આ રંગપંચમીનો અવસર આપશે સરકારી નોકરીની તક ! સરળ ઉપાયથી તમામ કલેશ થશે નષ્ટ !

શું તમે એ જાણો છો કે રંગપંચમી (Rangpanchami) પર કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે તમારા સૂતેલા ભાગ્યને પણ ચમકાવી શકો છો ? આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે ગૃહ કલેશથી મુક્તિ મેળવી શકો છો. તો, સાથે જ સરકારી નોકરીની તક પણ પ્રાપ્ત કરી શકો છો !

આ રંગપંચમીનો અવસર આપશે સરકારી નોકરીની તક ! સરળ ઉપાયથી તમામ કલેશ થશે નષ્ટ !
| Edited By: | Updated on: Mar 11, 2023 | 6:25 AM

રંગપંચમીનો તહેવાર હોળીના 5 દિવસ પછી ઉજવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે રંગપંચમીના દિવસે રંગનો ઉપયોગ કરવાથી સૃષ્ટિમાં સકારાત્મક ઊર્જાનું આગમન થાય છે. આ સકારાત્મક ઊર્જામાં લોકોને દેવી દેવતાઓના સ્પર્શની અનુભૂતિ થાય છે ! સામાજિક દૃષ્ટિએ ફાગણ વદ પંચમીના આ ઉત્સવનું આગવું જ મહત્વ રહેલું છે.

આ તહેવાર પ્રેમ અને સૌહાર્દનું પ્રતિક મનાય છે. આ વખતે, 12 માર્ચ, રવિવારે આ તહેવાર ઉજવાશે. પણ, શું તમે એ જાણો છો કે આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે તમારા સૂતેલા ભાગ્યને પણ ચમકાવી શકો છો ? રંગપંચમી પર કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે ગૃહ કલેશથી મુક્તિ મેળવી શકો છો. તો, સાથે જ સરકારી નોકરીની તક પણ પ્રાપ્ત કરી શકો છો ! આવો, આજે તે માટેના ઉપાયો જાણીએ.

સરકારી નોકરી અર્થે

અત્યારની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક લોકો એવું વિચારે છે કે તેમને નોકરી ધંધામાં સારી કમાણી થાય. દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે તેમનો પરિવાર સુખ શાંતિથી જીવન પસાર કરે અને તેમની નોકરી સુરક્ષિત રહે. નોકરીમાં સુરક્ષાની વાત આવે એટલે લોકોના મગજમાં પહેલાં જ સરકારી નોકરીનો વિચાર આવે. કદાચ તમને પણ આવો વિચાર આવતો હશે. તો, આજે આપણે સરકારી નોકરીની પ્રાપ્તિ અર્થે અજમાવવાના સરળ અને સચોટ ઉપાય વિશે જાણીએ.

⦁ રંગપંચમીના અવસરે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરવું.

⦁ શંખમાં જળ ભરીને તેમાં બે ચપટી કંકુ અને હળદર ઉમેરો.

⦁ ત્યારબાદ “ૐ ધૃણિ સૂર્યાય નમઃ” મંત્રનો 108 વખત જાપ કરો.

⦁ હવે કૂશના આસન પર ઊભા રહીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો.

⦁ સૂર્યનારાયણનું સ્મરણ કરતાં તમારી જગ્યા પર જ ઊભા રહી 3 વખત પ્રદક્ષિણા કરો. સાથે જ 27 વખત ગાયત્રી મંત્રનો જાપ કરો.

⦁ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી સરકારી નોકરી મેળવવાના યોગ સર્જાય છે !

ગૃહ કલેશથી મુક્તિ અર્થે

જો આપના ઘરમાં સતત કલેશ રહેતો હોય, સતત ઝઘડાને લીધે પરિવારમાં અશાંતિનો માહોલ હોય અને પરિવારજનો સતત તણાવમાં રહેતા હોય, તો તેનાથી મુક્તિ અર્થે રંગપંચમી પર એક વિશેષ ઉપાય અજમાવો. માન્યતા અનુસાર આ ઉપાયથી આપના ઘરમાં રહેલ કલેશ હંમેશને માટે દૂર થઈ જશે. અને ઘરમાં સુખ-શાંતિનું આગમન થશે. આ ઉપાય માટેની વિધિ નીચે અનુસાર છે.

⦁ ગૃહ કલેશથી પીડિત વ્યક્તિએ રંગપંચમીના અવસરે પ્રાતઃકાળે ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત થવું.

⦁ સર્વ પ્રથમ તાંબાના કળશમાં જળ લઈ તેમાં ગોળ અને ગંગાજળ ઉમેરવા.

⦁ આ જળમાંથી થોડું જળ સૂર્યદેવતાને અર્ઘ્ય રૂપે અર્પણ કરવું.

⦁ ત્યારબાદ કળશની સન્મુખ બેસી “ૐ શ્રી પિતૃદેવાય નમઃ” મંત્રનો 108 વાર જાપ કરવો.

⦁ મંત્રજાપ પતે પછી તે જળમાંથી થોડું જળ પીપળાના વૃક્ષમાં અર્પણ કરો.

⦁ થોડું જળ બાકી રાખીને તેને ઘરે લાવીને સમગ્ર ઘરમાં તે જળનો છંટકાવ કરો.

⦁ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપના ઘરમાં રહેલ તમામ પ્રકારના કલેશ દૂર થઈ જાય છે. તેમજ ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)