Pitru Paksha 2022 : પિતૃ કોણ છે અને તેમના માટે શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ ?

પિતૃપક્ષમાં કરવામાં આવતું શ્રાદ્ધ, જે પિતૃઓના મોક્ષનું સૌથી મોટું માધ્યમ માનવામાં આવે છે, તે ક્યારે અને કયા કારણોસર શરૂ થયું તે જાણવા માટે આ લેખ જરૂર વાંચો.

Pitru Paksha 2022 : પિતૃ કોણ છે અને તેમના માટે શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ ?
Pitru Paksh
| Edited By: | Updated on: Sep 16, 2022 | 2:29 PM

વિક્રમ સંવતનાં ભાદરવા સુદ પુનમ થી આ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધનાં સોળ દિવસનાં સમુહને શ્રાદ્ધપક્ષ (Shradh Paksh) તેમજ પિતૃતર્પણનાં દિવસો કહેવાય છે. પિતૃપક્ષ (Pitru Paksha 2022) માં કરવામાં આવતું શ્રાદ્ધ, જે પિતૃઓના મોક્ષનું સૌથી મોટું માધ્યમ માનવામાં આવે છે, તે ક્યારે અને કયા કારણોસર શરૂ થયું તે જાણવા માટે આ લેખ જરૂર વાંચો.

આ પિતૃપક્ષમાં પૂર્વજો માટે શ્રાદ્ધ કરવાની લાંબા સમયથી ચાલી આવતી પરંપરાને કારણે ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે આ પૂર્વજો કોણ છે અને આટલા શ્રાદ્ધ પછી તેમના માટે તર્પણ અને પિંડ દાન શા માટે ? પિતૃઓની પૂજા કરવાથી વ્યક્તિને શું ફળ મળે છે? જો આ બધા સવાલો તમારા મનમાં વારંવાર ઉઠતા રહે છે, તો ચાલો જાણીએ જવાબ અને શ્રાદ્ધનું ધાર્મિક મહત્વ.

કોણ છે પિતૃ

હિંદુ ધર્મમાં પિતૃને 84 લાખ યોનિઓમાંનો એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અલગ-અલગ દુનિયામાં રહેતી આ દિવ્ય આત્માઓ સંતુષ્ટ થવા પર વ્યક્તિ પર પોતાના આશીર્વાદ વરસાવે છે, જેના કારણે માણસને ધન, સુખ, કીર્તિ વગેરે મળે છે અને પરિવારમાં વૃદ્ધિ થાય છે. આ રીતે, પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવતું શ્રાદ્ધ એ પૂર્વજો પ્રત્યેની વ્યક્તિની આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક સાધન છે.

શ્રાદ્ધની પરંપરા ક્યારે શરૂ થઈ?

એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં પિતૃઓ માટે કરવામાં આવતું શ્રાદ્ધ મહાભારત કાળમાં શરૂ થયું હતું. એવું માનવામાં આવે છે કે જ્યારે મૃત્યુ પછી સૂર્યપુત્ર કર્ણની આત્મા સ્વર્ગમાં પહોંચી ત્યારે તેને ત્યાં ખાવા માટે ભોજનને બદલે ઘણું સોનું આપવામાં આવ્યું હતું. પછી જ્યારે તેણે ઈન્દ્રદેવતાને તેનું કારણ પૂછ્યું તો તેણે કર્ણને કહ્યું કે પૃથ્વી પર રહીને તેણે પોતાના પૂર્વજોને ખાતર ક્યારેય અન્ન, તર્પણ કર્યુ નથી. ત્યારે કર્ણએ જવાબ આપ્યો કે તે તેના પૂર્વજો વિશે કંઈ જાણતો નથી, તેથી અજાણતા તેણે આ ભૂલ કરી. ત્યારબાદ તેને પોતાની ભૂલ સુધારવા માટે 16 દિવસ માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યો હતો. જે બાદ તેમણે પોતાના પૂર્વજોના મોક્ષ માટે વિધિ મુજબ શ્રાદ્ધ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે ત્યારથી પિતૃ પક્ષના 16 દિવસોમાં શ્રાદ્ધ કરવાની પરંપરા ચાલી આવે છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)