
હિન્દુ પંચાંગ અનુસાર શિવરાત્રી તો દરેક માસમાં આવે છે. પરંતુ, મહા માસમાં આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે જ શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રીમાં રાત્રિ પૂજાનો મહિમા છે. અને તે શિવજીની કૃપા પ્રાપ્ત કરાવતો સર્વોત્તમ અવસર મનાય છે.
આ વખતે શિવરાત્રી 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ છે. માન્યતા અનુસાર જે ભક્ત મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો સાચા મનથી મહાઅભિષેક કરે છે તેના પર ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એટલું જ નહીં, આ રાત્રિએ જો કેટલાંક ખાસ દ્રવ્યથી મહેશ્વરનો અભિષેક કરવામાં આવે તો તેનાથી તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે. આવો, આજે તે વિશે જ વિગતે જાણીએ.
જો આપના પર દેવું વધી ગયું હોય અને આપ પૈસાની તંગીથી પરેશાન હોવ તો મહાશિવરાત્રિના અવસરે એક ખાસ ઉપાય અજમાવો. ચાંદીના કળશમાં ગંગાજળ ઉમેરીને ભગવાન શિવનો અભિષેક કરતા કરતા “ૐ નમઃ શિવાય” મંત્રનો 108 વાર જાપ કરવો. આ ઉપાય કરવાથી એવાં સંજોગો સર્જાશે કે આપ ઝડપથી ઋણ મુક્ત થઈ શકો. અને સાથે જ આર્થિક ઉન્નતિ પ્રાપ્ત કરો.
મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને દહીં અથવા શેરડીના રસથી અભિષેક કરવાનો મહિમા છે. માન્યતા અનુસાર આ અભિષેક ધનની પ્રાપ્તિ કરાવનારો છે. કહે છે કે તેનાથી સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ધનની પ્રાપ્તિ અર્થે આ દિવસે શિવજીને પ્રિય વસ્તુઓનું જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ.
જો આપને નોકરી ધંધામાં પરેશાની આવી રહી હોય જેના કારણે આપ માનસિક પરેશાનીનો સામનો કરી રહ્યા હોવ તો આપે મહાશિવરાત્રિના દિવસે જરૂરથી આ ઉપાય અજમાવવો. સ્નાન કર્યા બાદ ગંગાજળમાં મધ ઉમેરીને શિવજીને અભિષેક કરો. સાથે જ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને ધંધામાં પ્રગતિનો માર્ગ ખુલી જાય છે. તેનાથી આપના કાર્યક્ષેત્રમાં આવી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
ભગવાન શિવની ઉપાસના દરમ્યાન 108 વાર “ૐ પાર્વતીપતયે નમઃ” મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ પર અભિષેક કરવો જોઇએ. માન્યતા અનુસાર આ રીતે અભિષેક કરવાથી આર્થિક તેમજ અંગત જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. અને આપના જીવનમાં ઉન્નતિનો માર્ગ ખૂલી જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
Published On - 10:34 am, Mon, 13 February 23