West Bengal : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં હાજર ન રહેલા બંગાળના પૂર્વ મુખ્યસચિવ અલાપન બંદોપાધ્યાય (Alapan Bandyopadhyay)ને લઈને કેન્દ્ર અને મમતા સરકાર સામ-સામે છે. ઓડીસા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા યાસ વાવાઝોડા ( Yaas Cyclone ) થી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદી (PM MODI) એ નિરીક્ષણ કર્યુ હતું.
નુકસાનની સમીક્ષા કરવા 28 મે ના રોજ કાલીકુંડામાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે મમતા બેનર્જી (Mamata Banerjee)નું હાજર રહેવું જરૂરી અને મહત્વનું હતું. પરંતુ મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને બંગાળના મુખ્યસચિવ અલાપન બંદોપાધ્યાય આ બેઠકમાં હાજર રહ્યાં નહોતા. આ સમગ્ર ઘટના અંગે વિવાદ થયો હતો.
અલાપન બંધોપાધ્યાયને કેન્દ્રની નોટીસ
કેન્દ્ર સાથેના વિવાદ વચ્ચે West Bengal ના પૂર્વ મુખ્ય સચિવ અને હાલ મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલાપન બંધોપાધ્યાય (Alapan Bandyopadhyay) ને કેન્દ્ર સરકારે નોટીસ ફટકારી છે. આ મામલાથી પરિચિત એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રએ અલાપન બંધોપાધ્યાયને કારણદર્શક નોટિસ ફટકારી છે.
કેન્દ્રએ ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું
West Bengal કેડરના 1987 બેચના IAS અધિકારી અલાપન બંધોપાધ્યાય (Alapan Bandyopadhyay) 31મી મે, સોમવારના દિવસે 60 વર્ષની વયે નિવૃત્ત થવાના હતા. પરંતુ વર્તમાન કોવીડ-19 મહામારીના પ્રબંધનમાં તેમના કામને જોતાં કેન્દ્રએ તેમને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ તરીકે ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું. કેન્દ્રએ આકસ્મિક નિર્ણયમાં 28 મેના રોજ અલાપન બંધોપાધ્યાયને દિલ્હી બોલાવ્યા હતા અને તેમને તાત્કાલિક ફરજમુક્ત કરવા રાજ્ય સરકારને જણાવ્યું હતું.
મુખ્ય સચિવમાંથી બન્યા મુખ્ય સલાહકાર
કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારના આ વિવાદ વચ્ચે કેન્દ્રએ બંગાળના મુખ્ય સચિવ અલાપન બંધોપાધ્યાય (Alapan Bandyopadhyay) ને દિલ્હી બોલાવ્યા હતા. જો કે દિલ્હી જવા કરતા તેમણે રીટાયર્ડ થવાનું પસંદ કર્યુ. વયમર્યાદાને કારણે રીટાયર્ડ થઇ તેમણે ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન સ્વીકાર્યુ ન હતું. બંગાળના મુખ્ય સચિવ અલાપન બંધોપાધ્યાય (Alapan Bandyopadhyay) રીટાયર્ડ થતા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તેમને પોતાના મુખ્ય સલાહકાર બનાવ્યા છે.