આજે રંગપંચમીનો રૂડો અવસર છે. ફાગણ વદી પંચમીનો આ અવસર દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યો છે અને એટલે જ તેને દેવપંચમી પણ કહે છે. માન્યતા તો એવી છે કે ધુળેટીના પર્વ પર રંગ-ગુલાલથી રમ્યા બાદ પંચમીના દિવસે હવામાં રંગ ઉડાડવામાં આવે છે. આવું કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે તેમજ આપની દરેક પ્રકારની મનોકામનાની પૂર્તિ કરે છે ! સાથે જ હવામાં રંગ ઉડાડવાથી તમોગુણ નાશ પામે છે અને જીવનમાં આનંદ આવે છે. તો, શાસ્ત્રોમાં અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રંગપંચમીના દિવસે કરવામાં આવતા કેટલાંક ઉપાય તમને દેવી લક્ષ્મીના આશિષની પ્રાપ્તિ કરાવે છે અને ધનપ્રાપ્તિના યોગ પણ સર્જે છે. આવો, આજે તે વિશે જ વિગતે જાણીએ.
રંગપંચમીના અવસરે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એક સાથે પૂજા કરવાનો મહિમા છે. જો તમે આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા હોવ તો માતા લક્ષ્મીના બીજ મંત્ર “ૐ શ્રીં શ્રીયે નમઃ” મંત્રનો જાપ કરો. અથવા તો કનકધારા સ્તોત્રનું પઠન કરો. રંગપંચમીના દિવસનો આ ઉપાય સવિશેષ ફળદાયી સાબિત થાય છે. અને તેનાથી થોડા જ દિવસોમાં આપની આર્થિક સ્થિતિમાં સુધારો વર્તાવા લાગશે.
આજે સ્નાન કરવાના પાણીમાં એક ચપટી હળદર અને ગંગાજળ ઉમેરી લો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થઇ જાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. સાથે જ આ ઉપાયથી નોકરી-ધંધા સંબંધિત દરેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે.
જો તમારા નાણાં ક્યાંક અટવાઇ ગયા હોય કે ઉધાર આપેલા નાણાં પરત ન મળી રહ્યા હોય તો રંગપંચમી પર ખાસ ઉપાય અજમાવો. આજે માતા લક્ષ્મીની પૂજા કરીને તેમને સફેદ રંગની વસ્તુઓ જેવી કે ખીર, સાકર કે શીખંડનો ભોગ લગાવો. ત્યારબાદ તે પ્રસાદને સર્વ પ્રથમ ઘરની મહિલાઓમાં વહેંચી દો. અને પછી બીજા લોકોમાં તે પ્રસાદની વહેંચણી કરો. માન્યતા અનુસાર તેનાથી આપના અટકેલાં નાણા પ્રાપ્ત થશે સાથે જ આપની આર્થિક સ્થિતિ સારી બનશે.
જો ઘરમાં સતત નકારાત્મક ઊર્જાનો અનુભવ થતો હોય તો આજે લક્ષ્મીનારાયણની એકસાથે પૂજા કરો. આ પૂજા દરમિયાન કળશમાં શુદ્ધ જળ ભરીને રાખો. પૂજા બાદ આ જળને સમગ્ર ઘરમાં છાંટી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે. સાથે જ ઘરમાં સકારાત્મક ઊર્જાનું આગમન થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ અકબંધ રહે છે.
પ્રચલિત કથા અનુસાર રંગપંચમીના અવસરે ભગવાન શ્રીકૃષ્ણએ રાધા રાણીને રંગ લગાવ્યો હતો. જેના લીધે જ રંગપંચમીનો અવસર ઉજવવામાં આવે છે. રંગપંચમી પર શ્રીકૃષ્ણ અને રાધાજીને રંગ અર્પણ કરવામાં આવે છે. કહે છે કે આ રીતે રાધા-કૃષ્ણને રંગ અર્પણ કરવાથી આપના જીવનમાં પ્રેમ, સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તેમજ આપના પર અને આપના પરિવાર પર દેવી-દેવતાઓની કૃપા વરસે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)