
ભગવાન ગણેશજીને સર્વ પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો મંગળવાર, બુધવાર અને વિશેષ કરીને સંકટ ચતુર્થીનું વ્રત કરતા હોય છે. દર મહિને વદ પક્ષમાં આવતી ચતુર્થી તિથિએ ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના કરવાનું માહાત્મ્ય છે. આ ચોથની તિથિને સંકટ ચોથ તેમજ સંકષ્ટી ચતુર્થી જેવાં નામથી ઓળખવામાં આવે છે. 12 નવેમ્બર, શનિવાર એટલે કે આજ રોજ આવો જ શુભ સંયોગ પ્રાપ્ત થયો છે. ત્યારે આવો જાણીએ કે, સંકટ ચતુર્થીના દિવસે કયા ઉપાયો દ્વારા ભગવાન ગણેશની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકાશે.
ધાર્મિક માન્યતા અનુસાર સંકટ ચતુર્થીના દિવસે ગણેશજીની વિશેષ રૂપે વિધિ વિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેનાથી જાતકના તમામ કષ્ટો દૂર થાય છે. તેમના જીવનમાં આવનારા અવરોધો દૂર થાય છે અને ભગવાન ગણેશ તેમની તમામ મનોકામનાની પૂર્તિ કરે છે. અલબત્, આ વ્રત કરનારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વ્રતના પારણાં ચંદ્રોદય પછી જ કરવા જોઈએ.
સંકટ ચતુર્થીની પૂજા-વિધિ
⦁ સંકટ ચતુર્થીના દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને સર્વ પ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરવું.
⦁ સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી સંકટ ચોથના વ્રતનો સંકલ્પ લેવો.
⦁ એક બાજઠ કે ઘરના મંદિરમાં લાલ વસ્ત્ર પાથરીને તેની ઉપર કળશની સ્થાપના કરવી.
⦁ કળશની સાથે જ ભગવાન ગણેશજીની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરવી.
⦁ ભગવાનને જળ અર્પણ કરી હળદર-કંકુનું તિલક કરીને પીળા રંગના વસ્ત્ર અર્પણ કરો.
⦁ ગણેશજીને પીળા રંગના ફૂલોની હારમાળા અર્પણ કરો. સાથે જ ભૂલ્યા વિના દૂર્વા અર્પણ કરો.
⦁ ભગવાન ગણેશજીને ભોગમાં મીઠાઈ અર્પણ કરવી. શક્ય હોય ત્યાં સુધી મોદક પ્રસાદ જ અર્પણ કરવો.
⦁ ગણેશ વંદનાથી શરૂઆત કરીને પૂજાનો પ્રારંભ કરવો અને આરતી સાથે પૂજા સંપન્ન કરવી.
⦁ સાંજે ફરી ગણેશજીની પૂજા આરાધના કરવી.
⦁ ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને પ્રસાદ ધરાવીને વ્રતના પારણાં કરવાં.
સંકટ ચતુર્થીના દિવસે કરવાના ઉપાયો
⦁ સંકટ ચોથના દિવસે ગાયનું પૂજન કરવું. ત્યારબાદ ગૌશાળામાં દાન કરવું શુભ માનવામાં આવે છે. માન્યતા તો એવી છે કે આ ઉપાય કરવાથી ક્યારેય ઘરમાં ધન-ધાન્યની અછત નથી થતી.
⦁ સંકટ ચતુર્થીના દિવસે વાછરડા સાથેની ગાયની સેવા કરવી જોઇએ. આ કાર્ય કરવાથી આપનું બાળક ક્યારેય કોઇપણ રોગનો ભોગ નહીં બને. તેમજ તેમનું સ્વાસ્થ્ય સુખ જળવાઈ રહેશે.
⦁ આજના દિવસે કોઇ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, અનાજ, વસ્ત્રનું દાન કરવું જોઇએ. તેનાથી આપને આપના કાર્યોમાં ક્યારેય વિઘ્ન નહીં આવે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે તેમજ ઘરની ઉન્નતિ થશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)