ગણેશ વિસર્જનનો (Ganesh Visarjan) દિવસ એટલે અનંત ચતુર્દશી. ભાદરવા (Bhadarvo) મહિનામાં શુક્લ પક્ષ દરમિયાન અનંત ચતુર્દશી (Anant Chaturdashi) પર ગણેશ વિસર્જન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાપ્પા, જે આપણા ઘરે આશીર્વાદ (Blessing) આપવા માટે આવે છે, તે ગણેશ વિસર્જન પછી પોતાના ઘરે પાછા ફરે છે. 10 દિવસનો ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યા પછી ગણેશજીની વિદાયનો દિવસ બસ આવી ગયો. આ દિવસે ગણેશજી પોતાના ભક્તોની ઇચ્છાની પૂર્તિ કરીને વિદાય લે છે. આ મહોત્સવ આપણને ઘણુ બધુ શીખવીને જાય છે. કોઇપણ વસ્તુ કે વ્યક્તિથી વધુ પડતા આશક્ત ન થાવ તે મહત્વની વાત ગણેશજી આ તહેવાર દરમ્યાન શીખવીને જાય છે. આજનો દિવસ એટલે તો આનંદ આપવાનો અને આનંદ મેળવવાનો દિવસ. આજના દિવસે રંગેચંગે ભગવાન ગણેશજીની વિદાય કરવાનો દિવસ છે.
વિસર્જનના દિવસે કરવાના ઉપાયો
ધન-સંપત્તિની પ્રાપ્તિ અર્થે
ગણેશજીના વિસર્જન પૂર્વે ગણેશજીને બેસનના લાડુ, દાડમ અને 1 મીઠાપાનનું બીડુ અર્પણ કરવું. એક કાગળ પર આપની ધન-સપંત્તિની કામના લખીને ગણેશજીને અર્પણ કરવી. આ ઉપાય કરવાથી ગણેશજી આપની ઇચ્છા અવશ્ય પૂર્ણ કરશે.
સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ અર્થે
ગણેશજી પાસેથી સારા સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કેળા, મધ અને બદામ વિસર્જનના દિવસે અર્પણ કરવા જોઇએ. આ વસ્તુઓ અર્પણ કરીને ગણેશજી સમક્ષ આપની સારા સ્વાસ્થ્યની કામના વ્યક્ત કરવી.
નોકરી-ધંધામાં પ્રગતિ અર્થે
ગણેશજીને વિસર્જનના દિવસે 21 લવિંગ અને 21 નાની ઇલાયચીની માળા પીળા રંગના દોરામાં બનાવીને અર્પણ કરવી. 4 બુંદીના લાડુનો ભોગ અને એક નારિયેળ અર્પણ કરવું. આ વસ્તુઓ અર્પણ કરીને ભગવાન ગણેશને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે પ્રાર્થના કરવી.
પરીક્ષામાં સફળતા અર્થે
જો આપ કોઇપણ પ્રકારની પરીક્ષામાં વારંવાર નિષ્ફળતા મેળવી રહ્યા છો અથવા તો તમે કોઇ નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં પણ નિષ્ફળતાનો ભોગ બનો છો તો એક દોરામાં 7 ગાંઠ લગાવીને સંકટનાશન સ્તોત્રનો પાઠ કરીને આ દોરાને પર્સમાં રાખી લો. આ ઉપાય કરવાથી આપને ચોક્કસ તેનું પરિણામ જોવા મળશે.
પારિવારિક કલેશમાંથી મુક્તિ અર્થે
જો આપના પરિવારમાં કલેશ હોય , પરિવારમાં સતત કંકાશ ચાલતો હોય , શારિરીક કે માનસિક શાંતિ ન મળી રહી હોય તો વિસર્જનના દિવસે ગણેશજીની પ્રતિકાત્મક મૂર્તિ ઘર મંદિરમાં સ્થાપિત કરીને નિત્ય તેની પૂજા કરવી. આ ઉપાયથી આપની સમસ્યાનું સમાધાન અવશ્ય થશે.
વિવાહના યોગ અર્થે
ગલગોટાના ફૂલોની માળા, લાલ સિંદૂર, 4 માવાના લાડુ અને દૂર્વા ગણેશજીને અર્પણ કરવી . આ અર્પણ કરવાની સાથે ગણેશજીને જલ્દી વિવાહના યોગ સર્જાય તે માટે પ્રાર્થના કરવી. આ ઉપાય કરવાથી ગણેશજી શીઘ્ર જ આપની કામનાની પૂર્તિ કરશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
Published On - 6:08 am, Thu, 8 September 22