ભગવાન શ્રીગણેશ (lord ganesha) એટલે તો વિઘ્નોને હરનારા દેવ. એવાં દેવ કે જેમને સર્વ દેવોમાં પ્રથમ પૂજાવાનું વરદાન પ્રાપ્ત છે. અને એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ ભલે ગમે તે દેવી-દેવતાના ઉપાસક હોય, પણ તેમના ગૃહ મંદિરમાં ગણેશજીની એક સુંદર પ્રતિમા (ganesh idol) પ્રસ્થાપિત હોવાની જ. પણ, શું તમે જાણો છો ઘરમાં વિદ્યમાન થતી ગણેશ મૂર્તિને લઈને પણ કેટલાંક ખાસ નિયમો છે ? દિવાળીનો (Diwali 2022) અવસર નજીક છે. અને આ શુભ અવસર ગણેશ પ્રતિમાના સ્થાપન માટે પણ શુભ મનાય છે. જેમને ઘરના મંદિરમાં ગણેશ પ્રતિમા પ્રસ્થાપિત કરવાની હોય અથવા તો કોઈ કારણસર પ્રસ્થાપિત પ્રતિમાને બદલવી પડે તેમ હોય, તો તે લોકો દિવાળીના દિવસોમાં આ કાર્ય કરતા હોય છે. કારણ કે, ધન તેરસ, દિવાળી અને બેસતું વર્ષ આ તમામ દિવસો ગણેશ પૂજા માટે સવિશેષ ફળદાયી મનાય છે. ત્યારે આવો જાણીએ કે ગણેશજીની મૂર્તિને પસંદ કરતી વખતે કઈ બાબતોનું રાખવું જોઈએ સવિશેષ ધ્યાન ?
ગણેશ મૂર્તિ મહિમા
ભગવાન ગણેશ એ સુખ-સમૃદ્ધિ અને વૈભવના દાતા છે. કહે છે કે જે ઘરમાં ગજાનનની પ્રતિમા પ્રસ્થાપિત હોય છે, તે ઘરમાં ક્યારેય કલેશ ઉભો નથી થતો. તે ઘર હંમેશા જ ખુશીઓથી ભરાયેલું રહે છે. પણ, વાસ્તુ અનુસાર ગણેશ મૂર્તિની સ્થાપના કરતા પહેલાં કેટલીક વિશેષ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. મૂર્તિ એ રીતે જ પ્રસ્થાપિત થવી જોઈએ કે જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય.
કઈ દિશા શ્રેષ્ઠ ?
નિયમ અનુસાર ગણેશ પ્રતિમાને ઘરના ઉત્તર-પૂર્વના ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ. વાસ્તવમાં આ ખૂણો એ ઈશાન ખૂણો છે અને તે પૂજા માટે સર્વોત્તમ મનાય છે. સામાન્ય રીતે ઘરનું મંદિર આ જ દિશામાં રાખવું વધુ શ્રેષ્ઠ છે. અને જ્યારે આ જ દિશામાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે તેની પૂજા સવિશેષ ફળદાયી બની રહે છે. પણ, જો તે શક્ય ન હોય તો તમે પૂર્વ અથવા તો પશ્ચિમ દિશામાં પણ ગણેશ પ્રતિમાને સ્થાપિત કરી શકો છો. અલબત્, દક્ષિણ દિશામાં ક્યારેય પણ ગણેશ મૂર્તિની સ્થાપના ન જ કરવી જોઈએ.
કેવી મૂર્તિની કરશો પસંદગી ?
ગણેશ પ્રતિમા પસંદ કરતી વખતે ધ્યાન રાખો કે ગણેશ પ્રતિમાના બંન્ને પગ જમીનને સ્પર્શ કરતા હોય. અને મૂર્તિની ઘરમાં સ્થાપના કરતી વખતે પણ આ વાત ધ્યાન રાખો કે પ્રભુને મંદિરમાં બિરાજમાન કરો ત્યારે તેમના ચરણ મંદિરની સપાટીને સ્પર્શે. કહે છે કે તેનાથી તમારા પગ પણ સફળતાના આકાશને આંબવા લાગશે ! મોદક અને ઉંદર સાથેની ગણેશ પ્રતિમા પૂર્ણ ગણેશ પ્રતિમા મનાય છે. અને તે સવિશેષ ફળદાયી મનાય છે.
ડાબી સૂંઢના ગણપતિ
ઘરમાં હંમેશા ડાબી સૂંઢના ગણપતિજીની સ્થાપના કરવી જોઈએ. જમણી સૂંઢના ગણપતિનું ભૂલથી પણ ઘરમાં સ્થાપન ન થાય એ ધ્યાન રાખો. કારણ કે, જમણી સૂંઢના ગણપતિજીના પૂજાના નિયમો ખૂબ જ આકરા છે. અને તે નિયમોનું પાલન ન થાય તો શ્રદ્ધાળુને મુસીબતનો સામનો પણ કરવો પડી શકે છે.
એક જ મૂર્તિની પૂજા !
તમારા ઘરના પૂજાઘરમાં હંમેશા ગણેશજીની માત્ર એક જ પ્રતિમા રાખવી જોઈએ. માન્યતા અનુસાર જો પૂજાઘરમાં બે કે તેથી વધારે ગણેશ પ્રતિમા હોય તો ગણેશજીની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ નારાજ થઈ જાય છે અને વ્યક્તિને દુઃખનો સામનો કરવો પડી શકે છે.
કઈ મૂર્તિ શ્રેષ્ઠ ?
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)