આમ તો ભગવાન શુદ્ધ ભાવ માત્રથી જ રીઝનારા છે. પણ કહે છે કે જો ઘરના મંદિરમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવામાં આવે તો પ્રભુ વિશેષ પ્રસન્ન થાય છે. આવો, આજે કેટલીક આવી જ વસ્તુઓ વિશે જાણકારી મેળવીએ કે જેનું પૂજા સ્થાન પર હોવું, તેમજ પૂજા સમયે હોવું અનિવાર્ય મનાય છે. એટલું જ નહીં, આ એ પૂજન સામગ્રી છે કે જેના દ્વારા જ શ્રદ્ધાળુઓ પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે છે.
કુમકુમ
કુમકુમ માટે ગુજરાતીમાં કંકુ શબ્દ જ વધારે પ્રચલિત છે. પૂજા સામગ્રીમાં કંકુનું સવિશેષ મહત્વ છે. પ્રત્યેક પૂજામાં કંકુ અને ચોખાનો ઉપયોગ થાય છે. પણ, સાથે જ પ્રત્યેક પૂજા પહેલાં કંકુને કપાળ પર લગાવવામાં આવે છે. અને તેના પર ચોખા અર્પણ કરવામાં આવે છે. આને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કુમકુમ એ આરોગ્યમાં વૃદ્ધિના આશિષ પ્રદાન કરે છે. રક્તવર્ણું કુમકુમ એ સાહસનું પણ પ્રતિક છે. કુમકુમને મસ્તક પર લગાવતી વખતે નીચેથી ઉપરની તરફ લઇ જવાનું હોય છે. જેનાથી વ્યક્તિના ગુણોમાં વૃદ્ધિ થવાની પ્રેરણા મળે.
ચંદન
ચંદન શાંતિ અને શીતળતાનું પ્રતિક છે. એટલે નાનકડું ચંદનનું લાકડું કે ચંદનની ડબ્બી પૂજા સ્થળ પર અચૂક રાખવી જોઇએ. ચંદનની સુગંધ મનને નકારાત્મક વિચારથી દૂર રાખે છે. ચંદનથી જ શાલિગ્રામ અને શિવલિંગની પૂજા થતી હોય છે. તો માથા પર ચંદન લગાવવાથી મસ્તક શાંત ભાવમાં રહે છે. તે મનુષ્યના ચિત્તને પ્રભુમય બનાવવામાં મદદરૂપ બને છે.
અક્ષત
અત્યંત શ્રમથી પ્રાપ્ત થતા અક્ષત એ સંપન્નતાનું પ્રતિક છે. અક્ષતને ચોખા પણ કહેવામાં આવે છે. કોઈપણ પૂજા એ અક્ષત અર્પણ કર્યા વિના અપૂર્ણ મનાય છે. પ્રભુને અક્ષત અર્પણ કરવાનો અર્થ એ છે, કે તમે તમારા વૈભવનો ઉપયોગ પોતાના માટે નહીં, પરંતુ, બીજા માટે માનવસેવા માટે કરો.
ધૂપદાન
ધૂપ સુગંધને પ્રસરાવવાનું કામ કરે છે. સુગંધથી તમારા મન અને મસ્તિષ્કમાં સકારાત્મક ભાવ અને વિચારોનો જન્મ થાય છે. તેનાથી તમારું મન અને ઘરનું વાતાવરણ શુદ્ધ અને સુગંધિત બની રહે છે. સુગંધનું જીવનમાં ખૂબ મહત્વ છે. ઉલ્લેખનીય છે કે ધૂપ એટલે અગરબત્તી નહીં ! ઘરમાં અગરબત્તીની જગ્યાએ ધૂપ પ્રગટાવવો જોઇએ. ધૂપ જેમાં પ્રગટાવવાનો હોય તે પાત્ર પણ પૂજાસ્થળની નજીકમાં જ રાખવું જોઈએ.
દીપ
પારંપરિક દીવો માટીનો હોય છે. તેમાં પાંચ તત્વો છે. માટી, આકાશ, જળ, અગ્નિ, અને વાયુ. કહેવાય છે કે આ પાંચ તત્વોથી સૃષ્ટિનું નિર્માણ થયુ છે. પ્રત્યેક હિન્દુ અનુષ્ઠાનમાં પંચતત્વોની ઉપસ્થિતિ અનિવાર્ય હોય છે. અને આ ઉપસ્થિતિની સાક્ષી પૂરે છે દીવો. આ દીવાના પ્રાગટ્ય માટે પંચધાતુનો દીવો પણ શ્રેષ્ઠ મનાય છે. એટલે કે, એક આવો દીવો તો તમારા પૂજાઘરમાં હોવો જ જોઈએ.
શંખ
માન્યતા અનુસાર જેના ઘરમાં શંખ હોય છે તેના ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. શંખ એ સૂર્ય અને ચંદ્ર સમાન દેવ રૂપ મનાય છે. જેની મધ્યમાં વરુણ, પૃષ્ઠમાં બ્રહ્મા તથા અગ્રમાં ગંગા અને સરસ્વતી નદીનો વાસ હોય છે. કહે છે કે તીર્થાટનથી જે લાભ મળે છે, તે જ લાભ શંખના દર્શન અને પૂજાથી પ્રાપ્ત થાય છે.
ગંગાજળ
એક તાંબાના નાના લોટામાં ગંગાજળ ભરી પૂજા સ્થળમાં અવશ્ય રાખવું જોઈએ. કેટલીક વાર આપણને આ જળની જરૂર ઊભી થાય છે.
ગરુડ ઘંટ
જે સ્થાન પર નિયમિતપણે ઘંટનાદ થાય છે, ત્યાંનું વાતાવરણ હંમેશા શુદ્ધ અને પવિત્ર બની રહે છે. ઘંટનાદથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિના દ્વાર ખૂલી જાય છે. એ જ કારણ છે કે ઘરમાં પૂજા સ્થાન પર ગરુડ ઘંટ અથવા તો ઘંટડી જરૂરથી જ રાખવી જોઈએ.
કોડી
જૂના સમયમાં કેટલીક એવી પરંપરાઓ કે ઉપાયો પ્રચલિત હતા જેને કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. પીળી કોડીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. કેટલીક પીળી કોડીઓને લઈ તેને અલગ-અલ્ગ લાલ વસ્ત્રમાં બાંધીને ઘરના મંદિરમાં, ઘરમાં રહેલી તિજોરીમાં તેમજ તમારા કપડાનાં ખિસ્સામાં રાખવાથી ધન સમૃદ્ધિમાં વૃદ્ધિની માન્યતા છે.
સાત્વિક તાંબાના સિક્કા
તાંબામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા બીજી ધાતુઓ કરતા વધારે પ્રમાણમાં છે. કળશમાં ઉઠતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. જો કળશમાં તાંબાના પૈસા કે સિક્કા ઉમેરવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલ્લા થાય છે. તમને આ ઉપાયો નાના લાગશે. પરંતુ આ બધા કારગર ઉપાયો છે. તમને તેની અસર જોવા મળશે.
આચમનીનું જળ
નાના એવા તાંબાના લોટામાં જળ ભરીને તેમાં તુલસીદળ ઉમેરી હંમેશા પૂજા સ્થળ પર રાખવામાં આવે છે. આ જળ આચમનનું જળ કહેવાય છે. આ જળને 3 વાર ગ્રહણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આવી રીતે આચમન કરવાથી પૂજાનું બેગણું ફળ મળે છે.
મંગળ કળશ
જળથી ભરેલો મંગળ કળશ દેવતાઓ સમાન માનવામાં આવે છે. આપણે જળને શુદ્ધ તત્વ માનીએ છીએ. જેનાથી ઇશ્વર આકર્ષિત થાય છે. એક કાંસા કે તાંબાના કળશમાં જળ ભરીને તેમાં કેટલાક આંબાના પાન ઉમેરીને તેના મુખ પર નારિયેળ મુકવામાં આવે છે. કળશ પર કંકુથી સ્વસ્તિકનું ચિન્હ બનાવીને તેના ગળાના ભાગ પર નાડાછડી બાંધવામાં આવે છે. જળકળશમાં પાન અને સોપારી પણ ઉમેરવામાં આવે છે. તેને મંગળ કળશ કહે છે. માન્યતા અનુસાર આ મંગળ કળશથી જીવન પણ મંગલમય બની જાય છે.
પૂજાસામગ્રી
હળદરની ગાંઠ, યજ્ઞોપવિત, કપૂર, અત્તરની શીશી, ચાંદીના સિક્કા, નાડાછડી, મધ, ઇલાયચી, લવિંગ, આખા ધાણાં, દૂર્વા, રુદ્રાક્ષ અને સ્ફટિકની માળા પણ પૂજાસ્થળ પર જરૂરથી હોવી જોઈએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)