ખૂબ જ સમજાવવા છતાં નથી સુધરી રહ્યા જિદ્દી બાળક ? આ સરળ ઉપાય દૂર કરશે તમારી ચિંતા !

જે બાળકો (Children) જિદ્દી છે, તેમના માથે, ગળે અને નાભિ પર મલયાગિરિ ચંદનનું તિલક જરૂરથી કરવું જોઈએ. આ એ ઉપાય છે કે જેના દ્વારા બાળકમાં સાત્વિકતા આવશે. અને ધીરે ધીરે તેનો જિદ્દી સ્વભાવ પણ દૂર થવા લાગશે.

ખૂબ જ સમજાવવા છતાં નથી સુધરી રહ્યા જિદ્દી બાળક ? આ સરળ ઉપાય દૂર કરશે તમારી ચિંતા !
Child habits
| Edited By: | Updated on: Dec 06, 2022 | 6:22 AM

મોટાભાગના માતા-પિતાની આજે એક જ ફરિયાદ હોય છે, કે “મારું બાળક મને સાંભળતું નથી ! બાળક ખૂબ જ જિદ્દી છે અને સમજાવવા છતાં કોઈ વાતે સમજતું જ નથી !” આવાં બાળકોને આખરે કેવી રીતે સંભાળવા તે જ આજના યુવા માતા-પિતા માટે મોટી સમસ્યા બની જતી હોય છે ! શું તમારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે ? શું બાળકોની જીદને લીધે તમે તેના પર અવારનવાર ગુસ્સો કરી બેસો છો ? આવો, આજે તમને એ જણાવીએ કે કયા ગ્રહોની અસરના લીધે બાળકો આવી જીદ કરતા હોય છે. અને આવા સમયે કેવાં વર્તન અને ઉપાયો દ્વારા તેમને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

બાળકો કેમ હોય છે જિદ્દી ?

તમે ઘણીવાર એવું જોયું હશે કે કેટલાંક બાળકો હંમેશા જ તેમના માતા-પિતાની વાત માનતા હોય છે. જ્યારે બીજી તરફ કેટલાંક બાળકો ગમે તેટલું સમજાવવા છતાં કોઈનું કંઈ સાંભળતા જ નથી હોતા ! ક્યારેક કોઈ કાર્ય કરવાની જીદ પકડી બેસે, તો ક્યારેક કોઈ વસ્તુ ખરીદવાની જીદ કરી બેસે. અને જ્યાં સુધી તેમની એ જીદ પૂરી ન થાય ત્યાં સુધી રોકકળ મચાવ્યા કરે. વાસ્તવમાં બાળકના આ સ્વભાવ પાછળ બાળકના જન્મ સમયના ગ્રહ નક્ષત્ર જવાબદાર હોય છે. જો બાળકની કુંડળીમાં મંગળનો લગ્ન પર પ્રભાવ હોય તો આવું બાળક વધુ ગુસ્સાવાળુ અને જિદ્દી હોઈ શકે છે. તો શાસ્ત્ર અનુસાર બાળકના પૂર્વ જન્મના કર્મ પણ બાળકના આવાં સ્વભાવ માટે કારણભૂત હોઈ શકે છે !

શું કરશો ઉપાય ?

⦁ એક વાત ખાસ યાદ રાખો, કે જો બાળક ખૂબ જ જિદ્દી હોય તો તેને હંમેશા જ સ્વચ્છ વસ્ત્ર પહેરાવો. તેમના વસ્ત્ર પર કંઈ ઢોળાયું હોય તો તે સંજોગોમાં તરત જ તેમના વસ્ત્ર બદલાવી દો.

⦁ આવાં બાળકોને પાણી વધુ માત્રામાં પીવડાવવું જોઈએ.

⦁ જે બાળકો જિદ્દી છે, તેમના માથે, ગળે અને નાભિ પર મલયાગિરિ ચંદનનું તિલક જરૂરથી કરવું જોઈએ. આ એ ઉપાય છે કે જેના દ્વારા બાળકમાં સાત્વિકતા આવશે. અને ધીરે ધીરે તેનો જિદ્દી સ્વભાવ પણ દૂર થવા લાગશે.

⦁ શક્ય હોય ત્યાં સુધી આપના ઘરની આસપાસ વધુને વધુ લીલોતરી રાખવાનો પ્રયત્ન કરવો.

⦁ બાળક જો 15 વર્ષથી ઉપરનું હોય તો તેને ગાયત્રી મંત્ર બોલતા શીખવવો જોઈએ.

⦁ આવાં બાળકોને પ્રાણાયામ કરતા શીખવો. તેનાથી ધીમી ગતિએ, પરંતુ, ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે.

⦁ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે, જો તમે નિત્ય ગીતાનો પાઠ કરો છો, પ્રાણાયામ કરો છો, તો આપના પૂર્વ જન્મના કર્મ તમને બાધિત નહીં કરે. એટલે કે ભગવદ્ ગીતાના પ્રભાવને લીધે તમારી કુંડળીના ખરાબ ગ્રહોની અસર ઓછી થઈ જશે અને તે તમારા માટે સમસ્યાઓ ઊભી નહીં કરે. એટલે, બાળક માટે થઈને માતા-પિતાએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કરવા. અને પછી શક્ય હોય તો જિદ્દી બાળકોને પણ ગીતાના શ્લોકનું શ્રવણ કરાવવું જોઈએ. તેનાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)