ચૈત્રી નવરાત્રીમાં આઠમની તિથિનું ખૂબ જ મહત્વ છે. આ તિથિ દુર્ગાષ્ટમી તરીકે ઓળખાય છે. હિન્દુ ધર્મમાં આ દુર્ગાષ્ટમીની આગવી જ મહત્તા છે. નવરાત્રીમાં આઠમા દિવસે માતા દુર્ગાના મહાગૌરી રૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ કહે છે કે આ દુર્ગાષ્ટમીની રાત્રીએ કેટલાંક વિશેષ ઉપાયો કરવાથી આપને સમગ્ર વર્ષ તેના પુણ્ય ફળની પ્રાપ્તિ થતી રહે છે. આ ઉપાયો અજમાવાથી તમારા જીવનના તમામ સંકટ ટળી જા છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનું પણ આગમન થાય છે. આવો, આજે કેટલાંક આવા જ ઉપાયો વિશે વાત કરીએ.
⦁ દુર્ગાષ્ટમીની એટલે કે ચૈત્રી નવરાત્રીની આઠમે આપના ઘરના મુખ્ય દ્વાર પર રાત્રે 12 વાગે ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઈએ. કહે છે કે આમ કરવાથી આપના જીવનના દરેક પ્રકારના સંકટો દૂર થઈ જાય છે.
⦁ દુર્ગાષ્ટમીની રાત્રે દેવીના મંદિરમાં જઇને માતા દુર્ગાને સોળ શણગારની સામગ્રી ભેટ કરવી જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી મુસીબતો તમારા જીવનમાં આવતા પહેલાં જ ટળી જાય છે.
આઠમા નોરતાની રાત્રે આપના ઘરમાં કે દુર્ગા મંદિરમાં દુર્ગા સપ્તશતીના પાઠ જરૂરથી કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ગૃહકલેશ નષ્ટ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહે છે.
⦁ દુર્ગાષ્ટમીની રાત્રે એક પાનમાં ગુલાબના પુષ્પની 7 પાંખડીઓ લઇને માતા દુર્ગાને અર્પણ કરવી. કહે છે કે તેનાથી મા દુર્ગા અને માતા લક્ષ્મી બંન્નેની કૃપા આપના પર અકબંધ રહેશે. અને આપના ઘરમાં માતા લક્ષ્મીનો સદાય વાસ રહેશે.
⦁ ચૈત્રી નવરાત્રીના આઠમા દિવસે નવદુર્ગાના મહાગૌરી રૂપની ઉપાસના કરવામાં આવે છે. એટલે અષ્ટમીની રાત્રે મહાગૌરીના સ્વરૂપને દૂધ ભરેલા પાત્રમાં બિરાજમાન કરી તેમને ચાંદીના સિક્કા અર્પણ કરો. બીજા દિવસે આ સિક્કાને હંમેશ માટે પોતાના ધન રાખવાના સ્થાન કે તિજોરીમાં મૂકી દેવા. માન્યતા અનુસાર તેનાથી આપના જીવનમાં આર્થિક સમૃદ્ધિનો વાસ થાય છે.
દુર્ગાષ્ટમીએ સૂર્યાસ્ત બાદ અગિયાર સૌભાગ્યવતી મહિલાઓને લાલ રંગની બંગડી અને સિંદૂર ભેટ કરવાથી ધંધા-વ્યવસાયમાં લાભની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.
દુર્ગાષ્ટમીની રાત્રે કોઇ પ્રાચીન દુર્ગા મંદિરમાં જઇને માતાના ચરણોમાં કમળના પુષ્પ અર્પણ કરવા. માન્યતા અનુસાર આ ઉપાયથી માતાજી શીઘ્ર પ્રસન્ન થઇને આપની મનોકામનાની પૂર્તિ કરે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)