BHAKTI: રમા એકાદશીએ ભૂલ્યા વિના કરી લો આ કામ, દેવી લક્ષ્મી દેશે સમૃદ્ધિના આશીર્વાદ !

દિવાળીએ ચોપડા પૂજન કરતા પહેલાં ભાગ્યોદય માટેનો શ્રેષ્ઠ અવસર રમા એકાદશી પૂરો પાડે છે ! જો વેપારમાં ખોટ ચાલી રહી હોય, ધંધો નુકસાનમાં હોય તો રમા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા જરૂરથી કરવી જોઈએ !

BHAKTI: રમા એકાદશીએ ભૂલ્યા વિના કરી લો આ કામ, દેવી લક્ષ્મી દેશે સમૃદ્ધિના આશીર્વાદ !
lakshmi narayan
| Edited By: | Updated on: Oct 19, 2022 | 6:34 AM

દિવાળી (Diwali 2022) પર્વના વિધિવત પ્રારંભની તિથિ એટલે રમા એકાદશી. આસો માસના વદ પક્ષની એકાદશી એ રમા એકાદશીના (rama ekadashi) નામથી પ્રસિદ્ધ છે. ગુજરાતી પંચાંગ અનુસાર તે વર્ષની અંતિમ એકદાશી મનાય છે. આ એકાદશી દેવી લક્ષ્મી (goddess lakshmi) અને ભગવાન વિષ્ણુ (lord vishnu) બંન્નેની કૃપાપ્રાપ્તિ માટે સર્વોત્તમ મનાય છે. તો રમા એકાદશીનો મહિમા એટલે પણ વધારે છે કેમ કે, ત્યારબાદ દીપોત્સવી પર્વના વિધ-વિધ ઉત્સવોનો પ્રારંભ થઈ જાય છે. પણ, જાણો છો, આ એકાદશી તો ભક્તોના વિવિધ મનોરથોને સિદ્ધ કરનારી પણ છે !

રમા એકાદશી

આ વખતે રમા એકાદશી 21 ઓક્ટોબર, શુક્રવારના રોજ છે. આમ તો એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા અર્થે કરવામાં આવતું હોય છે. પરંતુ, રમા એકાદશીમાં લક્ષ્મી-નારાયણ બંન્નેની આરાધનાનો મહિમા છે. ખાસ વાત તો એ છે કે આ એકાદશીએ ભક્તો વિષ્ણુ ભગવાનની પૂજા કરે ત્યારે તેમના પર માતા લક્ષ્મીના આશિષ વરસતા હોય છે. અને દેવી લક્ષ્મી ભક્તોના વિધ-વિધ મનોરથોને પરિપૂર્ણ પણ કરતા હોય છે. આવો, કેટલાંક તેવા જ ઉપાયો જાણીએ.

વેપારમાં વૃદ્ધિ અર્થે

દિવાળીના દિવસો એ સપરમા દિવસો એટલે કે ખૂબ જ સારા દિવસો મનાય છે. વેપારીઓ તેમનું આવનારું વર્ષ સારું જાય તે માટે ચોપડાનું પૂજન કરતા હોય છે. પણ, દિવાળીએ ચોપડા પૂજન કરતા પહેલાં ભાગ્યોદય માટેનો શ્રેષ્ઠ અવસર રમા એકાદશી પૂરો પાડે છે ! જો વેપારમાં ખોટ ચાલી રહી હોય, ધંધો નુકસાનમાં હોય તો રમા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા જરૂરથી કરવી જોઈએ. આ પૂજા સમયે પ્રભુને એક રૂપિયાનો સિક્કો અર્પણ કરવો. સિક્કા પર પણ કુમકુમ, અક્ષત, પુષ્પ અર્પણ કરવા. ત્યારબાદ આ સિક્કાને એક લાલ રંગના વસ્ત્રમાં બાંધીને ઓફિસમાં ધન રાખવાની જગ્યા પર મૂકી દેવું. માન્યતા અનુસાર તેનાથી ચોક્કસથી લાભની પ્રાપ્તિ થાય છે.

નોકરીમાં બઢતી

જો સતત પ્રયાસ કરવા છતાં નોકરીમાં બઢતી ન મળી રહી હોય અથવા તો નવી નોકરીની તક ન મળી રહી હોય તો રમા એકાદશીએ એક ખાસ પ્રયોગ કરવો. કોઈપણ વિષ્ણુ મંદિરે જઈને પ્રભુને પીળા રંગનું વસ્ત્ર અર્પણ કરવું. અને સાથે જ પોતાની મનશા અભિવ્યક્ત કરતા પ્રાર્થના કરવી. માન્યતા અનુસાર તમને ટૂંક સમયમાં જ નોકરી સંબંધી સારા સમાચાર મળશે.

આર્થિક સમૃદ્ધિ અર્થે

જો તમારા ઘરમાં નાણાંની અછત વર્તાતી હોય અથવા તો કોઈપણ કારણસર ઘરમાં નાણાં બચતા જ ન હોય તો રમા એકાદશીના દિવસે 11 કોડીઓ લાવીને દેવી લક્ષ્મીને સમર્પિત કરવી. આ કોડીઓની વિધિવત પૂજા કરવી. ત્યારબાદ બીજા દિવસે સવારે આ કોડીને પીળા રંગના વસ્ત્રમાં બાંધીને ઘરની તિજોરીમાં મૂકી દેવી. માન્યતા અનુસાર આ પ્રયોગથી વ્યક્તિની આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

સુખી લગ્નજીવન માટે

દરેક સંસારી સુખી લગ્નજીવનની જ મનશા સેવે છે. વળી, રમા એકાદશી તો લક્ષ્મી-નારાયણ બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવનારો અવસર છે. ત્યારે જો તમે ઈચ્છતા હોવ કે તમારા અને તમારા જીવનસાથીની વચ્ચે પ્રેમ હંમેશા અકબંધ રહે તો એક ખાસ પ્રયોગ અજમાવો. રમા એકાદશીએ જરૂરથી તુલસી ક્યારે જળ અર્પણ કરો. અને ત્યારબાદ આ ક્રમ નિયમીતપણે જાળવો. કહે છે કે તેનાથી પતિ-પત્નીના સંબંધો સદૈવ સૂમેળભર્યા બની રહેશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)