ARVALLI : ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં યુવરાજસિંહ જાડેજાએ જેના પર આક્ષેપ કર્યો છે, તે અવધેશ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપો ફગાવી દીધા છે. અને ધનસુરા પોલીસ મથકમાં યુવરાજસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. અવધેશ પટેલનું કહેવું છે કે તેનું નામ ખોટી રીતે ચગાવવામાં આવ્યું છે.અવધેશે કહ્યું કે- યુવરાજસિંહનો કોઈ રાજકીય સ્ટંટ હોઈ શકે છે.
અવધેશે પડકાર ફેંક્યો છે કે જો તેણે કોઈની પાસેથી પૈસા લીધા હોય તો યુવરાજસિંહ પુરવાર કરી બતાવે. જો પુરવાર થશે તો તેઓ પોલીસ તપાસમાં પૂરો સહયોગ આપશે.અવધેશે દાવો કર્યો કે તે કોઈ ક્લાસિસ નથી ચલાવતો પણ ખેતી કરે છે અને રેતી-કપચીનો બિઝનેસ છે. અવધેશ પટેલે શંકા વ્યક્ત કરી છે કે સરપંચની ચૂંટણીમાં તેમની પત્ની વિજેતા બની હોવાથી વિરોધીઓથી જીરવાયું નથી.અને તેમણે જ આ કાવતરું ઘડ્યું હોઈ શકે છે મહત્વનું છે કે અવધેશ પટેલ અરવલ્લી જિલ્લા ભાજપના યુવા મોરચાના મહામંત્રી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડ અંગે યુવરાજસિંહ જાડેજાએ કેટલાક નામોના ખુલાસા કર્યા હતા. યુવરાજ સિંહનું કહેવું હતું કે બાયડમાં ટ્યુશન ચલાવતો અવધેશ પટેલ કૌભાંડ ચલાવે છે. તો ધવલ પટેલ, કુશાંગ પટેલ, હિતેશ પટેલ, બાબુ પટેલ, જિગીશા પટેલે ભરતીનો લાભ લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લેવાનો આક્ષેપ કર્યો હતો.