંગબલી ઋણમુક્તિના આશિષ પ્રદાન કરે છે. અને ઝડપથી એવાં સંજોગ સર્જાય છે કે તમે દેવામાંથી મુક્ત થઈ શકો.
નોકરીમાં બઢતી અને પ્રમોશનમાં જો અવરોધ આવતા હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં પાનના પત્તાનો એક સરળ ઉપાય દર્શાવવામાં આવ્યો છે. તેના માટે આપે એક નાગરવેલનું પાન લઇ તેની બંને તરફ સરસવનું તેલ લગાવવું. ત્યારબાદ આ પાનને મા અંબાને અર્પણ કરવું. સૂતા સમયે પોતાના માથા પાસે આ પાન રાખીને સૂઇ જવું અને બીજા દિવસે આ પાન કોઇ દુર્ગા મંદિરની પાછળ મૂકીને આવવું. કહે છે કે આ ઉપાય કરવાથી તમારું નસીબ તમારો સાથ આપશે સાથે જ નોકરીમાં બઢતી માટેના નવા દ્વાર ખુલશે.
જે યુવક કે યુવતિને પ્રિય પાત્રને જીવનસાથી તરીકે મેળવવાની મનશા હોય તેમણે નવરાત્રી દરમ્યાન ઘર નજીકના શિવ મંદિરમાં જવું. ત્યારબાદ ત્યાં વિદ્યમાન શિવજી અને દેવી પાર્વતીની મૂર્તિ પર જળ અને દૂધ અર્પણ કરવું. પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય તેમને અર્પણ કરવા. ખાસ તો ભૂલ્યા વગર બિલ્વપત્ર ચઢાવવું. અને પછી મનશાને પ્રભુ સન્મુખ અભિવ્યક્ત કરવી. કહે છે કે તેનાથી ખૂબ જ ઝડપથી વિવાહના યોગ સર્જાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)